Tuesday, November 8, 2016

૫૦૦ કે ૧૦૦૦ની નોટો ખાનગી જ રાખે તો બધા રુપિયા કાગળ બની જાય અને જો બહાર કાઢે તો બધા રુપિયા કાગળ પર ચઢી જાય.

એક બાજુ અમેરિકામાં નવા રાષ્ટ્રપતિની ચુંટણી માટે વોટિંગ ચાલતી હતી ત્યાં દેશના વડાપ્રધાન મોદી  સાહેબે જેવી જાહેરાત કરી કે ૫૦૦ અને ૧૦૦૦ની નોટ ૮મી નવેમ્બર ૨૦૧૬ની મધરાતથી રદબાતલ જાહેર થશે કે તરત જ મારા ઘરે હોબાળો મચ્યો. અમેરિકા વોટિંગમાં તો ભારત નોટિંગમાં  એટલે કે નોટ ગણતરીમાં વ્યસ્ત થઈ ગયું. ભારે હૈયે મારા પત્નીશ્રી બોલ્યા કે હવે ? મે પુછ્યુ કે કેટલી નોટો છે ? ( મને એમ હતું કે  એની પાસે બે પાંચ નોટ હશે અને મારી પાસે તો ગણીને માત્ર બે જ છે) ત્યાં તો પત્ની શ્રી એક આખુ બંડલ લઈને આવ્યા. અને મને ફાળ પડી ? મનોમન મોદી સાહેબનો મનથી આભાર માન્યો કે જેમના કારણે મારા ઘરમાં રહેલું કાળું નાણું બહાર આવ્યું.જે સમૂળગું મારી જાણ બહાર સચવાયેલું હતું  ( અને જે મારા મહેનતની જ આડપેદાશ હતી).

ત્યાં તો એક મિત્રનો ફોન આવ્યો કે મીતભાઈ મારી પાસે ૨૦ પેટી છે એનું શું થશે ? મને એટલા રુપિયા મળશે ને ? મેં કહ્યું દસ પેટી મને આપી જા નવ પેટી અપાવવાની મારી જવાબદારી. અને એ રસ્તો ના સુઝતો હોય તો ૨૦ જણાની ટીમ બનાવી બધાને ઓશન ઈલેવન જેવી ટીમ બનાવી વારાફરતી નોટો બદલાવવા મોકલ. તો વળી બીજા મિત્રએ ફેસબુક પર રાડ પાડી કે એટીએમ કેમ બંધ રહેશે ? મેં કહ્યુ મોદી સાહેબ એક દિવસ માટે તમને ગાંધીજીની કિંમત કરાવવા માંગે છે. જે દસ દસ રુપિયાના છુટ્ટાની કિંમત નહોતા કરતા એમને મોદી સાહેબે ભાન કરાવ્યું કે રકમ મોટી નથી હોતી પણ ટાઈમીંગ મહત્વની હોય છે. મને ઘણીવાર થતું કે ઘણા અમીરોને ત્યાં ઘરે પાંચ દસ પેટી રોકડા પડેલા હોય છે?  મારા ઘરે પાંચ પેટી દસ પેટી કેમ નથી ? તેની સામે હવે થાય સારું થયુ કે હાલ પુરતી નથી. બેન્કવાળાઓની કટકટથી બચ્યો. ૫૦૦ કે ૧૦૦૦ની નોટો ખાનગી જ રાખે તો બધી કાગળ બની જાય અને જો બહાર કાઢે તો બધી કાગળ પર ચઢી જાય.

મોદીસાહેબે ચુંટણી વખતે જાહેરાત કરી હતી કે દેશમાં બ્લેકમની તેઓ પરત લઈને આવશે. પણ એમણે આ પગલું લઈ લોકોને હેપ્પી રિયલાઈઝેશન કરાવ્યુ કે જે વસ્તું તમારી પાસે છે તેની શોધ બહાર શું કામ કરો છો ? જે લક્ષ્મીની અપેક્ષા તમે મારી પાસે રાખો છો એ તો તમારા ઘરમાં જ છે એને બહાર શોધવા જવાની જરુર નથી. એટલે મોદી સાહેબે બધાના અંતરના ચક્ષુ ખોલી આપ્યા. મોદી સાહેબ ૨૦૧૯ની ચુંટણી માટેની ઇલેકશનની સ્પીચમાં કવર કરતા કહેશે, " મેરે ભાઈઓ ઔર બહેનો મે સ્વીકારતા હું કિ મેં વિદેશ મે રહે કાલે ધનકો ભારત કે અંદર મેં લેકર નહિ આયા પર દેશ કે અંદર રહે કાલે ધન કો બાહર લેકર આયા વો ભી કમ ઉપલબ્ધિ નહિ હૈ."  દિવાળી પર આખુ વર્ષ અમારી રક્ષા કરતા વોચમેનને મેં હરખપદુડા થઈ ૫૦૧ રુપિયાની બોણી આપેલી જે લઈને અમારા વોચમેન દરવાજે પ્રગટ્યા જેમાં પાંચસોની નોટ લઈને વોચમેન આવ્યો અને કહ્યું સાહેબ આ ૫૦૦ની નોટ બદલાવી ૧૦૦ ની પાંચ નોટ આપી દેજોને. તમતમારે ટાઈમ લેજો મને કોઇ ઉતાવળ નથી." મે એને એ નોટો આવતા વર્ષે જ આપવાનો નિર્ધાર કર્યો છે. જોકે મોદીસાહેબના નિર્ણય સામે સૌથી મોટો બળાપો એટીએમ મશીનો કાઢશે. કારણ કે હવે ૫૦૦ રુપિયા આપવા એકને બદલે પાંચ નોટો ગણવી પડશે. અમેરિકન રાષ્ટ્રપતિના ઉમેદવારોને એમ હતું કે આવનારા દિવસોમાં અમે દુનિયામાં છવાયેલા રહીશું તો મોદી સાહેબે બધાને કહ્યું કે બકા થોડી હવા આવવા દે.


હવે પેપરમાં જાહેરાતો આવશે.
નવી જાહેરાત-નોટ બદલાવવા માટે માણસ જોઇએ છે.જરુરી લાયકાત- આધારકાર્ડ, પાનકાર્ડ ધારક હોવો જોઇએ. બેન્કમાં લાઈનમાં ઉભા રહેવાની શારીરિક ક્ષમતા અને પુરતી નવરાશ હોવી જોઇએ.
બેન્કવાળા કટાણું કરે તો સહન કરવાની સહનશક્તિ હોવી જોઇએ.પગાર-લાખ રુપિયે ૫૦૦/- મળશે.


મારુ મન થાય કે આજે જ ફોરેન ટ્રીપ મારી આવુ.મેક માઈ ટ્રીપ વાળાની હોટેલોમાં રહીને કેશ ઓન ચેક આઉટમાં કેશ ૫૦૦ કે ૧૦૦૦ની નોટો આપું. આઈસ્ક્રીમ ખાવા ફેમીલી સાથે જાઉં  અને રાજભોગ નો ભોગ લીધા બાદ ૫૦૦ની નોટ પકડાવું. અને પેલો લેવાની ના પાડે તો કહું ખાતે લખી દેજે. પેટ્રોલ પંપ પર ૧૦૦૦નું પેટ્રોલ ભરાવી ૧૦૦૦ની નોટ આપું. હવે ગણપતિ નવરાત્રિમાં ફાળો ૨૦૦૧ મંગાશે. પાવૈયા પણ એટલી જ રકમ આશીર્વાદ આપવા માંગશે. લગ્નોમાં દહેજ માંગનારાઓની હાલત કફોડી થશે કારણ કે ૫૦૦ અને ૨૦૦૦ની નવી નોટોમાં ટ્રેકિંગ સિસ્ટમ છે. કોઇ પેમેન્ટ લઈ જાય અને જો બોલે પેમેન્ટ મળ્યું નથી તો ટ્રેકિંગ વડે એ પણ પકડાશે. આંગડિયાઓનું કામ સરળ થશે. અરે ઘરમાં કોઇ ચોરી કરે તો એનો ચોર પણ પકડાશે. એટલે ઘણી કામવાળી બાઈઓના પેટે પણ લાત મારી મોદી સાહેબે. નવાઈની વાત તો એ છે કે હજી તો મોદી સાહેબે જાહેરાત કરી કે ૫૦૦ અને ૧૦૦૦ની નોટો આજથી રદબાતલ તો ઘણા પુછવા બેઠા કે ૫૦૦ અને ૧૦૦૦ની નોટો રદબાતલ થઈ તો આ બાબતે તમારું શું માનવું છે ? અરે નવરીના માનવું એટલું જ છે કે દેશ માટે આ જરુરી હતું. અને એ જ કર્યું.

એક વાતની અંહિ ગંભીર નોંધ લેજો. ભારતના અધિકાંશ લોકોની ઝિંદગી લાઈન મારવામાં અને લાઈનમાં રહેવામાં જ વીતતી હોય છે. પહેલા આધારકાર્ડ, પછી વોટિંગ કાર્ડ, પછી પાસપોર્ટ, જનધન યોજના, બેન્ક, વોટ આપવા માટેની લાઈન, હોસ્પિટલોમાં લાઈન અને  હવે રુપિયા બદલાવવાની લાઈન.

ચચરાટ-કોઇ પણ સરકારી અધિકારી માટે ચેતવણી કે નવી નોટો લાંચ રુપે લેવી નહિ. નહિતર હવે તો ફિંગર પ્રિન્ટની પણ જરુર નહિ પડે બસ ટ્રેકિંગથી જ પકડાય જવાની સંભાવના રહેલી છે.


Thursday, September 15, 2016

રોંગ સાઈડ રાજુ અને અલી..!

બે ફિલ્મોના ટ્રેલર જોયા ત્યારથી જ મન હતું કે આ બન્ને ફિલ્મો તો જોવી જ રહી અને બન્ને જોઇ પણ નાંખી પણ બન્ને ફિલ્મોને જોતી વખતે એક જ વસ્તુ ફિલ થઈ કે ભાઈ હવે આ પિક્ચર પતે તો સારુ કે કંઈ સરપ્રાઈઝ આપે તો સારું. હરખપદુડા થઈને નવાજુદ્દીન સિદ્દિકીને વધાવવા માટે પહેલા ફ્રીકી અલી જોવાનું નક્કી કરીને અંકે ૧૦૦ રુપિયા ખર્ચી રવિવારની સવાર બગાડીને ફિલ્મ જોવા ગયા. તો માલૂમ પડ્યુ કે સોહેલ ખાને કાસ્ટિંગ ડિરેકટરને જ સીલેક્ટ કરવામાં થાપ ખાધી હતી. અને પછી બે ચાર પાત્રોને બાદ કરતા બાકીના મોટાભાગના પાત્રો નબળા પુરવાર થયા. કારણ કે કાસ્ટિંગ ડિરેકટરે કાસ્ટિંગમાં જ ગોથાં ખાધા છે. પેલા રાણી બનેલા આંટી  સાથેનો પહેલો સીન જ કાસ્ટિંગ ડિરેકટરની ભુલો બતાવવાનું શરુ કરે છે.  કેટલાક સીન જોઇને તો વારેવારે એમ થાય કે આવી મોટી ગોલ્ફની ટુર્નામેન્ટ અને એને જોવા માત્ર પચ્ચીસ પચાસ માણસો જ તાળીઓ પાડવા આવે ? સૈરાટમાં એક ક્રિકેટની ટુર્નામેન્ટ જોવા બસ્સો ત્રણસો જણા તો અમથા અમથા પણ સીનમાં દેખાય છે. ફ્રિકી અલીમાં ત્રણ જ જણને પગાર બરાબર મળ્યો છે અને તેઓ એ સરખો ન્યાય કર્યો છે. એક નવાજુદ્દિન સિદ્દિકી, બીજા હતા કેડી બનેલા આસિફ બસરા જેઓએ રોંગ સાઈડ રાજુ નામની ગુજરાતી ફિલ્મમાં મુખ્ય ભુમિકા ભજવી છે. અને ત્રીજો ડાયલોગ રાઈટર. ઘણા ડાયલોગ આપણને નવાજુદ્દિનની આગવી અદાને લીધે ગલગલિયા કરાવી જાય છે. બાકી અરબાઝે હવે એકટિંગ છોડી માત્ર ફિલ્મ નિર્માણ તરફ જ ફોકસ કરવું જોઇએ એવું અનુભવાય છે. ફિલ્મ જોતા જોતા એમ થાય છે કે અરબાઝની એકલતા અને બેકારી માટે થઈને અમારો ભોગ કેમ લો છો યાર ? એટલે ફ્રિકી અલી જોવા માટૅ સાવ નવરા હોવ અને સારી બધી સારી ફિલ્મો જોઇ નાંખી હોય અને તમારે ડ્રિસ્ટ્રેક્ટ જ થવું હોય અથવા બે ત્રણ કલાક પસાર કરવા હોય અને એસીવાળા થિયેટરમાં ઊંઘાવું હોય તો અને તો જ આ ફિલ્મ જોવી બાકી તો દુરથી પ્રણામ કરી દેવી. 

આ લેખનું ટાઈટલ બે ફિલ્મોના ટાઈટલથી બનાવ્યું છે એટલે બીજી ફિલ્મની પણ વાત કરી લઈએ. ફ્રિકી અલી પુરી થઈ તો મિત્ર રોનક બોલ્યો આના કરતા રોંગ સાઈડ રાજુ જોઇ હોત તો સારું થાત. અને સારું થશે એવું ધારીને જ રોંગ સાઈડ રાજુ જોવા ગયો તો એમાં ફિલ્મની સ્પીડ જોઇ ડિરેક્ટરને કહેવાનું મન થાય કે ભાઈ થોડી સ્પીડ વધારને. કેવી રીતે જઈશ અને બે યાર જેવી સફળ અને ઉત્તમ ફિલ્મો આપનારા અભિષેકની ફિલ્મોમાં જોવા મળે છે એવા લોકલ ઉચ્ચારણો, નામો, કહેવતો, આમાં જોવા નથી મળતા. અરે કેવી રીતે જઈશ અને બે યાર માં આંખો ભીની કરનારા તો ગલગલિયા કરાવનારા ઘણા સીન હતા પણ રોંગ સાઈડ રાજુમાં તો એનો પુરેપુરો અભાવ છે. એક પણ સીન જોઇ આંખે ઝળઝળિયા આવતા જ નથી. અને ગલગલિયા તો પરાણે આવતા હોય એમ લાગે છે. અને ઘણા મુદ્દે તો ડિરેક્ટર સહિત બધા જ થાપ ખાતા હોય એવું અનુભવાય છે.  એક બુટલેગર પકડાય તો એની પોલીસમાં ઓળખાણ જ ન હોય તે કેવી રીતે બની શકે ? હપ્તો આપ્યા વગર કોઇ બુટલેગર એનું કામ જ ન કરી શકે એ વાત તો જગજાહેર છે. અને પોલીસ ત્રણ બાટલી લઈને પકડાયેલા એક બુટલેગર પાસે ૨૦ લાખ રુપિયા પતાવટ માટે માંગે તે પણ કેવી વાત ? અને આવા બુટલેગરનો કોઇ કાયમી વકીલ પણ ન હોય તે પણ વાત ગળે ઉતરતી નથી. એક જરા સરખા ઝટકા ગાડીમાં અનુભવતો તગડો અમીરજાદો મરી કેવી રીતે જઈ શકે  ? જે માણસ પોતાની ધાકથી પોતાના આવનારા પ્રોજેકટ સાથે જોડાનારાઓને કોન્ટ્રાક્ટ પર સાઈન કરવા મજબુર કરી શકે એ જ વ્યક્તિ કેવી રીતે કશું કર્યા વગર ખાલી ખાલી હાથ પગ મારીને બેસી રહી શકે ?  ફેસબુક પર  ઘણા લોકોના આ ફિલ્મના વખાણવાળા વિડીયો જોવા મળ્યા જેમાં ઘણા લોકોએ ખોટે ખોટા વખાણ કર્યા છે એવું રોંગ સાઈડ રાજુ ફિલ્મ જોયા બાદ ફલિત થાય છે. અરે હાઈકોર્ટના કોર્ટરુમનો સીન તો એવો હતો જાણે માર્કેટમાં કોઇ ઝઘડો થયો અને એમાં સામ સામી દલીલો કરીને ત્યાં જ ફેંસલો આણવાનો હતો. વિડીયો જોવા બાબતે જ્યારે વકીલો લડે છે ત્યારે એમ થાય કે સ્ટોરી લખનારને એ બાબતનો સહેજે ખ્યાલ નહિ હોય કે આવા હાઈ પ્રોફાઈલ કેસમાં અગત્યની લાગતી દરેક વસ્તુ કોર્ટમાં જોવી કે ન જોવી તે જજ પોતે નક્કી કરે છે એના માટે કોઇ દી આનાકાની કરી જ ન શકાય. ગજની, તારે ઝમીં પર જેવા ટાઈટલ મુકીને પ્રેક્ષકોને હસાવવાનો નિરર્થક પ્રયાસ થતો માલૂમ પડે છે. જ્યારે રાજુના વકીલ બનેલા હેતલ પુણીવાલા એ સીનનાં અંતે ઇમોશનલ થાય છે  ત્યારે એમ થાય કે લે આ તો પાણીમાં વઘાર કરવા બેઠા. અને એન્ડ જોઇને એવું ફિલ થાય જાણે ફિલ્મ પ્રોડકશનના બધા ટિમ મેમ્બર ડિરેક્ટરને ધીમી રફતારથી કંટાળીને કહેતા હોય કે ભાઈ ફિલ્મ પુરી કરોને. અને ડિરેક્ટર ફ્ટ્ટાક દઈને ફિલ્મ પુરી કરી નાંખે છે. 

મુદ્દો એ જ કે આ ફિલ્મનું પિષ્ટપિંજણ કરવાનું મન એટલા માટે થાય છે કારણ કે આ ફિલ્મ પાસેથી માફકસરની અપેક્ષા હતી.  જેમ 'બે યાર' અને 'કેવી રીતે જઈશ ' ફિલ્મોના ખોબલે ખોબલે સાચાં વખાણ કર્યા હતા કારણ કે એ વખાણને લાયક હતી અને લોકોને સામેથી એ ફિલ્મો એક્વાર જોવાની રેડિયો થકી, સોશ્યલ મીડીયા થકી અથવા અંગત રીતે રુબરુમાં  સલાહો આપી હતી. તેવી રીતે રોંગ સાઈડ રાજુ માટે કહેવાનો જીવ ચાલતો નથી. 

ચચરાટ ઃ માન્યું ફિલ્મ બનાવવું એ બહુ જ અઘરું કામ છે. અને એ માટે રાત દિવસની મહેનત લાગતી હોય છે. પણ એ જ ફિલ્મને જોવા માટે ખર્ચાતા અમારા ૧૦૦ રુપિયા કમાવા માટે અને એ સો રુપિયાની ટિકિટ એડવાન્સમાં મેળવી લેવા માટે બે વાર થિયેટર પર આંટો મારવાની મહેનત કરવી પડતી હોય છે.  જે આ કળયુગમાં બહુ મોટી વાત છે. 

Tuesday, September 13, 2016

વિદેશ ફરવા જ જવાય સેટલ થવા કોઇ કાળે નહિ..

એક અખબારી અહેવાલ વાંચીને હિન્દી ફિલ્મ જગતનું એક ગીત ગણગણવાનું મન થાય છે કે યે તો હોના હી થા. ન્યુઝીલેન્ડમાં હાલમાં ૧૫૦થી વધારે વિધાર્થીઓને એટલા માટે દેશ છોડવાનો આદેશ અપાયો છે કારણ કે તેમણે વિઝા મેળવવા માટે નકલી ડોક્યુમેન્ટસનો સહારો લીધો હતો. આ માટૅ ન્યુઝીલેન્ડની સરકાર માટૅ એટલું જ કહી શકાય કે રાંડ્યા પછીનું આ ડહાપણ છે. કારણ કે જે વિધાર્થીઓએ ૧૪ લાખથી વધુની રકમ ખર્ચી અને જે દેશને પરોક્ષ રીતે પોષ્યો એણે જ્યારે સ્ટડી પુરી થવા આવી ત્યારે વિધાર્થીઓને નકલી ડોક્યુમેન્ટ માટે થઈને ડિપોર્ટ કરવાની સજા ફટકારી છે. વિધાર્થીઓ પર નભતા દેશોમાં ન્યુઝીલેન્ડ મોખરે હશે. કારણ કે એક વિધાર્થી ઓછામાં ઓછા ૧૦ થી ૧૫ લાખ લઈને દેશમાં પ્રવેશે છે. અને વાર્ષિક ૮૦ હજારથી વધુ વિધાર્થીઓ ન્યુઝીલેન્ડમાં ભણતરના નામે પ્રવેશ લે છે. અને વિધાર્થીઓ એ ભરેલા ફિસના રુપિયા પણ પ્રાઈવૅટ કોલેજો પાસે સીધા નથી જતાં પણ સરકાર પોતાની પાસે રાખી દર મહિને કોલેજોને હપ્તા પ્રમાણે ચુકવે છે. જુના જમાનામાં ભારતમાંથી મજુરોને પોતાના શાસિત પ્રદેશમાં લઈ જઈ અંગ્રેજો મજુરી કરાવતા. અને એવી જ પ્રથા આજે પણ યથાવત છે. બસ ફરક એટલો છે સસ્તા મજુરો આજે સ્વેચ્છાએ વિદેશોમાં મજુરી માટૅ સામેથી રુપિયા આપીને જાય છે.  પોતાના દિકરા-દિકરીને હોંશે હોંશે વિદેશ ભણવા અને સેટલ કરવા મોકલતા માતા-પિતાઓ કેટલીક વાસ્તિવક્તાઓને ધ્યાને રાખીને એમને વિદેશ ભણવા મોકલે.

ન્યુઝીલેન્ડ જશો એટલે જોબ મળી જશે.
આ માટે એટલું જ કહેવાનું કે આ એક નકરું જુઠાણું છે. ત્યાં કોઇ કાળે નોકરી લઈને કોઇ બેઠું હોતું નથી. ત્યાં તમારા ગમે તેટલા સગા હશે પણ જોબ મેળવવા તમારે રીતસર કરગરવાની નોબત આવતી હોય છે. ઓળખીતાઓ તો દુઃખતા પર ડામ દેતા હોય તેમ સુફિયાણી સલાહ આપવા સિવાય કોઇ કામ કરતા નથી. ( એ બાબતે હું નસીબદાર હતો ) અને નોકરી- કામ મળે તો એમાં ક્લીનીંગના, મજુરીના, કુરિયર વાળાના, ખેતરોમાં મજુરી કરવાના, પિત્ઝા કે બર્ગરની દુકાને કે પેટ્રોલ પમ્પ પર તમારી નોકરી લાગે. અને આમાં પણ જ્યારે ભારતીયોની વાત આવે તો શોષણ કરવામાં એ લોકોના કિસ્સા તો જગજાહેર છે. નાની ઉંમરે ન્યુઝીલેન્ડ પંહોચીને સીક્યુરીટી કે કુરિયર બોક્ષ ઉંચકવાના કામો કરતા ટાબરિયા તમને ન્યુઝીલેન્ડના નીતિ નિયમો એવી રીતે શીખવે કે જાણે તમે તો જીવનમાં માત્ર જખ જ મરાવી છે.  તમારા સંતાનને જો તમે રુપિયા પૈસા વગર મોક્લ્યા હશે તો એનું આવી બનશે. કારણ કે પાઈ પાઈનો હિસાબ રાખતા મોટાભાગના ચીકણા ભારતીયો તમારા સંતાનને ક્યારે ઘરમાંથી નીકળી જવા કહી દે તેનું કંઈ ઠેકાણું નહિ. બે નાના બેડરુમના એપાર્ટમેન્ટમાં સાત થી આઠ જણા એટલા માટે ગોંધાયને જીવે છે કે જેથી ડોલર બચે. અને મુંબઈની ચાલ સિસ્ટમ યાદ અપાવે. 

ન્યુઝીલેન્ડમાં પી આર સરળતાથી મળૅ છે. 
સુરતીમાં કહું તો 'કંટોલા'.તદન જુઠાણું. ન્યુઝીલેન્ડમાં તમને પી આર તો જ સરળતાથી મળે જો તમને કોઇ ત્યાંનો વ્યવસાયી સરકાર સમક્ષ તમારી હાજરીની અનિવાર્યતા સાબિત કરે કે આ વ્યકિતની અમને ખુબ જ ગરજ છે અને એના વિના ચાલે એમ નથી. અથવા તમે ત્યાંના નાગરિક જોડે પરણી જાવ.  પી આર મેળવવા માટે વિધાર્થીઓ જે હિસાબે સંઘર્ષ કરે છે અને શોષણનો ભોગ બને છે તે હકીકતોના કિસ્સા પણ જાણવા જેવા છે. આઈ ટી, મેડિકલ એ સિવાયના વિષયવાળા ખાસ કરીને બિઝનેસ કોર્ષ લેનારા વિધાર્થીઓ માટે તો ન્યુઝીલેન્ડ એ શોષણનું કેન્દ્ર છે. જેમકે એક વિધાર્થી લેવલ ૫ ના બિઝનેસ કોર્ષમાં એડમિશન લે છે. અને એને અઠવાડિયે માત્ર ૨૦ કલાક જ કામ કરવાની પરવાનગી ઇમીગ્રેશન વિભાગ આપે છે. ત્યાર બાદ એને એક વર્ષના જોબ સર્ચ વિઝા મળૅ છે. જેમાં એણે એકાદ એવા એમપ્લોયીને શોધવાનું હોય છે જે એને વર્ક વિઝા માટૅ સપોર્ટ કરે જે મળવું લગભગ મુશ્કેલ છે. એટલે વિધાર્થી એક વર્ષમાં મજુરી કરી જે રકમ ભેગી કરે છે. પણ વિઝા સપોર્ટ ન મળતા તે ન્યુઝીલેન્ડમાં ટકી રહેવા ફરી લેવલ -૬ ના કોર્ષમાં એડમીશન લે છે અને કમાયેલા રુપિયા એમાં ખર્ચે છે. અને ફરી અઠવાડિયે ૨૦ કલાકની મર્યાદામાં જોબ કરવા બંધાય છે. એટલે ભેગી કરેલી મુડી ફરી ખર્ચાય છે. કારણ કે ન્યુઝીલેન્ડમાં એક મહિનાનો ખર્ચ જ ૭૦૦ થી ૮૦૦ ડોલરનો થાય છે. અને આ ક્રમ લેવલ ૭ સુધી ચાલે છે. અને અંતે વિધાર્થી દેશ પરત થાય છે. 
વિઝા અને પી આર મેળવવા ત્યાંની નાગરિક હોય તેવી છોકરીઓ સાથે લીવ ઇન રિલેશનશીપમાં રહેવાના, અરે ઉંમર લાયક સ્ત્રીઓ સાથે પરણવાના કિસ્સા પણ સાંભળવા મળે છે. અને ઘણા તો લગ્ન પણ કરી લેતા હોય છે. 

 ન્યુઝીલેન્ડ્માં લાઈફ સેટ થઈ જશે.
કોઇ કાળે લાઈફ સેટ થતી જ નથી. એને સેટ થતા થતા સહેજે ૧૫ થી ૨૦ વર્ષ લાગી જાય છે. ઘણા બધાને વિઝાના ચક્કરમાં માતા-પિતાના અંતિમ સંસ્કાર ચુકી જવાના, લગ્નભંગના કિસ્સા કહેતા સાંભળ્યા છે. વાતે વાતે જાહેરમાં  નૈતિકતાના બણગા ફુંકતા લોકો જ અનૈતિક રીતે સેટલ થવાના કિમીયા શોધતા અને બતાવતા હોય છે. ભગવાનની ભક્તિના યોજાતા કાર્યક્ર્મોમાં પણ લોકો એટલા માટે જાય છે જેથી કોઇ જોબ અપાવી દે. જીવનનાં શરુઆતના વર્ષો વર્ક વિઝા અને પી આર મેળવવામાં જતા રહે છે અને પી આર મળ્યા બાદ રાહત શું ? તો મેડિકલ ફ્રી , બાળકો માટે એજ્યુકેશન ફ્રી. પણ એની સામે ભોગ શાનો શાનો લેવાયો ?
માતા-પિતા નાદુરસ્ત હોય તો તેવા સમયે ફેસબુક પર બેસીને રોદણાં રોવાના કે " હું તારી સાથે નથી પણ હું હંમેશા તારી પડખે જ છું." ભારતમાં બાળપણના મિત્રો,સ્કુલ-કોલેજના મિત્રો, ઓફિસના સહકર્મચારીઓના જીવનમાં આવતી ખુશીઓને માત્ર ફેસબુક પર લાઈક કરીને ખુશ થતા રહેવું. 

સસ્તી મજુરી મેળવવા માટે જ ન્યુઝીલેન્ડ બિઝનેસના વિધાર્થીઓને સરળતાથી વિઝા આપે છે.
ન્યુઝીલેન્ડની સરકાર જાણે છે કે ભારતીયો ગમે તે ભોગે કામ કરવા રાજી થશે. એટલે ૧૫ ડોલર પ્રતિ કલાકને બદલે જો ભારતીયોને ૨ ડોલર પણ મળશે તો તેઓ કામ કરશે. અને એવા ઘણા કિસ્સા પકડાયા છે. સાથે જ ખેતરોમાં કેશ કામ કરવા પણ મજુરો તરીકે ભારતીયો તૈયાર રહે છે. નિયમ મુજબ ૨૦ કલાક અઠવાડિયે કામ કરી શક્તા વિધાર્થીઓ નિયમ વિરુધ્ધ જઈ કેશમાં કામ કરતા જોવા મળે છે. બિઝનેસ કોર્ષ પર એડમિશન લેનાર વિધાર્થીને ન્યુઝીલેન્ડમાં વર્ક વિઝા મૅળવવા મેનેજરની પોસ્ટ જ ઓફર થવી જોઇએ અને તે પણ એવી કે જેમાં પ્રોડક્ટનો ભાવ નક્કી કરવાનો એને અધિકાર હોય. અને એવી પોસ્ટ મળવી લગભગ મુશ્કેલ. વળી કેટલાક વિસ્તારો તો એવા વસાહતીઓ માટે પ્રખ્યાત કે જેઓ પાસે વેલીડ વિઝા જ નથી. પણ બસ  ત્યાં એક ગુમનામ જીવન જીવી રહ્યા છે. અને જે દી પકડાય તે દિવસે સીધા ડિપોર્ટ કરવાની સજા ભોગવીને ભારત પરત આવે છે. 

એક સિસ્ટમ તો એવી છે જેમાં કેટલાક ભારતીયો એવી સ્કીમ ચલાવે છે કે જેમાં તમારે એમને એક તગડી રકમ આપવાની હોય છે અને તેના બદલે તેઓ તમને પી આર મેળવવામાં સપોર્ટ કરતા હોય છે.એટલે પી આર અપાવવો એ પણ એક તગડો બિઝ્નેસ છે.  

અને આ વાર્તા માત્ર ન્યુઝીલેન્ડની જ નહિ પણ મોટાભાગના એ દેશોની છે જેમણે સ્ટુડન્ટ વિઝા નામની હાટડીઓ ખોલી રાખી છે. છાશવારે ભારતીયોને ત્યાંના નાગરિકો ભાંડતા હોય છે. પોલીસનો સહયોગ નાગરિકો પ્રત્યે વધુ જોવા મળે. સાંજે ૬ વાગ્યા પછી સબર્બ વિસ્તારોમાં ન નીકળવાની સલાહ તમામ લોકોને હોંશે હોંશે અપાય છે. કારણ કે ત્યાં તમને કોઇ પણ લુંટી શકે. યુવાનો લુંટારા બની સીસીટીવી કેમેરા સામે તમને લુંટીને જઈ શકે પણ સજા રુપે એમને સામાજીક કાર્યો કરવાની સજા ત્યાંની યુથ કોર્ટ આપે છે.૧૪ થી ૧૫ લાખની જે રક્મ વિધાર્થીએ ભરી હોય એમાં એક થી બે લાખનું કમીશન તો માત્ર તમારો વિઝા એજન્ટ જ કોલેજ સાથેના જોડાણ થકી ચાંઉ કરી જાય છે. 

વધુ આવતા અઠવાડિયે...!

Tuesday, August 23, 2016

કેટલીક ભણેલી પણ અભણ જેવી અને કેટલી્ક અભણ પણ ભણેલી માતાઓ માટૅ.

શીર્ષક વાંચીને ઘણાને ચચરાટ થયો હશે પણ બોસ મારો માતૃપ્રેમ જગજાહેર છે. મને મારી માતા દુનિયામાં સૌથી વધુ વ્હાલી છે. અને આ શીર્ષક મારા ઘરની મહિલાઓને પણ લાગુ પડે જ છે. જો કે દિવા તળે અંધારુ હોય અને શેઠની શિખામણ ઝાંપા સુધી હોય એ કહેવત અનુસાર મારા ઘરમાં પણ મારા ઘરની મહિલાઓ નિયમ મુજબ જીવવાની વાતો ભુલી જાય છે.  એ લોકોની પણ કોઇ પારકી માતા બને અને એમના કાન વીંધે એવી પ્રભુને પ્રાર્થના કરુ છું. અને હું પણ આવી જ માતાઓના કાન વીંધવા આ લેખ લખી રહ્યો છું. 

સામાન્ય રીતે ભારતમાં ઇમાનદાર હોવું એ મુર્ખામીની નિશાની છે. કોઇ વ્યક્તિ નિયમ મુજબ ચાલે અથવા નિયમની વાત કરે છે કે તરત એને હડકાયેલા કુતરાની જેમ અનિયમિત અને અનિયંત્રિત લોકો કરડવા દોડતા હોય છે. મતલબ રીતભાત કોઇએ શીખવા મથવું જ નથી અને જે રીતભાતથી ચાલે છે એને પણ અસભ્ય બનાવવા મથે છે. છેલ્લા ઘણા દિવસોથી અલગ અલગ જગાએ ફરવા જવાનું થયું અને ત્યાં આગળ આપણી અસભ્યતા અને અસંસ્કૃતિ જોઇને દંભી ભારત માટેની વાત પૂરવાર થાય છે. બીલપુડી પાસે આવેલા જોડીયા ધોધની મુલાકાત લેવા ગયા તો ત્યાં ઠેર ઠેર વેફર્સના પેકેટ, પાણીની બોટલોનો પ્લાસ્ટિકનો કચરો અને કચરા જેવા માનસિકતા વાળા દેખાયા. ત્યાં જ શરાબની વ્યવસ્થા પણ જોઇ ( શરાબ પીવે એનો મને વાંધો નથી પણ એ પીતા પીતા વેફરના પેકેટ ત્યા રઝળતા મુકે મને એનો સખત વાંધો છે.) અને કેટલાક લોકોને પ્રકૃતિની ઘોર મશ્કરી કરતા પણ જોયા.  એવું જ કંઈક સુરતનાં ગોપીતળાવમાં પણ અનુભવાયું જ્યા આવેલા ચતુષ્મુખી વાવમાં વેફરનું રેપર,પ્લાસ્ટિકની થેલી એ બધું પડેલું જોયું. ફુવારામાં કોઇએ પ્રવેશવું નહિ એવી સુચનાઓ પણ જોઇ અને ગમે તેમ થુંકવું નહિ એના બોર્ડ પણ જોયા. અને તોયે  અમારી જ આગળ ચાલતા એક પરિવારના બાળકે ભુંગળાનું  પ્લાસ્ટિકનું પેકેટ રસ્તામાં પધરાવ્યું.  સ્વચ્છતા એ તો આપણો માનવીય ગુણધર્મ છે જે આપણા કરતા પશુઓ વધારે સારી રીતે પાળે છે અને એ તો જન્મજાત આવડવું જ જોઇએ.

આ ગુણધર્મ શીખવવાની ત્રેવડ મનુષ્ય જાતિમાં એક જ વ્યકિતના હાથમાં પ્રાથમિક કક્ષાએ  હોય છે અને તે વ્યક્તિ એટલે માતા. માતા જ બાળકને જમતા, ચાલતા બોલતા શીખવવામાં મહત્વની ભુમિકા ભજવે છે. અને બાળક ત્યાંથી જ સ્વચ્છતાના પાઠ પણ શીખે છે.  જ્યારે આપણે ત્યાં ગંદકી અને અસ્વચ્છતાનું પ્રમાણ જોઇએ છીએ તો એમ થાય છે કે જેને ઇશ્વર ગણીને આપણે પૂજા કરીએ છીએ એ માતાઓ તો સ્વચ્છતાની કેળવણી આપવામાં ઉણી ઉતરી છે. અનુભવ અને નિરીક્ષણથી કહું છુ કે આ બાબતે મોટાભાગની ભણેલી લાગતી માતાઓ જ નાપાસ થતી જોવા મળે છે. બસ, ટ્રેન કે રિક્ષામાંથી કચરો બહાર ફેંકવાની કેળવણી માતા જ બાળકને પરોક્ષ રીતે આપે છે. અને એ જ પરંપરા બાળક આગળ ધપાવે છે.  અને એમાં જો કોઇ માતાને ટોકીએ તો તે સણસણતો જવાબ બાળકની સામે જ નફ્ફટ બની આપે કે "તમે તમારું કામ કરોને. અમે અમારા બાળકોને ગમે તે શીખવીએ તમારા બાપનું શું જાય છે. "

એવી જ રીતે ઘણી માતાઓને બાળકોને લઈને રસ્તે ચાલતા જોઇએ છીએ જેમાં બાળક પૂરપાટ ઝડપે ચાલતા વાહનો બાજુ અને મમ્મીઓ અંદરના ભાગે ચાલતી હોય છે. અને આપણે એ માતાઓને  વિનમ્રતાપુર્વક કહીએ કે " બેન તમારા બાળકને અંદરની સાઈડ લઈ લો " તો જાણે કોઇ ઘોર પાપ કર્યુ હોય તેમ તેઓ આપણને જુએ છે અને ધરાર નફ્ફટાઈપુર્વક કોઇ પ્રકારનું પરિવર્તન કરતા નથી. અને બાળક રોડ સાઈડ જ રહે છે અને તે પોતે અંદરની સાઈડ જ ચાલે છે. બાળકોને શાળા કે ટ્યુશનથી છુટયા બાદ પીક  અપ કરવા જતી માતાઓ જ્યારે એક નાનું સર્કલ ફરવાને બદલે રોંગ સાઈડ ગાડી ચલાવી બાળકને ઘરે લઈ જતી જોવા મળે ત્યારે ઘણા પ્રશ્નો ઉભા થાય કે જે માતા પોતાના સંતાનને ખુદ રોંગ સાઈડ ચલાવતી હોય તે કેવી રીતે ભવિષ્યમાં પોતાના સંતાનના રોંગ સાઈડ ચાલવા સામે ફરિયાદ કરી શકે ? માતા ખુદ હેલ્મેટ નથી પહેરતી, ચાલુ ડ્રાયવિંગે ફોન પર વાત કરતી જોવા મળે, ઘણી તો બાળકો સાથે હોવા છતાં જાણે રેસ લગાવતી હોય તેમ ગાડી હંકારે અને એ માતાઓ આખરે બાળકને શું શીખવવા માંગે છે ? ટ્રેનમાં બાળકોને સીટ તોડવા છતાં ન અટકાવતી, સ્કુલ ઓટોમાં બાળકને ઓટો ડ્રાયવરની બાજુમાં બેસીને સ્કુલ જવા દેવી માતા એ ખરેખર માતા છે ? બાળક્ની સેફટી એની કાળજી અંહિ ક્યાં જાય છે? માતાનું રુપ વિશ્વમાં પ્રાણી જગતમાં સર્વોચ્ચ છે અને તે રહેશે પણ આવું શીખવતી માતાઓ માતૃત્વનું કયું પાત્ર ભજવી રહ્યા છે ? 
જે લોકો રસ્તે ગમે તેમ માવો ખાઈને થુંકે છે તેઓ કેમ ભુલી જાય છે કે તેઓ પોતાની માતાને એક ખરાબ શિક્ષક તરીકે ચીતરી રહ્યા છે. 

જો કોઇ છોકરો છોકરી જોવા જાય છે તો એણે છોકરીના સ્વચ્છતાના સંસ્કાર જાણવા એના ટોયલેટની અને રસોડાની સ્વચ્છતા અચુક તપાસવી જોઇએ એવી જ રીતે છોકરાને ત્યાં જાવ તો ત્યાં પણ બંને જગાઓ ખાસ ચેક કરવી જોઇએ જેથી કરીને છોકરાની મા ભેગા એના દિકરાની પણ સ્વચ્છતાની સુઝ લઈ શકાય. તમારા બાળકને ફાઈવસ્ટાર સ્કુલ કે કોલેજ્માં મોકલો તો એના પણ જાજરુ અને સ્વચ્છતાના ધારાધોરણોને જ પહેલા પ્રાથમિકતા આપવી જોઇએ. 

સ્વચ્છતા એ નાનો સુનો ગુણધર્મ નથી પણ એ માણસના સ્વચ્છ વ્યકિતત્વ અને ચરિત્રની નિશાની છે.
બાળકના વ્યકિતત્વમાં શું આપી રહ્યા છો ? એની કોઇને ફિકર કે તમા જ નથી. તમે રોંગ સાઈડ જાવ છો, નિયમો તોડો છો, બેબાકળા થઈને બધા કામો કરો છો, શરીરને સાચવતા નથી, બીમારીઓનો ભોગ બનો છો, લડો છો ,ઝઘડો છો અને અંતે મરો છો. શું કામનો એ વૈભવ જ્યાં તમારી ફાંદ નીકળી હોય અને તમારા વાળ ધોળા થઈ ચુક્યા હોય અને દાંતમાં પીળાશ હોય અને તમે બીએમડબ્લ્યુમાંથી ઉતરતા હોવ. વિચારો દોસ્ત વિચારો.   

ચચરાટ- મોટા ભાગની ભણેલી મમ્મીઓ કરતા મોટાભાગની અભણ માતાઓ સારી.


Wednesday, July 27, 2016

ગરીબીની વ્યાખ્યા બદલાઈ-તમે ગરીબ કે અમીર ?

આજકાલ ગરીબાઈની વ્યાખ્યા બદલાઈ છે અને એ વ્યાખ્યાના સંદર્ભમાં જ વાત કરવી છે. પહેલાના જમાનામાં ગરીબ કોને કહેવાતું ? જેની પાસે બે ટંકનું ખાવાનું ન હોય, જેને વર્ષે બે જોડી નવા કપડા ખરીદવાના પણ ફાંફાં હોય, જેને રહેવા માટૅ  છત ના હોય અને જેને સંતાનોને ભણાવવાની પણ ક્ષમતા ન હોય.  આજે ગરીબાઈની વ્યાખ્યા બદલાઈ છે. સમય સંજોગો પ્રમાણે કામો વધ્યા પણ લોકોએ જીવનશૈલીમાં આળસને એવી અને એટલી બધી જગા આપી કે હવે એમ થાય કે કોણ ગરીબ નથી ?

ટેકનોલોજીએ માણસના કામો સરળ તો કર્યા પણ સાથે જ એણે માણસને એટલી હદે પ્રમાદી બનાવ્યો કે આજે એ બધી જ રીતે પંગુ અને ગરીબ છે. આજે ગરીબ એને કહીશું જેની પાસે સ્વસ્થ અને તંદુરસ્ત શરીર નથી. જેની પાસે કપડા તો છે પણ કપડાને શોભે એવું શરીર નથી. જેની પાસે મોંઘી કાર તો છે પણ બે કિલોમીટર ચાલવાની ક્ષમતા વગરનું શરીર જે સાવ બેકાર છે. જેને શરીરની કોઇને કોઇ વ્યાધિ છે. જેને ખબર છે કે તેનું શરીર બગડી રહ્યું છે. શરીર જવાબ આપી રહ્યું છે અને તોયે તે માણસ કશું જ કરી શકતો નથી અથવા તો કરવા જ નથી માંગતો. એટલે ન્યુઝીલેન્ડથી જે વસ્તુ શીખવા મળી તે જ તમારી સાથે વ્હેંચવું છે. તો એક કામ કરો નીચે આપેલા પેરામીટરને આધારે ચેક કરો કે તમે કેટલા અમીર છો. જો નીચેની એકટિવિટીઓ તમે કરતા હશો તો તમે માનજો કે તમે એક્ટિવ છો અને તમારા ડિફેક્ટિવ થવાના ચાન્સીસ નહિવત છે.

તમે દિવસમાં કેટલી મિનિટ માટે કસરત કરો છો ?
ન્યુઝીલેન્ડમાં રહેનારા મોટાભાગના લોકો શરીરને લઈને ખુબ જ જાગ્રત રહેતા જોવા મળે છે. ત્યાં મેડિકલ સર્વિસ નાગરિકો માટે મફત છે છતાં ત્યાંના નાગરિકો સવારસાંજ કસરત કરતા જોવા મળશે. સવારે અથવા સાંજે જીમમાં જઈ કસરત કરશે અને સવારે અથવા સાંજે સાયકલીંગ કે પછી દોડવા નીકળશે. વરસાદ હોય કે તડકો કે પછી ઠંડી એમને ફરક નથી પડતો. ઓફિસ જવાની બેગ જોડે લઈને જીમમાં જાય અને કસરત કરીને ત્યાં જ ન્હાઈ ધોઇને સીધા નોકરીએ અને એ જ રીતે સાંજે નોકરીથી સીધા જીમમાં. જો દિવસ પાળીમાં સમય ના મળે તો રાતે જીમ જાય જે ૨૪ કલાક ખુલ્લા રહેતા હોય છે. ટુંકમાં શરીર છે તો જીવન છે એ સત્ય એ લોકો જાણે છે. સૌથી વધુ નવાઈની વાત એ હોય છે કે તમે જે જીમમાં જતા હોવ એ જ જીમમાં કોઇ બિલ્ડિંગના કન્સ્ટ્રકશન કામમાં રોકાયેલો મજુર પણ તમને કસરત કરતો જોવા મળે. ટુંકમાં કસરત માટે જાગૃતિ એટલી બધી છે કે ન પુછો વાત.

અઠવાડિયામાં તમે કોઇ આઉટડોર સ્પોર્ટ્સમાં ભાગ લો છો ?
મોટાભાગના ન્યુઝીલેન્ડવાસીઓ શનિ-રવિ કોઇને કોઇ સ્પોર્ટસમાં ભાગ લે છે. ઘણી વખત હું હાયકિંગ માટે ગયો છું. જેમાં લોકો ભેગા થઈ ડુંગરો પર ટ્રેકિંગની સાથે દરિયા કાંઠે અને જંગલોમાં ચાલવા જાય છે. એમાં ૭૦ વર્ષની દાદીઓ પણ હોંશે હોંશે જોડાય છે. વોટર સ્પોર્ટસ જેમાં કાયાકિંગ, સેઈલીંગ, વિન્ડ સર્ફિંગ, કાઈટ સર્ફિંગ, ડાયવીંગ, સર્ફિંગ, વોટર રાફટિંગ, ફિશીંગ કરતા જોવા મળે  સાથે જ ફુટબોલ, રગ્બી, સ્કેટિંગ, સાયકલીંગ જેવી એક્ટિવીટીમાં લોકો મોટા પાયે ભાગ લે છે. દરિયામાં સર્ફિંગ કરતા કરતા કલાકોના કલાકો વીતાવે અને ઉંચી ઉંચી લહેરામાં જઈ સર્ફિંગ કરે છે.  તમે ૩૦ માળની ઇમારતથી જંપ મારો તો કેવી મઝા પડે ? એવી જ રીતે તમે સ્કુબા ડાયવીંગ કરો તો કેવી મઝા પડે ? વિમાનમાં બેસી સ્કાય ડાયવીંગ કરો તો કેવો જલસો પડે ? અરે ઘણા કપલ્સ તો શનિ-રવિ બે દિવસ દરિયાકાંઠે ના કેમ્પ સાઈટમાં રોકાણ કરવાની તૈયારી સાથે જાય અને દરિયાકાંઠે બેસીને પુસ્તકો વાંચે. બરફના પહાડો પર જઈં ખાસ્સી એવી ઉંચાઈથી સ્કીઈંગ કરતા નીચે ઉતરે, ફરી ચઢે અને ફરી ઉતરે અને આમને આમ બે ત્રણ કલાક કાઢી નાંખે. અને પછી વાઈનની ચટકા લેતા લેતા પોતે જે એકટિવીટી કરી એના વિડીયો જુએ.આપણે દરિયા કાંઠે જઈ બહુ બહુ તો સીંગ ખાઈને છોતરા ફેંકીએ, મક્કાઈને ન્યાય આપી, દરિયાકાંઠે ફોટા પડાવી બેક ટુ હોમ. બરફના પ્રદેશમાં જઈ બરફના ગોળા મારીને પરત ફરી આવીએ. આ બધામાં  લાઈફનો ચાર્મ ક્યા ? લાઈફની હેપનીંગ ક્યાં ?

તમે તમારી ફેમીલી સાથે રોજીંદા કયા ક્યા કામો કરો છો ?
તમે તમારી પત્નીને શાક સમારવામાં મદદ કરો છો ? બાળકોને લેસન કરાવવામાં મદદ કરો છો ? ઘરને વ્યવસ્થિત કરવામાં મદદ કરો છો ? ઘરની સાફસફાઈમાં ભાગ લો છો ? શોપીંગ કરવા બધા જ ફેમીલી મેમ્બર્સ સાથે જાવ છો ? તમે ઘરવખરી ખરીદો છો એમાં દરેક ફેમીલી મેમ્બર્સને પોતાની મરજીની વસ્તુઓ ખરીદવા બજેટ ફાળવો છો ? ફેમીલી સાથે નાસ્તો લંચ કે ડિનર કરવા બેસો છો ?
જવાબ જો હકારમાં હોય તો તમે અમીર છો.

તમે ત્રણ મહિને, કે છ મહિને કે ૧૨ મહિને ફરવા જાવ છો ? ટુંકમાં તમે ફરવા જાવ છો ?
તમે દરિયા કાંઠે કે ઐતિહાસિક સ્થળોએ, કે જંગલોમાં ફરવા જાવ છો ? તમે જંગલ સફારીમાં રાતવાસો કરવાનો પ્લાન બનાવ્યો છે ? બાળકો સાથે જંગલમાં ટ્રેકિંગ કે હાયકિંગ માટે ગયા છો ? ત્રણ મહિને જે રાજયમાં તમે રહેત હોવ એમાં ફરવા જાવ છો ? જે દેશમાં રહો છો એમાં ૬ મહિને ફરવા જાવ છો ? વર્ષે એકાદ ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન પર ફરવા જાવ છો ? જો કે ભારતમાં વૈવિધ્યતા એટલી બધી છે કે એને પુરેપુરી ફરી વળવા માટે જ એક આખું જીવન પુરુ થઈ જાય. તો તમે વર્ષે કેટલી વાર ફરવા જાવ છો ? જો વર્ષે ઓછામાં ઓછુ એકવાર આવા ડેસ્ટિનેશન પર તમે ફરવા જતા હોવ તો તમે અમીર છો.

તમારી મનગમતી એકટિવીટી માટે ટાઈમ ફાળવી શકો છો ?
સામાન્ય રીતે આપણા બધાનું ટાઈમ-ટેબલ ફિક્સ અને ફિટ હોય છે. સવારે ઉઠવાનું,ફ્રેશ થઈને પ્રભુને પગે પડવાનું, નાસ્તો કરી ધંધે જવાનું, આખો દિવસ દેશની ચિંતા કરીને સાંજે પરત આવી ન્હાઈ ધોઇને આરામ કરતા કરતા ટીવી શરુ કરવાનું પછી જમીને ટીવી જોતા જોતા સુઇ જવાનું અને આ આખાય ઘટનાક્રમમાં મોબાઈલમાં માથું નાંખી રાખીને ટાઈમપાસને ન્યાય પણ આપવાનું. રવિવારે સવારે મોડા ઉઠવાનું, મનગમતો નાસ્તો કરીને પેપર વાંચીને આરામ ફરમાવી એકાદ સામાજીક રીત રસમ નિભાવી ને ફરી સાંજે ક્યાંક નજીકમાં આંટો મારીને ઘરે આવી જવાનું અને બીજે દિવસથી એજ ચકરડી જે લાસ્ટ વીક ચલાવી હતી એમાં ફિટ થવા તૈયાર થવાનું. મનગમતું પુસ્તક વાંચવાનું, નાટકમાં ભાગ લેવાનું, સંગીતના વર્ગોમાં ભાગ લેવાનું, મનગમતી ગેમની મેચો જોવા માટે આયોજન કરવાનું, દુર કોઇક અજાણ્યા સ્થળે આઉટીંગ માટે જવાનું. આવા કોઇ પણ મનગમતા કામો કરવાનો ટાઈમ મળે છે ? કે કાઢો છો ? જો હા તો તમે અમીર છો.

ટુંકમાં જીવનમાં બધુ જ કમાજો પણ ઉંઘ વેચીને રુપિયા અને શોખ-ઇચ્છા-તંદુરસ્તી આ બધુ મારીને વસવસો ના કમાતા.


Monday, July 25, 2016

કદી કોઇ કામ માટે તૈયારી ના કરો પણ દરેક કામ માટે હંમેશા તૈયાર રહો.

આજે ફેસબુક પર એક મિત્રએ મેસેજ કર્યો કે મીત તમારી મદદની જરુર છે. મેં કહ્યુ ચોક્કસ મારાથી બનતા બધા જ પ્રયત્નો હું કરીશ. અને એ મિત્રએ કહ્યું કે " તમે મારી સંગીતની કારકિર્દી માટે મદદ કરશો ?   અને મારે આર જે પણ બનવું છે."  મેં કહ્યું કે એના માટે તમારે કોઇની રાહ જોવાની જરુર જ નથી. બસ સીંગીગની સ્પર્ધાઓમાં ભાગ લેતા રહો. સાથે જ ફેસબુક પર તમારા વડે ગવાયેલા ગીતોનો વિડીયો મુકતા રહેશો તો તમને પ્રતિભાવ મળવાના શરુ થઈ જશે. તો એમણે કહ્યું કે "સર વિડીયો વગર મેળ નહિ પડે ? કોઇની ઓળખાણ હોય તો  કહોને? "  ટુંકમાં કોઇ સપોર્ટ કરે તો જ આગળ વધાય એવી ગ્રંથિ રાખી ઘણા આગળ વધતા વધતા રહી જાય છે. પણ પ્રગતિ કરવા માટેનો રસ્તો પથરાળ છે પણ એનો નકશો સર્વવિદિત છે.

દા. ત. જો હું સીંગર બનવા માંગતો હોવ તો હું પહેલા એની શાસ્ત્રીય તાલીમ લઉ. સાથે જ ઓનલાઈન સંગીતના ધુરંધરોના વિડીયો એકલવ્યની માફક સાંભળીને ખુદના અવાજને કેળવું . શહેરમાં થતી જુદી જુદી સ્પર્ધાઓમાં જીતવાની આશા વગર પોતાની ક્ષમતા ચકાસવા ભાગ લઉ. અને જે લોકો સાચો પ્રતિભાવ આપે છે એ લોકો પાસેથી સતત ફિડબેક લેતો રહું. સંગીતના ક્ષેત્રમાં થિયરી અને પ્રેક્ટિકલ બન્ને બાજુએ પોતાની જાતને કેળવીને તૈયાર કરુ. સંગીતના તાલીમબધ્ધ ગુરુઓ પાસે જઈ પોતાની કળાને ટકોરાબંધ બનાવવા મથતો રહું. અને એક દિવસ એવો આવશે જ જ્યારે એકાદ સ્ટૅજ પરથી છવાઈ જવાની તક મળશે અને તે દિવસે બધી જ મહેનત રંગ લાવશે. આ બિલ્કુલ પેલા ઉદાહરણ જેવું છે કે જે વિધાર્થી પરીક્ષામાં વધુ ટકા લાવે છે એ પોતે નક્કી કરી શકે છે કે એણે કઈ કોલેજ કે શાળામાં એડમિશન લેવું. એમાં કોલેજ કે શાળા નહિ પણ વિધાર્થી રાજા છે. અને ઓછા ટકાવાળાઓના કેસમાં વિધાર્થી એ નાગરિક જેવો છે જેને કોલેજ કે શાળા રાજા બની પ્રવેશ આપવો કે ન આપવો એવું નક્કી કરે છે.

પણ આપણા સહુની ટેવ છે કે પહેલા સ્ટેજ આપો પછી અમે ખુદને તૈયાર કરીશું અને પછી જ અમારાથી આગળ વધાશે એવી ખેવના રાખનારા જીવનભર પોતાના શોખને પોષી ન શકવાની ભાવના સાથે જતા રહે છે.કોઇ પણ ક્ષેત્રમાં આગળ વધવાનો નકશો બહુ સીધો અને સાદો હોય છે એમાં અઘરો ભાગ હોય છે એ માટે પોતાની જાતને કેળવવા માટેની માનસિક તૈયારીનો. જે ફિલ્ડમાં જવું હોય એમાં જઈ જ શકાય. નસીબએ સાથ ના આપ્યો. પૈસા નહોતા, કે ઘરવાળાઓએ સપોર્ટના કર્યો જેવા બહાના કામચોર લોકો જ કરતા હોય છે. બાકી જેની પાસે પ્રાઈવેટ કોચિંગના પૈસા નથી હોતા તેઓ પણ પરીક્ષામાં કે સ્પર્ધાઓમાં અગ્રેસર રહેતા જ હોય છે.  તમારે એકટર બનવું હોય તો એના માટે એકટિંગ શીખવું પડે, નાટકોમાં ભાગ લેવો પડે, શેરી નાટકો કરવા પડે, વર્ષો સુધી સ્પર્ધાઓમાં નાના-મોટા રોલ કરવા પડે અને ત્યારે એકાદ દિવસ ચાન્સ મળે સિતારાની જેમ ચમકવાનો ત્યારે  એ ચાન્સ ઝડપીને ચમકવું પડે અને એટલું જ નહિ એ ચમકને જાળવી રાખવા કંઈકને કંઈક શીખતા રહેવું પડે.

ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે બસ એ દિવસ આવવા દો પછી વાત પણ એવા લોકોનો 'એ' દિવસ કદી આવતો જ નથી. અને એ લોકો સદા રાહ જોતા રહી જાય છે. જે લોકો આવી રાહ નથી જોઇ શકતા એ લોકો જ આગળ વધે છે. સાથે જ આપણે ત્યાં ઘણા લોકોની ખાસિયત જ એમની મર્યાદા બની જતી હોય છે. જે સારા ગાયક હોય તે આખુ જીવન માત્ર ગાતા જ રહે તો એ એમની પ્રગતિ છે જ નહિ. પણ એ એક સારા શિક્ષક બને, સારા સંગીતકાર બને, સારા મ્યુઝિક એરેન્જર બને તે પણ ખુબ જરુરી છે. તમારી એક્માત્ર ખાસિયતને જ્યારે આપણે વળગી રહીએ ્છીએ ત્યારે આપણા વ્યકિતત્વમાંથી કોઇ નવીનતા મળતી નથી. પોતાની ખાસિયતની આજુબાજુ વણાયેલી બીજી ખાસિયતોને પણ વિકસાવવું જરુરી હોય છે. એક રેડિયો જોકી રેડિયો પર કાર્યક્રમ આપે સાથે જ ડબિંગ આર્ટિસ્ટ  તરીકે ખુદને કેળવે એ પણ જરુરી છે અને અંધ બાળકો માટે નરેટર બની વાર્તાઓનું રેકોર્ડિંગ કરે, સંગીતનું રેડિયો પર સારું મેનેજમેન્ટ કરે તો એ એની પ્રતિભાને બધી રીતે નિખારી રહ્યો છે એમ કહી શકાય. ટુંકમાં એક સુથાર કે જે નાના ઘરો કે દુકાનોમાં સુથારીકામ કરે છે તે એ જ કામ કરતા કરતા મોટી મોટી બિલ્ડિંગો અને સરકારી ઇમારતોના સુથારીકામના મોટા કોન્ટ્રાકટર બની શકે છે. અને જો એમા એન્જીનીયરીંગનો અભ્યાસ સાથે ભળે તો સસ્તા ને ઓછી જગા રોકી વધુ કામ આપતા ટકાઉ ફર્નિચર પણ એ બનાવી માર્કેટમાં ધમાલ મચાવી શકે છે.


સર્જનાત્મકતા એ કોઇની જાગીર નથી અને એ હંમેશા પોતીકી રહેવાની છે. અને એમાં વિવિધતા પેઢી દર પેઢી જોવા મળે છે. બસ તમારા હિસ્સાની તમે સમાજને આપીને જાવ તો સારું નહિતર કોઇ પણ બીજી વ્યકિત તમારા વારાની રાહ જોશે નહિ અને ખુદને એ બુલંદ રીતે આગળ વધારશે અને તમે બાજુએ હડસેલાઈ ગયા  છો એવું અનુભવશો. 

ચચરાટ-જુઓ ભાઈ આપણો તો ચોખ્ખો હિસાબ છે કે કદી તકની રાહ ના જુઓ પણ ખુદ એક તક જેવા બની જાવ. જે કામ આપશે એને ફાયદો થશે અને નહિ આપે એ નુકશાન  ભોગવશે. કદી કોઇ કામ માટે તૈયારી ના કરો પણ એ કામ માટે હંમેશા તૈયાર રહો. 

Tuesday, July 19, 2016

તમે અમારી વાતને (કાયદાને) ના સમજો અને અમે તમારી વાતને(ફાયદાને) નહિ સમજીએ.

સામાન્ય રીતે આપણે સરકાર વડે સંસદમાં પ્રસાર કરવામાં આવતા કાયદાઓ કે ખરડાઓને વાંચવામાં ત્યાં સુધી રસ નથી લેતા જ્યાં સુધી એમાં આપણે ક્યાં તો ભેરવાતા નથી અથવા એમાંથી કોઇ ફાયદો જડતો નથી. એટલે કે આપણા કામનું હોય તો જોશું બાકી કોના બાપની દિવાળી ? જીએસટી ( ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સ) વિશે પણ એવી જ ધારણા છે.  વિરોધ પક્ષનો વિરોધ એની જગા પર પણ આ બિલ એટલા માટે પાસ થવું જોઇએ કારણ કે એ મોદી સરકારનું છે. પણ આ બિલમાં શું છે જે કામનું છે કે શું ફાયદો કરાવનારું છે ? એમાં કઈ કઈ મર્યાદાઓ છે એની વિગતો કોઇ પાસે માંગો તો બધાના ચહેરા પર પ્રશ્નાર્થ ચિન્હ વર્તાવા લાગે છે. જાણીતા પત્રકાર અંશુમન તિવારીના મતે "આ કર સુધાર માટેના કેટલાક કારણો છે. પહેલું કારણ એ કે આખા દેશમાં ટેકસની એવી માયાજાળ છે કે ભારતને એક કોમન માર્કેટ બનાવવામાં તે સૌથી મોટી મર્યાદા ઉભી કરે છે. ( જેમકે હંમણા જ કેરળની રાજ્ય સરકારે ફેટ ટેક્સ લગાવ્યો અને તે પણ ૧૪.૫ ટકા ) જીએસટીથી આખા દેશમાં ઉત્પાદન, વેચાણ અને સેવાઓ માટૅ સમાન દરે ટેક્સ લાગશે અને ભારત એક અમર્યાદિત બજાર બની જશે. બીજું કે વિભિન્ન પ્રકારના ટૅક્સ મોંઘવારી વધારે છે પણ જીએસટીના માધ્યમથી કસ્ટમ ડ્યુટી ની સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારોના બધા જ પરોક્ષ ટેક્સ જેમાં એક્સાઈઝ, સર્વિસ, વેટ, જકાત જેવા ટેક્સ એક સાથે કરી દેવામાં આવશે જેના કારણે ટેક્સનો દર ઓછો થશે. અને પરિણામે ઉત્પાદક અને સેવા આપનારાઓએ ઉત્પાદન અને સેવાઓના અલગ અલગ સ્તરે જે ટેક્સ આપવો પડે છે તેને બદલે એક જ ટેક્સ ભરવો પડશે અને મોંઘવારી ઓછી થશે. ત્રીજું જીએસટી ટેક્સ વહીવટમાં સરળતા લઈને આવશે જે વેપારને સરળ બનાવશે. 

આ ત્રણ કારણો જાણીને જ ઘણા લોકો હરખપદુડા થઈ પડ્યા છે પણ જો આ બિલ વિશે જો વધુ બારીકાઈથી તપાસવામાં આવે તો ખબર પડશે કે જીએસટી તો એક મગજમારીથી ઓછુ નથી અને હાલની ટેક્સપ્રણાલીની સામે આ નવી પ્રણાલી આપણને વધુ પછાત સ્થિતિમાં લાવી શકે એવી છે. જેમકે આ બિલ મુજબ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા જ માથાના દુઃખાવા સમાન છે. આ કાયદો અમલમાં આવતા જ ડઝનથી વધારે રજીસ્ટ્રેશન કરાવવાના રહેશે. જીએસટીના નવા કાયદા મુજબ ત્રિસ્તરીય ટેક્સ જેમાં સેન્ટ્રલ-સ્ટેટ અને ઇન્ટીગ્રેટૅડ માળખા મુજબ આખા દેશમાં માલ વેચનારા કે સપ્લાય કરનારાઓએ દરેક રાજ્યમાં ત્રણ અલગ અલગ રજીસ્ટ્રેશન કરાવવા પડશે. અને રિટર્ન ભરતી વખતે ટેક્સનો હિસાબ રાખવો પડશે. એટલું જ નહિ પણ જો કોઇ કંપની વિવિધ પ્રકારના વ્યવસાય કરતી હશે તો દરેક વેપારનું અલગ અલગ રજીસ્ટ્રેશન કરાવવું પડશે. 

અરે સૌથી વધુ ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે આ કાયદા મુજબ જો કોઇ કંપની પોતાની જ ભગિની સંસ્થામાં માલ સપ્લાય કરશે તો તેના પર પણ ટેક્સ લાગુ પડશે. અને સેવા કે સપ્લાય મેળવનારી કંપનીએ ત્યારબાદ આ જ ટૅકસના રિટર્ન મેળવવા માટે દાવો કરવાનો રહેશે. હવે મૂળ વાત ઇનપુટ ટેક્સ ક્રેડિટની જે જીએસટીમાં અગત્યની બાબત છે. જે મુજબ ઉત્પાદન કે સપ્લાય દરમ્યાન કાચા માલ કે સેવા માટે ચુકવેલ કર પરત મેળવવામાં આવે છે. અને આ બાબતે આ કાયદો કહે છે કે જો સપ્લાયર સરકારને ટૅકસ નહિ ચુકવે તો તે સેવા કે કાચા માલનો ઉપયોગ કરનારા નિર્માતાઓ ટેક્સ ક્રેડિટ માટે દાવો નહિ કરી શકે. અને આ જ સૌથી મોટી તકલીફ બનશે.  અને નવાઈની વાત તો એ છે કે એક્સાઈઝ અને સર્વિસ ટેક્સના કાયદાઓમાં જટિલ વ્યાખ્યાઓ અને વ્યવસ્થાઓને કારણે સુપ્રીમ કોર્ટ, હાઇર્કોર્ટ અને ટ્રિબ્યુનલો અને અપીલ કમિશ્નરો પાસે એક લાખ વીસ હજારથી વધુ કેસો લાઈનમાં છે. જીએસટી પણ આવા જ ભંદ્રભંદ્રી વ્યાખ્યાઓથી ભરેલું છે. "

ટુંકમાં સોના કરતા એની ઘડામણ મોંઘી પડશે અને સાથે જ ઉંદર કાઢતા ઊંટ પેસે એવી પરિસ્થિતીનું નિર્માણ થશે. હવે આ બધામાં કેટલા જણને આ કાયદાના ફુલ ફોર્મ સિવાય કશી ખબર છે ? એક જ લાઈનમાં બધા કાયદાની સમજ આપતા કહે છે કે બધા ટૅક્સ એક ટેક્સ હેઠળ જ આવી જશે. પછી ? કોઇને કશી ખબર નથી અને ખબર પાડવી પણ નથી. અને આ જ વાતનો એ તમામ ભ્રષ્ટ્રાચારીઓ ફાયદો ઉઠાવે છે. પણ જે પ્રજા પાયાની બાબતોમાં જ સાવ અદભુત જનરલ નોલેજ ધરાવે છે તેને આવી જટિલ બાબતોમાં રસ ક્યાંથી હોય ? એટલે પછી જ્યારે આવા કાયદા આવે ત્યારે મોકાણો ઉભી થાય છે. અને પછી સરકાર સામે બબડાટ અને ચુંટણી આવે ત્યારે ટુંકા ગાળાના ફાયદા જોઇને સરકારના જ પક્ષ કે વિપક્ષમાં તીરંદાજી શરુ. અલકચલાણું ચાલતું રહે. જનતા સરકારને લીંબુ આપે ને પછી સરકાર જનતાને. 

ચચરાટ-
જાણે સરકાર કહેતીના હોય કે તમે અમારી વાતને (કાયદાને) ના સમજો અને અમે તમારી વાતને(ફાયદાને) નહિ સમજીએ. 






Tuesday, July 12, 2016

દેશના લોકોને દેશની સિસ્ટમ પર ભરોસો નથી પણ એ જ લોકોને સિસ્ટમની ખબર પણ નથી.

આપણે ત્યાં સરકારમાં ચાલતા કે વિશ્વ કક્ષાએ ચાલતા રાજકારણમાં બધાને રસ હોય છે પણ રુચિ નથી હોતી. નરેન્દ્ર મોદી એ કેવા જુસ્સા સાથે એનએસજીના સભ્યપદ માટે ભારતની દાવેદારી રજુ કરી એ બાબતે બધાને ગર્વ થાય છે પણ એમણે એ દાવેદારી કેમ કરી ? શું કારણ છે એ કરવા પાછળનું તો કોઇ કરતા કોઇને ખબર નહિ હોય. સલમાન ખાન કઈ બ્રાન્ડની અંડરવેયર પહેરે છે થી લઈ અનુષ્કા અને વિરાટ ના રિલેશનશીપની ખબર જાણવા ઉત્સુક પ્રજા ભાગ્યે જ ગંભીર મુદ્દાઓ પર ધ્યાન આપવાની તસ્દી લેતી હોય છે. ગઈકાલે જ એક મિત્ર સાથે ચર્ચા થઈ જેને દેશની સિસ્ટમ પર ભરોસો નથી પણ સાથે જ દેશની સિસ્ટમ વિશે ખબર પણ નહોતી. અને આવા ઘણા બધા મુદ્દે આપણે સહુ હવે આયારામ ગયારામ જેવી પ્રણાલી મુજબ ટેવાઈ ગયા છીએ. વીતેલા અઠવાડિયામાં એનએસજીની બહુ ચર્ચા ચાલી. એમાં ચાઈના આપણને નડી રહ્યું છે એવી બુમરાણ મચી. પણ સાથે જ એવા મેસેજ પણ ફરતા થયા કે ચાઈનીઝ માલનો બહિષ્કાર કરો. પણ આ મેસેજ મોકલનાર મિત્રને જેવુ પુછ્યુ કે આ એનએસજી શું છે ? શા માટે હોય છે ? એનાથી શું ફાયદો થાય ? તો મેસેજ મોકલનાર મિત્રએ કહ્યું કે મને તો મેસેજ ફોરવર્ડ થયેલો એટલે મે ંપણ મોકલ્યો. એટલે બીજા બધા ઘેટાં હતા એટલે આ ભાઈ પણ ગાડરિયા પ્રવાહે તણાયા.

એનએસજી શું છે ?
ન્યુક્લિયર સપ્લાયર ગૃપ જેની સ્થાપના ૧૯૭૪માં થઈ હતી અને જોગાનુજોગ એની સ્થાપનાનું કારણ ભારત જ હતું કારણ કે ભારતના પહેલા પરમાણુ પરીક્ષણના પરિણામે એની સ્થાપના થઈ હતી. એ જ વર્ષે એનએસજીના સભ્ય દેશોની પહેલી મીટીંગ થઈ હતી. એનએસજીમાં અમેરિકા,ફ્રાન્સ, ચીન જેવા ૪૮ દેશો સભ્ય છે. અને એનએસજીનો હેતુ પરમાણુ હથિયારોને પ્રસારિત થતા અટકાવવાનો છે. એનએસજીના સભ્ય બનવા માટે એનપીટી ( પરમાણુ અપ્રસાર સંધિ ) પર સહી કરવું અનિવાર્ય છે. અને ભારતે હજી એના પર સહી કરી નથી. 

એન પી ટી શું  છે ?
પરમાણુ હથિયારોનો વિસ્તાર થતો અટકાવવા અને પરમાણુ ટેકનોલોજીનો શોંતિપૂર્ણ અને જવાબદારીપુર્વકનો ઉપયોગ થાય તે માટે એન પીટીની સ્થાપના ૧૯૭૦માં કરવામાં આવી હતી. જેના પર ૧૮૭ જેટલા દેશો એ સહી કરીને પોતાની સંમતિ દર્શાવી છે. એનપીટી પર સહી કરનારા દેશો ભવિષ્યમાં પરમાણુ હથિયારો વિક્સિત નહિ કરી શકે અને શાંતિપૂર્ણ ઉદ્દેશ્યો માટે પરમાણુ ઉર્જાનો ઉપયોગ કરી શકે છે. 

ભારત માટે કેમ જરુરી છે એનએસજીનું સભ્યપદ  ?
ઉર્જાની જરુરિયાત પુરી કરવા ભારતનું એનએસજીમાં સભ્યપદ અનિવાર્ય છે. જેના સભ્ય બનતા જ ભારતને પરમાણુ ટેકનોલોજી મળશે. અને ભારતને યુરેનિયમ કોઇ પણ પ્રકારની સમજુતી વગર મળશે. પરમાણુ મશીનો વડે નીકળેલા કચરાના નિકાલ માટે સભ્ય દેશોની સલાહ અને મદદ મળશે અને પરમાણુ ટેકનોલોજી અને કાચો માલ ટ્રાન્સફર કરવામાં મદદ મળશે. 

આ  આખાય ઘટનાક્રમમાં ચીનની વૃતિ મામા શકુનિ જેવી છે. જેને દેખાય છે કે ભારત પરમાણુ ટેકનોલોજીનો જવાબદારીપુર્વક ઉપયોગ કરતું હોવા છતાં બધી જ વાતોને નજરઅંદાજ કરીને ભારતના સભ્યપદ સામે એને વાંધો છે. અને આ બધામાં હાડોહાડ અધર્મી એવા પાકિસ્તાનને પણ ભારત ભેગો એનએસજીમાં સભ્ય પદ મળે એવી એણે ખેવના રાખી છે. ચીનની મૂળ દલીલ એવી છે કે ભારતે એનપીટી પર સહી કરી નથી અને ઍટલે ભારતને સભ્યપદ નહિ મળે. આમાં ગાંડી સાસરે ન જાય અને ડાહીને સલાહ આપે એવો ઘાટ વર્તાય છે. કારણ કે ફ્રાન્સ એનએસજીના સ્થાપક દેશોમાંનો એક છે એણે પોતે જ એનપીટી પર સહી કરી નહોતી. અને ખુદ ચીને ત્રણ દશક સુધી એનપીટી પર સહી કરી નહોતી. ભારત સરકારે આ વર્ષે ભરપેટ પ્રયત્નો કર્યા કારણ કે ઓબામાનો કાર્યકાળ પુરો થાય છે. મનમોહન સરકાર વખતે જ ઓબામાં એ એનએસજીના સભ્ય બનાવવામાં ભારતને મદદ કરવા માટે વચન આપ્યુ હતું અને એટલે જ ભારત સરકારે આ વખતે એડીચોટીનું જોર લગાવ્યું. જેથી બરાક ઓબામા મારફતે એ કામ થઈ જાય. 

ભારતને સભ્ય બનાવવા બાબતે એનએસજીના સભ્ય દેશો પાંચ જુથમાં વિભાજીત થયેલા જોવા મળૅ છે.મૂળ ગૃપ હિમાયતી દેશોનો છે જેમાં અમેરિકા, જાપાન, રશિયા, કેનેડા, બ્રિટેન, જર્મની અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો છે. કે જેઓ ભારતને સપોર્ટ તો કરી જ રહ્યા છે પણ સાથે સાથે તેઓ બીજા દેશોને ભારતને સપોર્ટ કરવા માટે મનાવવા પણ તૈયાર છે. બીજું ગૃપ એ દેશોનો હતો કે જેઓ સમર્થન કરવા તૈયાર હતા જેમાં પૂર્વી યુરોપ, મધ્ય એશિયા, નેધરલેન્ડ્સ અને બેલ્જીયમ જેવા પશ્ચિમી દેશોનો સમૂહ હતો. ત્રીજુ ગૃપ બ્રાઝિલ, સ્વિટઝર્લેન્ડ , તુર્કી સહિત એવા દેશોનું હતું કે જેઓ  ભારતને એનએસજીના સભ્ય બનાવવા માટે ટેકો આપવા તૈયાર હતા બસ શરત એ હતી કે સાથે સાથે ભારત અને પાકિસ્તાન જેવા એનપીટીના સભ્ય નથી એવા દેશોના એનએસજીના પ્રવેશ માટે એક સમજુતી કેળવવામાં આવે. ચોથા ગૃપમાં ત્રણ દેશો હતા, ઓસ્ટ્રિયા, ન્યુઝીલેન્ડ અને આયર્લેન્ડ. આ દેશો એક કડક પધ્ધતિ ઇચ્છતા હતા. જે મુજબ તેઓ ભારતની સભ્યતાનો વિરોધ નહોતા કરતા પણ ઈચ્છતા હતા કે પહેલા કેટલાક માપદંડો નક્કી કરવામાં આવે અને પછી જ ભારત સહિત અન્ય દેશોની અરજી પર વિચાર કરવામાં આવે. અને છેલ્લું ગૃપ માત્ર ચીન વડે જ બનેલું હતું જેનો વિરોધ જ તદ્દન ગેરવાજબી અને વાહિયાત હતો. 

ભારત માટૅ એનએસજીનું  સભ્યપદ મેળવવા માટે ઉતાવળનું કારણ એક નહિ પણ બે છે. 
પહેલું કારણ પેરિસ માં થયેલું જળવાયુ પરિવર્તન શિખર સંમેલન અને બીજું  ડિસેમ્બર ૨૦૧૬માં અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો કાર્યકાળ પુરો થાય છે. નવેમ્બર ૨૦૧૫માં થયેલા થયેલા જળવાયુ શિખર સંમેલનમાં ભાગ લેનારા દેશોને  ભારત એક સમસ્યા જેવો ભાસે છે. કારણ કે ભારત કોલસા અને અન્ય અશ્મીભૂત ઉર્જા માધ્યમો પર તેની નિર્ભરતા ટકાવી રાખવા મક્કમતા દર્શાવી રહ્યુ હતું. અને નરેન્દ્ર મોદીએ સાહસિક્તા સાથે પરિસ્થિતી બદલી અને તેને ભારતનો એક ભાગ જ બનાવી દીધો. જ્યાં નરેન્દ્ર મોદીએ  વાયદો કર્યો કે ૨૦૩૦ સુધીમાં ભારત બિન-અશ્મીભૂત ઉર્જા માધ્યમો થકી ઉર્જાની પોતાની હિસ્સેદારી ૪૦ ટકા સુધી વધારી દેશે. અને ત્યારબાદ તેમણે આંતરરાષ્ટ્રીય સૌર ઉર્જા સહયોગ માટેની રુપરેખા તૈયાર કરી જેથી સૌર ઉર્જા જેવી સસ્તી અને કાયમી પધ્ધતિ માટેની ટેકનોલોજી મેળવવામાં આવે. માત્ર સૌર ઉર્જા જ નહિ પણ મોદી સાહેબની ટીમ તો પરમાણુ વીજળી ના એકમો થકી પણ ઉર્જાની જરુરિયાતને પંહોચી વળવા માટે ઉત્સાહિત હતી. મોદીસાહેબે ૨૦૩૨ સુધીમાં ૬૩,૦૦૦ મેગાવોટ વીજળી માટે પરમાણુ ઉર્જા  પ્લાન્ટ  લગાવવાની આક્ર્મક યોજના તૈયાર કરી. અને આમ દેશનું કુલ વીજળી ઉત્પાદન નવ ટકા જેટલી થઈ જશે. તેથી જ મોદી સરકારે વધારાની ૧૦,૬૦૦ મેગાવોટ વીજળી ઉત્પાદન માટે ૧૬ નવા ઘરેલુ વીજળી પ્લાન્ટ લગાવવાની મંજુરી આપી છે સાથે જ   અમેરિકા, રશિયા, ફ્રાન્સની વિદેશી કંપનીઓને ૨૬ નવા વીજ્ળીના પ્લાન્ટ સ્થાપિત કરવાનો કરાર કર્યો છે. જેના થકી ૨૯,૫૦૦ મેગાવોટ જેટલી વીજળી પૈદા થશે.

આ મહત્વકાંક્ષી લક્ષ્યોને પુરા કરવા માટે ભારત અને વિદેશી કંપનીઓ આર્થિક અને ટેકનોલોજીને લગતા કરારોની પરવાહ કરતી હતી. આ માટે આંતરરાષ્ટ્રીય રોકાણકારો રોકાણ કરવાની નીતિયોમાં સ્થાપિતતા લાવવા માંગતા હતા. પરમાણુ વેપારમાં યુરોપ, દક્ષિણ કોરિયા, અને જાપાન જેવા દિગ્ગજ ખેલાડીઓએ કહ્યું કે જો ભારત એનએસજીનું સભ્ય બની જાય છે તો એમને સરળતા રહેશે અને રોકાણ કરવા માટેના એમના વાયદાઓને પુરા કરવામાં પણ સરળતા રહેશે. અને એટલે એનએસજીનું સભ્યપદ ભારત માટે અગત્યનું બની ગયું.
તકલાદી દેશભક્તિ ધરાવતી પ્રજા જે દી સરકારના દરેક પગલાં વિશે માહિતી મેળવતી અને સમીક્ષા કરતી થશે તે દિવસે દેશ ઘણી બધી સમસ્યાઓથી મુક્ત થશે. ચાઈના અને બીજા એવા દેશો ભારતના સ્વાભિમાન પર છડેચોક ઘા કરી જાય છે તેનું કારણ આપણી પ્રજાની ખંધઈ છે. વાતે વાતે રાજકારણ રમતી પ્રજા એમાં ખુદને પણ જો બાકાત ન રાખતી હોય તો દેશની તો શું વિસાત છે. ?


Wednesday, June 29, 2016

ટેકન ફોર ગ્રાન્ટૅડ લેવાની ગંદી બીમારી.

પહેલો કિસ્સો- જન્મદિવસે બધા જ એક બીજાને વિશ કરતા હોય છે અને એમાં પણ આપણી અપેક્ષા એવા સ્વજનોના વિશની ઉત્કંઠા વધારે હોય જે દિલમાં જગા બનાવીને બેઠા હોય. પણ એ જ સ્વજનને જન્મદિવસની સાંજે સામેથી ફોન કરીને પુછીએ કે બકા કેમ ફોન ના આવ્યો ? ત્યારે એ મિત્ર કામની વ્યસ્તતાનું બહાનું (બહાનું જ સ્તો કારણ કે તમે કોને પ્રાયોરિટી આપો છો એ વધારે મહત્વનું છે.) ધર્યુ અને પાછો એ જ ઉમેરીને કહે છે કે ફલાણા એ મને યાદ પણ અપાવેલી તારા જન્મદિવસની પણ કામમાં જ રહી જવાયું . હદ તો ત્યારે થઈ જ્યારે ફોન મારે કાપવાને બદલે એણે વાત ટુંકમાં પતાવીને કાપી નાંખ્યો. 

બીજો કિસ્સો- મિત્રને અઠવાડિયા પહેલા ફોન કરેલો અને ખબર અંતર પુછ્યા એટલે એણે સામેથી કહ્યું કે હું પાંચ મિનિટમાં સામેથી ફોન કરુ છું. તે દિવસ ને આજનો દિવસ એની પાંચ મિનિટ થઈ જ નહિ અને જ્યારે સામેથી ફોન કર્યો તો ફરી એ જ અલકચલાણું. ન્યુઝીલેન્ડ હતો ત્યારે આ જ મિત્ર એ આપણે મળીશું આપણે મળીશું ની પીપુડી વગાડેલી અને એની સામે એકેયવાર એવો પ્રયત્ન જ નહિ કે જેમાં મુલાકાત ગોઠવાય. 

ત્રીજો કિસ્સો અન્ય ભાઈએ શેર કરેલો કે એના એક મિત્રને રાતે ટેન્શનને કારણે સુવામાં તકલીફ પડતી હતી અને એને અનુકૂળતા રહે એ માટે એના પપ્પાએ આ ભાઈને એના મિત્રને થોડા દિવસ કંપની આપવાની વિનંતી કરી. અને આ ભાઈ બધા કામમાંથી સમય ચોરી ચોરીને એ મિત્રને સાચવવામાં લાગી પડ્યો. થોડા દિવસ બાદ એ મિત્રની જરુરિયાત પુરી થતા એણે આ ભાઈને કહ્યું કે હવે થોડા દિવસ તું મારાથી દુર રહે. તારી સાથે મારું જે વળગણ છે એને મારે દુર કરવું છે. હવે મને તારી કંપનીની જરુર નથી. અને આ ભાઈને છેતરાયેલા હોવાની લાગણી થઈ. 

ચોથો કિસ્સો-મારા એક મિત્રને શારીરિક તકલીફ હતી. એણે મારી સલાહ માંગી તો મેં એને શહેરના એક જાણીતા અને માનીતા ( જાણીતા એટલે કે ફેમસ જે ઘણા બધા હોય છે પણ માનીતા એટલે કે રીસ્પેકટૅડ બહુ ઓછા લોકો હોય છે.) એવા ડોકટરને ત્યાં એપોઇન્ટમેન્ટ લેવાની સલાહ આપી. એ મિત્રને ડોકટરની ઓફિસથી બે દિવસ રહીને મળવા આવવાની સુચના મળી. એટલે પછી ડોકટર સાહેબને મે સામેથી ફોન કરી એપોઇન્ટમેન્ટ માંગતા બીજા જ દિવસે બપોરે મળવાની સુચના મળી. (કારણ કે એમને મારો સ્વભાવ ખબર છે કે સમય બગાડ્યા વિના સીધી મુદ્દાની વાત કરવી) અમે ડોકટરને બતાવવા ગયા અને અમારી આગળ લગભગ પાંચેક જેટલા પેશન્ટ ડોકટરની કેબિનમાં ગયા એટલે મિત્રએ કહ્યું આપણો નંબર ક્યારે ? અને મેં કહ્યું બે દિવસ પછી જે સમય આપ્યો હતો એના કરતા તો બહુ પહેલા આવી જ જશે.  

પાંચમો કિસ્સો-એવો હતો કે ઘરની સામે દેરાસરનું કામ ચાલે છે. એટલે આરસપહાણના પત્થરો તોડવા કર્કશ અવાજવાળું મશીન રોજ વપરાય. અને એ ગયા રવિવારે વપરાતું હતું અને એના કારણે ઘરમાં શાંતિ જેવું કઈ અનુભવાતું નહોતું. ફેમીલી મેમ્બર્સને વાત કરી તો ઘરના સભ્યોએ  કહ્યું સોસાયટીમાં કોઇને વાંધો નથી તો શું કામ મગજમારીમાં પડે છ ? મેં કહ્યું કે અઠવાડિયાના છ દિવસ આ કામ ચાલે એની સામે મને કોઇ વાંધો નથી પણ રવિવારે ? અને બીજે દિવસે જઈને પહેલા વિનમ્રતાપૂર્વક અને  જો તેઓ ન માને તો પછી નિયમ મુજબ જે તે સરકારી વિભાગને જાણ કરવાની તૈયારી સાથે હું ગયો. કારીગરોને વિનમ્રતાપુર્વક રવિવારે આ કામ ન કરવાની વિનંતી કરી તો કારીગરે કહ્યું કે " સાહેબ અમે તો ના જ પાડતા હતાં કે સોસાયટીમાં આવા કામ ન રખાય કારણ કે એ નિયમ વિરુદ્ધ છે.આ તો જે ભાઈ આયોજક છે એમણે કહ્યું કે અંહિ બધા જૈન છે કોઇ ઓબ્જેક્શન નહિ લે. એટલે અમે અંહિ કામ શરુ કર્યું. " એટલે આયોજકે સોસાયટીના રહીશોની સહન કરવાની ક્ષમતાને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લીધા. હવે એ કારીગરો રવિવારે પેલું કર્કશ મશીન નહિ વાપરે. 

આપણે ત્યાં લોકોને એક ગંદી બીમારી છે. ટૅકન ફોર ગ્રાન્ટૅડ લેવાની. કોઇનો સમય, કોઇની મૂડી, કોઇનો ઉપકાર, સરકારની સિસ્ટમ બધાને. અને આવી બીમારીને કારણે જ લોકો બીજા પર ઉપકાર કરતા કે કોઇની ભલાઈ કરતા ચાર વાર વિચારે છે. નાજુક સમયમાં કોઇએ પડખે રહી મદદ કરી હોય અને નાજુક સમય સચવાય જાય પછી આપણી બોડી લેન્ગ્વેજ જ બદલાય જાય છે. હવે એમણે મદદ જ કરેલી ને. ધાડ તો મારી નહોતી એવું બોલતા પણ ખચકાતા નથી. પણ ડુબતાને તો એક પાંદડું ય જીવાદોરી લાગે. આવી જ રીતે કોઇને મળવા બોલાવ્યા હોય તો એને વહેલા બોલાવી એને રાહ જોવડાવીએ અથવા કોઇને મળવા જવાના હોય તો એને પણ રાહ જોવડાવીએ. કોઈ પણ કાર્યક્રમ રાખ્યો હોય તો જે સમયસર આવ્યા હોય એમને અવગણી એ લોકોની રાહ જોતા હોઇએ કે જેઓ માટે આપણો પ્રસંગ મહત્વનો નથી. આવી જ રીતે ઘરમાં મમ્મી-પપ્પા, મોટાભાઈ કે બહેન કે ભાઈ ભાભી બધાને આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લેતાં હોઇએ છીએ. 

એવું નથી કે આ લખનાર આ બીમારીથી પીડાતો નથી. હું પણ પીડાઉ છું પણ આ બીમારીનું નિદાન કરી લીધું છે અને સમયસર એની સારવાર શરુ પણ કરી દીધી છે. રુપિયાની સામે માણસ નામની મૂડી કમાવાની ધગશ એ આ બીમારીનો રામબાણ ઇલાજ છે. 

ચચરાટ-
માણસના કામનું મુલ્યાંકન સ્મશાનમાં જ થતું હોય છે. 

Tuesday, June 14, 2016

અધીરાઈથી પીડાતા અને ખુદથી છેતરાયેલા આપણે.

રસ્તે જ્યારે કોઇને ડ્રાઈવ કરતા કરતા મોબાઈલમાં મેસેજ ટાઈપ કરતા કે વાત કરતા જોઇએ તો એમ થાય કે ખરેખર આપણે જે કામ કરીએ છીએ એના માટે આટલા બધા રિસ્કની જરુર હોય ખરી ? અને પોતે તો રિસ્ક લઈએ પણ બીજાના જીવને જોખમમાં મુકવાની જરુર ખરી ? ૨૦ લાખની ગાડી લઈને પણ રોંગ સાઈડ ગાડી હંકાવતા જેન્ટલમેનને જોઇને એમ થાય કે આમા ખરેખર કોનું અપમાન છે. આધુનિક ટૅકનોલોજીવાળી ગાડીમાં કેવો અભણ ડ્રાયવર બેઠો છે. બેન્કો કે સરકારી કચેરીમાં જઈએ તો ઘણા લોકો ઉતાવળા થઈ ઉંચાનીચા થતાં જોવા મળે. નિરાંત વેચીને બધા ઉતાવળ ખરીદવા નીકળ્યા હોય તેવું લાગે. અને રસ્તે ગાડી ચલાવતી વખતે કયાં પંહોચવાની લ્હાય હોય છે કે હાઈસ્પીડની સાથે એકધારું હોર્ન મારતા જવાની કુટેવ સાથે બધા જીવતા થઈ ગયા છે.  અને આટલી ઉતાવળ કર્યા બાદ અતિમહત્વના કામોમાં કયા કામો નીકળે તો એ કેન્ડી ક્રશ રમવાનું,વોટ્સ અપ , ફેસબુકનો ઉપયોગ કરવાનું, મિત્રો સાથે ગપ્પા મારવાનું, ક્રિકેટ મેચ જોવા જેવા કામો કરતા હોઇએ છીએ. (મને તો એમ કે આટલી ઉતાવળનો હેતુ ફેમીલી સાથે સમય વીતાવવા માટેનો હશે.) ટુંકમાં જાન હથેળી પર લઈને અને બીજાના જીવ જોખમમાં મુકીને આપણે કેવા કામો માટે ઉતાવળ કરીએ છીએ ? કેટલાક પ્રશ્નો તમારી જાતને પુછશો એટલે આપોઆપ ખુલાસો મળી જશે.

લાસ્ટ ટાઈમ તમે કઈ એડવેન્ચર એકટિવીટીમાં ભાગ લીધો હતો ? કુલ્લુ મનાલી જેવા બરફવાળા વિસ્તારોમાં જઈને બરફમાં કરી શકાય એવી એડવેન્ચર એક્ટિવીટીમાં તમે ભાગ લેવા શારીરિક રીતે સક્ષમ ના હોવ તો રુપિયા અને એને કમાવા માટેની ઉતાવળ નકામી છે.કારણ કે એ માટે જોઇએ એવું સ્ફુર્તિમય શરીર તમારી પાસે નથી. બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હ્રદયરોગમાં એવા સપડાયેલા હોઇએ કે પૈસા વાપરો તોયે શાંતિ મળૅ નહિ . વોટર સ્પોર્ટસ, હાઇકિંગ, પેરાગ્લાઈડિંગ, હેન્ડ ગ્લાઈડિંગ, વોટર રાફ્ટિંગ જેવા કામોમાં કેટલા લોકો રસ લેતા હોય છે ? ટુંકમાં અઠવાડિયુ શરુ થાય કામથી, ભરપેટ અનાજથી મધ્યાંતર આવે, અને અઠવાડિયે એક આંટો નજીકના ફરવા લાયક સ્થળે અને, ગપ્પા સાથે જૈસે થે. જીવનને જીવવાની જાણે કોઇ ઇચ્છા જ નહિ. આજે કોઇ મને પુછે કે ન્યુઝીલેન્ડથી શું લઈને આવ્યો ? તો હું તરત કહું નિરાંત લઈને આવ્યો. જે ધીરજ વેચીને ઉતાવળ લીધી હતી તે ધીરજ વેચાતું લઈને આવ્યો છું.  ઘણી બધી એક્ટિવીટીમાં ભાગ લઈ શકુ એવું શરીર બનાવવાનો જુસ્સો લઈને આવ્યો છું. વાંચન વધે, લોકોને સમજી શકુ એવી વિચારસરણી લઈને આવ્યો છું. દરિયા કાંઠે ફરવા જાંઉ તો મગફળી તો ખાંઉ જ છું પણ એના છોતરા દરિયાને અર્પણ કરવાને બદલે ભેગા કરી કચરાપેટીમાં નાંખવાની ખાનદાની શીખીને આવ્યો છું. કોઇ કામ બગડ્યું હોય કે સામે વાળી વ્યકિત કામ ન કરતી હોય તો એને માનપુર્વક ખખડાવવાની રીત શીખીને આવ્યો છું.  રુપિયા કમાવાની બધાને લાલસા છે પણ એ જ રુપિયા શું કામ કમાઈએ છીએ એનો કોઇ ખુલાસો નથી આપી શક્તા. .ઘરની અંદર હોય કે ઘરની બહાર બધા એક અધીરાઈની બીમારીથી પીડાય છે. બધાને ઉતાવળ છે ? શા માટે ? શું કામ ? કોઇને ખબર નથી. બસ ઉતાવળ છે. રોડ પર ઉતાવળ, ટ્રેનમાં ચઢવાની અને ઉતરવાની ઉતાવળ, લાઈનમાં ઉભા રહીને પણ કામ પતાવવાની ઉતાવળ અને અકળામણ, ઘરે જમવાની ઉતાવળ, બસ ઉતાવળ જ ઉતાવળ.

સમાજમાં આપણે સહુ એક બાજુ અધીરાઈથી પીડાય છે તો બીજી બાજુ આપણી ભીતરના આક્રોશને ઠાલવવા માટેના માધ્યમો શોધીએ છીએ. કોઇ ભુલથી રોંગ નંબર લગાવી આપણને ફોન કરે તો એને સામો ફોન કરીને ખખડાવવાની તક કોઇ જતું કરવા તૈયાર નથી. બેન્કમાં સરકારી કચેરીઓમાં લોકોએ લાઈનમાં ઉભા રહેવું નથી. બધી વાતે બસ બટન દબાવો અને તરત કામ થાયની અપેક્ષા રાખતા થઈ ગયા છીએ. બટન દબાયા બાદ જો મશીન રિએક્ટ ના કરે તો એને તોડવા સુધીના પગલા લેવા માટેની વૃતિ રાખતા થઈ ગયા છીએ.  કોઇનો હાથ ભુલથી લાગી જાય તો જોતો નથીનો ટપલીદાવ પણ થઈ જાય. પહેલા દબાઈને ખાઈપીને વજન વધારવાનું અને પછી એને ઉતારવા નુસ્ખાઓ અજમાવવાની આપણને આદત પડી ગઈ છે. શરીરની પત્તર ફાડી નાંખીએ છીએ. અને પછી ફરિયાદો કરતા રહીએ છીએ. નવાઈની વાત એ છે કે મનની શાંતિ શીખવતા મહાપુરુષોના દેશમાં જ લોકો મનની અશાંતિથી પીડાય છે.

અને આ બધામાં  બીજી બીમારી છે એકબીજાને છેતરવાની. અને હદ તો ત્યારે થાય જ્યારે આપણે આપણી જાતને પણ છેતરીએ છીએ. ખબર છે કે શરીરનું વજન વધી ગયુ છે અને કમર અને ઘુંટણની પીડા વધી રહી છે. તોયે કાલથી જીમ શરુ એવું નક્કી કરીને રોજ એ જ વાયદો ભુલી જઈએ છીએ. સિગરેટ છોડી દેવી છે ની ડંફાસ મારીએ પણ અમલ કરતા જ ફાંફાં પડી જાય.  કોઇને મુલાકાતનું કહીએ અને ક્યાં તો એને રાહ જોવડાવીએ ક્યાં તો ખુદ રાહ જોતા રહી જઈએ. ફોન કરીને પહેલા સારી સારી વાતો અને પછી તરત મતલબની વાતો. પોતે શિક્ષક તરીકે વિધાર્થીઓને સારા વિચારો ગ્રહણ કરવાનું શિક્ષણ આપીએ અને બીજી બાજુ ખુદની જ દિકરીને સમાજના ડરે ગમે ત્યાં ઠેકાણે પાડી દેવા કાવાદાવા કરીએ. જળ એ જીવન છે એવું ભણીએ પણ એને વેડફીએ પણ તન મન ધન દઈને. વૃક્ષનું જતન કરવાનું ફેસબુક પર જાહેર કરીએને ઘર આંગણે કોઇની જીદ ખાતર વૃક્ષો કપાતા મૂક પ્રેક્ષક બની જોતા રહીએ. લાઈફ આખી ફોરેન ટાઈપ કરી નાંખવી છે. પણ એ મુજબની માનસિક્તા કેળવવી નથી. 

ચચરાટ-
આખરે મુંબઈ હાઈકોર્ટે એ જ કર્યુ જે કરવા જેવું હતું. ૧૭ જુને રિલીઝ થવા તૈયાર ઉડતા પંજાબ ફિલ્મ માટે કેન્દ્રના ફિલ્મ સર્ટિફિકેશન બોર્ડે સુચવેલા કટ સામે વિરોધ રુપે નિર્માતાઓ હાઇકોર્ટમાં ગયા અને દરેક કટ્ટ કર હાઇર્કોર્ટૅ સર્ટિફિકેશન બોર્ડને તેમની જ ફરજનું ભાન કરાવતા કરાવતા દરેક મુદ્દે તેમને બરાબર સંભળાવ્યું અને આટઆટલું થયા બાદ જો પહલાજ નિહલાની હોદ્દા પર બની રહે છે તે તેમની કારકિર્દીને લજવતું પગલું છે. હાઇર્કોર્ટને જે વસ્તુમાં જરાય વાંધાવચકા ના લાગ્યા તે જ વસ્તુ વર્ષોથી ફિલ્મોમાં કામ કરનારને કેવી રીતે વાંધાજનક લાગી શકે ? નવાઈની વાત તો એ છે કે જેવો આ ફિલ્મનો વિવાદ થયો એટલે ઘણી બધી ન્યુઝ ચેનલોએ પંજાબમાં પવર્તતી ડ્ર્ગસની બદી સામે આંકડા સહિત રજુઆત કરી. અને આ બાબત જ ૨૦૧૭માં થઈ રહેલી પંજાબની વિધાનસભાની ચુંટણીમાં મુદ્દો બની રહેશે. અગાઊ આ જ વિષય પર લખાયુ હોય આ વાત અંહિ સમેટીએ. પણ એક વાત સ્પષ્ટ છે કે લગભગ ૫૦-૬૦ના દાયકાવાળી પેઢી જ્યાં સુધી નહિ જાય ત્યાં સુધી આપણી ડબલ સ્ટાન્ડર્ડવાળું જીવન તો જીવીશું. 

Tuesday, June 7, 2016

સંસ્કારી ફિલ્મ સેન્સર બોર્ડની અસંસ્કારી વાત.

હજી તો ભારતમાં પગ મુક્યો અને ગાડી મને લઈને જેવી એરપોર્ટની બહાર આવી એટલે મારો મિત્ર જે ગાડી ચલાવતો હતો તે ટ્રાફિક પોલીસના હાથે ઝડપાયો. સીટ બેલ્ટ બાંધી નહોતી. અને દંડ ભરવો પડ્યો. અને અસ્સલ ભારતીયપણું મને ઘેરી વળવા લાગ્યું. જેને જોવા  હું ઓકલેન્ડમાં તરસી ગયેલો. સિસ્ટમનો સતત બળાત્કાર કરતી પ્રજા સિસ્ટમનો પોતાની જરુરિયાત મુજબ દુરુપયોગ પણ કરતી હોય છે. ભારતીય ફિલ્મ સેન્સર બોર્ડ એનું ઉત્તમ ઉદાહરણ છે. પહલાજ નિહલાનીના વડપણ હેઠળનું સેન્સર બોર્ડ હંમેશા વિવાદમાં રહ્યુ છે. સાવ સરકારી (સંસ્કારી) ધોરણે ચાલતા ભારતીય સેન્સર બોર્ડની કામગીરી ઉડતા પંજાબ ફિલ્મના વિવાદને લીધે આ દલીલમાં પુરવાર કરે છે કે તમે કંઈ પણ કહો અમે નહિ માનીએ. ફિલ્મ બની છે પંજાબના યુવાવર્ગ પર અને એમના જીવનમાં અજગર ભરડાની જેમ એમને ભીંસમાં લઈને એમનું જીવન બરબાદ કરતા ડ્રગ્સની લત પર. આમા સેન્સર બોર્ડએ વિવાદ એમ કહીને છંછેડ્યો કે ફિલ્મમાંથી પંજાબનો સંદર્ભ તમામ કાઢી નાંખવામાં આવે.

વિદેશમાં તમે આંટો મારો તો બે પ્રદેશના લોકો તમને અચુક જોવા મળશે. ગુજરાત અને પંજાબ. ગુજરાતી પ્રજાનો ડોલરમોહ જગજાહેર છે પણ પંજાબી યુવાવર્ગનું વિદેશ મોહ આ ડ્રગ્સની માયાજાળ છે. નશેડી તરીકે પંજાબનો યુવાવર્ગ જગ વિખ્યાત  છે. પંજાબમાં ખુબ મોટી માત્રામાં યુવાનો ડ્રગ્સના રવાડે પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે. અને આ ક્રુર વાસ્તવિકતા નજર સામે નિહાળતા એ યુવાવર્ગના વડીલો પોતાના સંતાનને ડ્રગ્સની લતથી બચાવવા માટે જ જમીન વેચીને પણ પોતાના સંતાનોને વિદેશ મોકલતા હોવાના કિસ્સા ન્યુઝીલેન્ડના સમયગાળા દરમ્યાન સાંભળ્યા છે. અને વિદેશના કાયદાઓ અને મોંઘવારીને કારણે  આ જ યુવાનો માટે ડ્રગ્સ મેળવવું એ સ્વપ્ન સમાન છે. વળી આ જ યુવાવર્ગનો  એક કોમન સર્વે એ પણ જોવા મળ્યો કે પંજાબની વર્તમાન સરકાર પ્રત્યે પ્રજાજનોમાં ભારોભાર હતાશા અને આક્રોશ છે. પંજાબની વિધાનસભાની ચુંટણી છે. એટલે સ્વાભાવિક રીતે સેન્સરબોર્ડ જે ભારત સરકારની સંસ્થા છે તે ભાજપ સરકાર તરફ નમતું પલ્લું રાખે. કારણ કે પંજાબમાં અકાલી દળની સરકાર સાથે ભાજપનું ગઠબંધન છે. અને આવનારી ચુંટણીમાં ડ્રગ્સનો મુદ્દો પણ ચુંટણી મુદ્દા તરીકે જોવાય રહ્યો છે.  

વિવાદોના વમળમાં રહેતા સેન્સર બોર્ડની આ વાત ગળૅ ઉતરે એમ નથી. અને આખુ બોલીવુડ  ફિલ્મની તરફેણમાં લડવા તૈયાર છે. મૂળ મુદ્દો એ છે કે જે વાત હકીકત છે તે જોવા પ્રજા પોતે તરસે છે તો સરકાર કેમ નહિ ? સમાજની વાસ્તવિકતા કલાત્મક રીતે સમાજને બતાવવી એ જ તો કલાનું કામ છે. અભિવ્યકિતની સ્વતંત્રતા તો હોવી જ જોઇએ. પણ તન્મય ભટ્ટ જેવા હલકટ લોકો એનો દુરુપયોગ કરી સમાજને અસમંજસમાં મુકે છે કે ખરેખર અભિવ્યકિત બાબતે કોને કેટલી છુટ આપવી. અને તન્મય ભટ્ટ જેવા જ હલકી કક્ષાના લોકોની હલકી કોમેડી માણનારી પ્રજા પણ છે.  ઉડતા પંજાબ માટે  સેન્સર બોર્ડનો પક્ષ તદ્દન વાહિયાત લાગે છે. દિલ્લીમાં કોમી દંગલનો સીન બતાવતો અને વાંદરના નામે ઉભા થતા હાઉની વાર્તા દિલ્લી-૬ મુવીમાં હતી તો શું એ મુવીનું નામ બદલી દેવું ? ગેન્ગ ઓફ વસેપુરમાં તો વસેપુરની આખી દાસ્તાન સમૂળગી બતાવવામાં આવી હતી. અલીગઢ સમલૈંગિકો પરની ફિલ્મમાં પણ આવી જ વાત છે. કોઇ પણ વાત જો સમજવી હોય કે ગળે ઉતારવી હોય તો એ માટે સામેવાળાની સમજણ જરુરી છે. પણ એ જો માનવા માટે સામે વાળી વ્યક્તિ રાજી જ ન હોય તો એમાં કોઇ કશું નહિ કરી શકે. તન્મય ભટ્ટના લતા મંગેશકર અને સચિન તેન્ડુલકરની મિમિક્રી વાળો વિડીયો બંધ કરાવવા મુંબઈ પોલીસ તાબડતોડ યુટ્યુબના દરવાજે પંહોચ્યુ પણ મનસેના રાજ ઠાકરે દ્વારા પરપ્રાંતીયોની  રિક્ષા બાળવા માટે ઉશ્કેરતા વિડીયો માટે કોઇ પગલા લેવાયા જ નહિ. ટુંકમાં સિસ્ટમને મનફાવે ત્યારે પોતાની ઇચ્છા મુજબ બધા વાપરતા જોવા મળે છે. 

ભારતમાં સૌથી વધુ જો કોઇ કમનસીબ હોય તો એ ભારતનું બંધારણ પોતે છે. જેની દરકાર પણ આપણે આપણી જરુરિયાતમુજબ કરીએ છીએ. અને એની અવહેલના તો લગભગ દરેક પળે થાય છે. આપણી પ્રજાને (સરકારને) બીજાના બેડરુમની અંદર શું થાય છે એ જાણવાની અને એમાં પણ ચંચુપાત કરવાની ટૅવ છે. અને એટલે જ વિદેશોમાં દંભી પ્રજા તરીકેની સુગનો ભોગ ભારતીયો બનતા હોય છે. વાહિયાત મુદ્દાઓ પર વાહિયાત દલીલો કરતી ભારત સરકાર હાથના કર્યા હૈયે જ વગાડતી હોય તેમ સતત ખુદના જ પગે કુહાડી મારતી રહે છે. જોઇએ હવે આ ફિલ્મમાં ઉડતા પંજાબનું શું થાય છે.

ચચરાટ
અરે ભાઈ ઉડતા પંજાબ નહિ ઉડતા પીએમ બોલીએ. તો ફિલ્મ જોયા વગર પાસ કરી દેત સેન્સર બોર્ડ. 

Thursday, May 26, 2016

આર્ટસ લઈને મે બહુ ઉત્તમ ભુલ કરી.

આર્ટસ લઈને મે બહુ ઉત્તમ ભુલ કરી. ત્યારે હું ૧૧મા ધોરણની પરીક્ષાની તૈયારી કરતો હતો. રવિવાર હોવાને લીધે પપ્પા ઘરે હતા.ભંગાર લે-વેચ કરતા એક કાકા ઘરે આયા અને પાણી માંગ્યુ. પપ્પાએ લોટો ધર્યો. ભંગારવાળા કાકા પાણી પી લીધા બાદ પોરો ખાવા ઓટલે બેઠા અને વાતે લાગ્યા. મને ભણતા જોઇ કાકા બોલ્યા કે પંડિત છોકરો તો બહુ ભણે છે ને કયા ધોરણમાં છે. ? પપ્પાએ કહ્યું ૧૧મા ધોરણમાં છે. તે ભંગારવાળા કાકા આગળ વધ્યા. કહે કઈ સ્કુલમાં અને સાયન્સ કે કોમર્સ. તો પપ્પાએ કહ્યું આર્ટસ અને જીવીડીમાં ભણે છે. મારા બાપ કરતા તો પેલા ભંગાર જેવા દેખાતા ભંગારવાળાને હૈયે ફાળ પડી. તરત બીજો પ્રશ્ન ઇંગ્લીશ છે કે નથી ? પપ્પાએ કહ્યું ના અંગ્રેજી છોડવાની શરતે ગુજરાત સરકારે એને દસમામાં ઉપર ચઢાવેલો.(પાટીદારોને ફઈબા પર ખીજ આજકાલ ચઢી હશે મને તો ત્યારની છે.) ભંગારવાળા કાકાએ મારુ ભવિષ્ય ભાખતા હોય તેમ કહ્યું ઉઠાડી લો પંડિત. કેટલાય આર્ટસવાળાઓને ઝાડુ મારતા જોયા છે. પપ્પાને તો જાણે મોટો ભાઈ મળ્યો એમ એમનો ઉત્સાહ વધ્યો પણ એમને મારો સ્વભાવ ખબર એટલે સમસમીને રહી ગયા. ભંગારવાળા કાકાની ભંગાર જેવી વાતો જાણી-સમજી લીધા બાદ વારો મારો હતો.મે શરુ કર્યુ. કાકા તમારા ઘરમાં સૌથી વધારે કોણ ભણેલું ? કાકા કહે કે કોઇ નહિ. બધા અંગુઠા છાપ. બે ચાર ચોપડી પછી બધા ભણવાનું છોડી ભંગારના ધંધે લાગી જાય. અને મે શરુ કર્યુ, "તે તમે બધા ભણો નહિ તો તમારુ જીવન ભંગાર જેવું જ હોયને અને તમે બધા ભંગાર જેવું જ વિચારતા થાવ. અને બીજા પણ ભંગાર જેવા જ રહે એવું ગામ આખામાં સલાહ આપતા ફરો." મારો પિત્તો જતો જોઇ પપ્પા પામી ગયા કે હવે આ ભંગારવાળાને મારવા લેશે. એટલે પપ્પાએ ભંગારવાળાને રવાના કર્યો.આર્ટસ હોવા છતાં ખુબ મહેનત કરતા જોઇ ઘણાને એમ લાગતું કે આ સાયન્સમાં હશે. પણ જેવી ખબર પડે કે આર્ટસ છે તેવુ તરત જ મો કટાણું કરીને વહ્યા જાય. એ વાત અલગ છે કે નવાબો આજે ઓટો ચલાવે છે. પણ એ અભાગિયાઓને કેમ કરી સમજાવું કે આર્ટસ લેવાને કારણે કેટકેટલા સબ્જેકટ ભણવા મળ્યા.સમાજશાસ્ત્ર,તર્કશાસ્ત્ર, ભારતીય સંસ્કૃતિ અને સ્થાપત્ય કળા,રાજયશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, વસ્તીશાસ્ત્ર, પર્યાવરણશાસ્ત્ર. હજી યાદ છે કોલેજ કાળમાં મનોવિજ્ઞાન વિષય રાખવાનો એક જ ઇરાદો હતો કે એ મને નોકરી આપે કે ના આપે પણ જીવન જીવતા શીખવશે. અને થયું પણ એવુ જ. રાજ્યશાસ્ત્ર રાખવાનો હેતુ મારી અંદર રહેલી રાજનીતી પ્રત્યેની રુચિ જે આગળ જતા બેવડાઈ.એરિસ્ટોટલ,સોક્રેટિસ રુસો, સ્ટાલિન, ગાંધી, માર્ક્સ, મુસોલિની, એડોલ્ફ હિટલર, અરે કેટકેટલા વિચારકોના વિચારો રાજયશાસ્ત્રએ આપ્યા. કાલિદાસ, ભાસના નાટકોએ કેટલી મઝા કરાવી. સુર્યકાંત નિરાલાની 'વહ તોડતી પથ્થર' તો મન્નુ ભંડારીના પુસ્તકો. પ્રેમચંદની નોવેલ નિર્મલા પપ્પાની સીંગ ચણાની લારીએ દિવાના પ્રકાશે વાંચી હતી. પન્નાલાલ પટેલ તો ક.મા.મુનશીની કૃષ્ણાવતાર, તો ર.પા.ની કાગડો ઉડી ગયો તો વિનોદ જોશીની ઝાલર વાગે જૂઠડી. સાત પગલા આકાશમાં તો કાશીમાંની કુતરી, જુમો ભિસ્તી, કુમુદનું તહોમતનામું. કેટકેટલું શીખ્યો સંબંધ બાબતે. આર્ટસમાં ભણ્યો છું અને અંગ્રેજી વિના ભણ્યો છું અને દર વર્ષે કોલેજ ટોપ પણ કર્યુ છે. અને ન્યુઝીલેન્ડમાં બેસીને હજી આગળ ભણું છું. અને તોયે મારી બધી ડિગ્રી ધૂળ ખાતી અનુભવું છું કારણ કે મારા કામમાં ડિગ્રી કરતા સ્કીલ વધારે જોઇએ. ઘરમાં રહેલા સામાજીક કુરિવાજો દુર કરવામાં આર્ટસના ભણતરે જ તો વધારે હિમંત આપી. ઓફિશિયલ નામ આગળ એડવોકેટ લખવાની લાયકાત મેળવી છે તો હુલામણા નામને પણ આરજેનું બિરુદ આપ્યુ છે. હજી એમફિલ પીએચડી રાહ જુએ છે. આજે આર્ટસ કોલેજો બીમાર પડી છે. છોકરા મેળવવાના ફાંફા છે. અરે યંત્રો ચલાવતા તો શીખી જશો પણ મંત્રોચ્ચાર કરતા શીખવતી શાખાની જાળવણી પણ જરુરી છે. ભલે. જે વિષય જીવનમાં વણાયેલો હોવો જોઇએ એ શીખવા પણ જવું પડે એ પણ મોટી કમનસીબી જ ને. બાકી ગુજરાતી ભાષા ભણાવવાની જરુર ખરી ? એ તો હૈયે હોવી જોઈએ. ધૂળમાંથી ઉભો થયો છું એટલે ધૂળને ખંખેરતો નથી અને કેટલાક નમુના એટીકેટના નામે મોટલી મારવા નીકળે ત્યારે એમને કહેવાનું મન થાય કે ભાઈ ચોથા ધોરણની શા. કે. માં આવતી પેલી કવિતા હૈયે હજી અકબંધ છે. એવી માટીની ગંધ આવે યાદ રે હાલો ભેરુ ગામડે રે.

Thursday, May 19, 2016

પૃથ્વી ખરેખર ગોળ છે.

જીવનમાં આમ જોવા જઈએ તો આપણી અંદર રહેલા માનવીય અભિગમને આપણે શાણા બનવાના ચક્કરમાં ગુમાવતા હોઈએ છીએ અને પછી માનવસંબંધોમાં વ્યવહાર નામનો સડો પેસે છે. અને લુચ્ચાઈ નામની બીમારીનો બધા ભોગ બને છે. લુચ્ચાઈ અને ખાનદાની આ બંન્ને વચ્ચે આપણી જાત મુંઝાતી રહે છે. અને પરિણામે સમાજજીવનમાં તકલીફો ઉમેરાય છે. આ વાતને સાર્થક કરતી એક વાર્તા યાદ આવે છે. 

એક ગરીબ ભરવાડ કે જે ગામડે ગામડે ફરીને ઘી વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો તે ખરીદી કરવા અવારનવાર શહેરમાં જતો હતો. શહેરમાં જે દુકાનેથી તે પોતાના ઘર માટે કરિયાણું ખરીદતો હતો એ જ દુકાનનાં માલિકે એ ભરવાડને દર પખવાડિયે ૧૦ કિલો ઘી પોતાને વેચવાની ઓફર કરી. ભરવાડ રાજી થતો થતો ઘેર ગયો અને ઘી બનાવવાની તૈયારી આરંભી અને નિયત કરેલા દિવસે તે ૧૦ પેકેટ ઘી સાથે હાજર થઈ ગયો. ભરવાડને એના ઘીની રકમ ચુકવીને દુકાનદારે એને રવાના કર્યો અને ઘીના દસ પેકેટ એ જ રીતે રાખી વેચવા માટે મુક્યા અને લગભગ બે થી ત્રણ ગ્રાહકો એ ખરીદીને લઈ ગયા. દુકાનદાર રાજી થઈને મલકાતો હતો કારણ કે એને મૂળ કિંમતમાં લગભગ ૩૦ ટકા જેટલો નફો દરેક પેકેટ દીઠ મળતો હતો. ત્યાં તો ૩૦ મિનિટના અંતરે ટપોટપ ત્રણેય ગ્રાહક વારાફરતી એક કિલોને બદલે પોતાને ૯૦૦ ગ્રામ જ ઘી મળ્યું એવી ફરીયાદ કરી ઘીનું પેકેટ પરત કરી પોતાના પૈસા લઈ જતા રહ્યા.અને દુકાનદારને બરાબર સંભળાવી તે અલગ. દુકાનદારે તરત જ બીજા પેકેટ પણ જોખી જોયા તો એ બધા પણ ૯૦૦ ગ્રામના જ હતાં. દુકાનદાર ગુસ્સાથી ધુંઆપુંઆ થઈ ગયો અને ભરવાડ ફરી આવે તો પોતાને છેતરવા બદલ એને બરાબર પાઠ ભણાવવાની ગણતરી સાથે એણે બધા પેકેટ જેમના તેમ રાખી દીધા. ભરવાડ એના નિયત ક્રમ મુજબ પખવાડિયા બાદ આવી ગયો. અને દુકાનદારે એને ખરી ખોટી સંભળાવવાની શરુ કરી. અચાનક થયેલા આવા આક્ષેપોથી પેલો ગરીબ ભરવાડ ડઘાય ગયો અને ચુપચાપ દુકાનદારની વાતો અને ગુસ્સો બંન્ને ખમી લીધા બાદ એણે વિનમ્રતાપુર્વક કહ્યું કે સાહેબ હું તો ગામડાનો અભણ ભરવાડ છું. મને આવા તોલ-માપના સાધનોની શી ખબર ? અને આવા સાધનો ખરીદવાની મારી ત્રેવડ પણ નથી. એટલે તમારી જ દુકાનેથી ખરીદેલી ૧ કિલો ખાંડના પેકેટનો જ ઉપયોગ મે આ ઘી જોખવા માટે કર્યો. અને ભરવાડની આ વાત સાંભળી દુકાનદારની બોલતી બંધ થઈ ગઈ. 

માણસ તરીકે આપણા સ્વભાવની ખાસિયત એ છે કે આપણે જો કોઇને છેતરતા હોઇએ તો એને આપણે આપણી ચતુરાઈ તરીકે ખપાવીએ અને જો બીજો કોઇ આપણને છેતરે તો આપણે એને લુચ્ચાઈ તરીકે ગણતા હોઇએ છીએ. ત્રીજા માણસની આવી છેતરવાની વાર્તા સાંભળી એને આપણે એની ખંધ્ધઈ કહેતા હોઇએ છીએ. પરિણામે પૃથ્વી ગોળ છે એ કહેવત અનુસાર જ બધું આપણને જ ફરી મળતું હોય છે. ગયા મહિને જ્યારે હું ઇન્ડિયા ગયેલો ત્યારે મારા હોમટાઉન વલસાડની મુલાકાત લેતા વેળા એ તમામ વ્યકિતત્વોને મે મારો મળવાનો ક્રમ ફરી જાળવ્યો જે લોકોએ મારા ઘડતરમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ફાળો આપ્યો હતો. અને મારી શુભેચ્છા મુલાકાતોને પરિણામે આવા સજ્જ્નો-સ્વજનોના ચહેરા પર જોવા મળતા આત્મસંતોષને જોઇ આપણને પણ કૃતજ્ઞી બન્યાનો આનંદ મળતો હોય છે. ઘણીવાર રસ્તે પસાર થતાં હોઇએ ત્યારે આપણા માટે નકામું ગણાતું કાગળ કે વસ્તુ આપણા ખિસ્સામાંથી નીચે અજાણતામાં પડી જાય તો કોઇ વ્યક્તિ આપણને એ માટે માહિતગાર કરે છે ત્યારે એ કાગળ જોઇને જ એ કામનું નથી એમ કહી આપણે એ કાગળ ઉચકવાનું માંડી વાળીએ છીએ. અને પરોક્ષ રીતે આપણને માહિતગાર કરનાર વ્યક્તિનું અપમાન કરીએ છીએ. ખરેખર તો આપણને માહિતગાર કરનાર વ્યક્તિના માન ખાતર પણ એ નકામું કાગળ ઉંચકીને લઈ લઈશું તો પેલી 
વ્યક્તિ બીજી વ્યકિતઓને પણ આવી ઘટના બનતી વખતે માહિતગાર કરવાનું ચાલું રાખશે. 

બીજા વડે થયેલી ભલમનસાઈને પોતાના અહંકાર ખાતર ભુલી જનારા ઘણા લોકો આપણી આસપાસ જોવા મળે જ છે. રસ્તા પર બાળકોને બેસાડીને ટુ-વ્હીલર પર જતાં વ્યક્તિને ડ્રાયવીંગ કરતી વખતે ફોન પર વાત ન કરવા માટે વિનમ્રતાપુર્વક ના પાડીએ અને સમજાવીએ તો એ વ્યક્તિ “તમે તમારું કામ કરોને “ એવો પ્રત્યુત્તર આપે છે. અને એને સલાહ આપનાર વ્યક્તિ પોતે અપમાનિત થયા બાદ હવે બીજીવાર કોઇને પણ આવી સલાહ આપવાનો કે સમજાવવાનો પ્રયત્ન માંડી વાળે છે. 

ચચરાટ-
અન્ય પર કરેલા ઉપકારો ને ભુલી જવું એ ભલા માણસોની ખાનદાની છે તો પોતાના પર થયેલા ઉપકારો ભલે ભલા માણસો ભુલી જાય પણ ઉપકાર જેના પર થયો છે તે વ્યક્તિ એને યાદ રાખે અને કૃતજ્ઞી બની ભલા માણસ  સાથે વિનમ્રતાપુર્વક વર્તે એ ઉપકાર મેળવનાર વ્યક્તિનીની ખાનદાની છે.

Tuesday, May 10, 2016

સંતાનોની જ નહિ પણ મા-બાપની ભુલોને પણ ભુલશો નહિ.

ગયા અઠવાડિયે બધાએ રંગેચંગે મધર્સ ડે ઉજવ્યો. અને એમાં બધાએ પોતાની માતા સાથેના ફોટા ફેસબુક પર વોટસ અપ ના ડિસ્પ્લે પિક્ચરમાં રાખી માતા પ્રત્યેની લાગણી વ્યકત કરી. અને પ્રાસંગિક પણ હતું પણ વ્હેણથી અલગ વ્હેવાના અભરખા રાખનારા કેટલાક છંછુદર જેવા નપાણિયાઓ આવી પળે ચુંટી ખણીને આપણા મૂડની પથારી ફેરવતા હોય છે. ઘણા લખ્યું કે આજે માતા પ્રત્યેનો પ્રેમ છલકાતો જોય એમ થાય છે કે આજે મોટાભાગના વૃધ્ધાશ્રમો ખાલી થઈ જશે. અને અડધું ફાધર્સ ડે ના દિવસે. જોકે ફેસબુક પર ફોટા મુકનારા તમામ લોકો પોતાના માતા-પિતા સાથે રહેતા હતા અને એમની સેવા કરતા હતા. આવા ખણખોદિયાઓ ક્યારેય વૃધ્ધાશ્રમોની મુલાકાતે જતા નથી અને ગયા બાદ અડધી માહિતી મેળવી પરત આવતા હોય છે. જે વડીલોએ રડતા રડતા કહ્યું કે સંતાનોએ તરછોડ્યા એમના સંતાનોનો પક્ષ સાંભળવા જવાની તસ્દી કોઇ લેતું નથી હોતું. આવા વૃધ્ધાશ્રમોમાં મોટાભાગે સંતાન વિહોણા, પુત્રીના લગ્ન બાદ એકલા પડેલા, અકાળે સંતાનોના મૃત્યુને કારણે એકલા પડેલા અને સંતાનોથી તરછોડાયેલાઓનો સમાવેશ થાય છે. આવી એક સંસ્થાનો અભ્યાસ કરવાનું મારા કોલેજકાળમાં અભ્યાસ હેઠળ બનેલું.

કુદરતી રીતે દિકરો માતા સાથે એક અદભુત મમત્વ ધરાવે છે. અને એની માતાને રડતી કદી જોઇ શકે. એવી રીતે દિકરી બીજી મા સમાન પોતાના પિતાની કાળજી લેતી હોય છે. પણ બધામાં ખરો કંકાસ ક્યા ઉદભવે છે ? તાળી એક હાથે કદી વાગતી નથી. મારા ઘરની વાત લંઉ તો જો બન્ને પક્ષને ધ્યાને લઈએ તો તો અમારા ઘરે રોજ કંકાસ છાપરે ચઢીને પોકારે. માતા-પિતા છેક ઉત્તરપ્રદેશના રહેવાસી એટલે દિકરીને ભણાવવાની નહિ, ઘરની બહાર સ્ત્રીઓ ઘુંઘટ તાણીને  જવાનું, સ્ત્રીઓએ નોકરી નહિ કરવાની, બાળકોના લગન કિશોરાવસ્થામાં જ કરાવી દેવા જેવી વાતો રોજેરોજની હોય. એમાં મારા પિતાની આટલા રુપિયા આપ તો ગામ જઈ શાંતિથી જીવન વીતાવુનું રટણ હોય. જ્યારે એમની શારીરિક ક્ષમતા કોઇ કાળે શહેર બહાર રહેવાની નથી. કારણ કે જે ગામમાં વીજળી અને રસ્તાના ઠેકાણાં નહિ ત્યાં એમબ્યુલન્સના ઠેકાણા ક્યાંથી હોય ? અને જ્યારે અમે સંતાનો ભેગા થઈએ તો જેમનું ગામમાં કશું ઉપજતું હોય એવા લોકોના ઉદાહરણ આપી ટોણો મારે. કે ફલાણાના દિકરાએ ટ્રેકટર લીધું. પેલાના દિકરાએ ત્રણ માળનું ઘર બાંધ્યુ. અને અમે વધારે તપાસ કરીએ તો ખબર પડે કે એમના સંતાનો એમના માતા-પિતાના ત્રાસથી બચવા એમને ત્રીજા માળે રાખે જેથી ડોશા-ડોશી વારે વારે નીચે આવી ના શકે. અને કકળાટ થાય. ખુદનો દિકરો આખાય કુંટુંબમાં પહેલવહેલો પોસ્ટ ગ્રેજ્યુએટ થયો. વિદેશ ભણવા ગયો, ગામ આખામાં સમ્માન મેળવે છે તોયે દિવા તળે અંધારુ ઘાટ મુજબ મારા માતાપિતા બીજાના સંતાનો આગળ અમે સાવ નકામાં છીએનો ભાવ જન્માવે. અને બધાની વચ્ચે વહુઓને ટોણો મારવાનું કામ સતત. પૌત્રીઓની ઉંચાઈ જોઇ પરણાવવાની વાત દરરોજ કરે

કોઇ જીદ પુરી ના કરો તો જમવાનું છોડી દે,વાત ના કરે, વાતે વાતે મરવાની વાત કરે. દિકરીઓને ભણાવવાની ના પાડે, એમને જલ્દી પરણાવવાની વાત કરેદહેજપ્રથાને જીવતી રાખવા મથે.વહુઓને વાતે વાતે ટોણો મારેવાતે વાતે અકળાયકોઇ વસ્તુ ઝટ નહિ મળૅ તો રિસાયજમવાનું માંડી વાળેપ્રસંગોનો બહિષ્કાર કરેવડીલ તરીકે મારું ઉપજતું નથી એવા ટોણા જાહેરમાં મારેઅને જે વાતે દિકરાએ સગવડ કરી આપી હોય   વાતોમાં પોતે હેરાન થઈ દિકરાને પજવેકશો વાંધો નહિ એમ કહેતા જાય અને વાંધા વિશે ગામ આખામાં મમરો પણ મુકતા આવેઆવા ડોહા ડગરાઓને સહન કરવા પણ બહુ મોટી વાત છે. અને એમને સહન કરી સેવા કરતા ઘણા શ્રવણો જોયા છે. અમારા દાદા અમારા મોટાભાઈઓને નાની ઉંમરે પરણાવી દહેજમાં ભેંસ લેતા. અને આજે અમારા મોટાભાઈઓનું જીવન ભેંસ કરતાય બદતર છે. તોયે ડોશો બધી સેવાચાકરી કરાવીને ગયો. આજે એના ભોગે જે લોકોના જીવન બદતર છે તે જોવા કેમ કોઇ નપાણિયો જતો નથી ? આ બધી લપ વચ્ચે પણ અમે ત્રણેય ભાઈઓ અમારા માતા-પિતાની બધી વાતે કાળજી લઈએ. લોકો ખોટા હોય તોયે પત્નીઓને વઢીએ.  આટઆટલું કર્યા બાદ કેટલાક છંછુદરો સંતાનોને બદનામ કરવા નીકળે. ઘરમાં પ્રશ્નો ઉભા કરવામાં વડીલોનો બહુ મોટો ફાળો હોય છે.  મારા દાદાનું હંમેશનું એક રટણ રહેતું કે "હવે કેટલા વર્ષ જીવીશ ફલાણાના લગ્ન જોતો જાઉં એવું મન છે" વાતનું રટણ કરી લગભગ પાંચ ભાઈઓના બાળલગ્ન કરાવી એક એક ભાઈ દીઠ પાંચ ભેંસ દહેજમાં મેળવી જલસા કરતા કરતા પરલોક સિધાવ્યા. જ્યારે કોઇ હરખભેર કહે કે મારા દાદા અમને વાર્તા કહેતા, ફરવા લઈ જતા, સારી વાત શીખવતા તો એની સામે અમે એમ જ કહીએ કે અમે એવા કેવા ભુંડા કરમ કરેલા કે આવો ડોશો અમારો દાદો બન્યો. દાદાની નિષ્કાળજીને લીધે જ દાદી અકાળે અવસાન પામેલા. જુગાર રમવામાં આખુ રાજપાઠ ગુમાવેલું. અને તોયે આજે બધા કહે દાદા હતા તો આબરુ હતી. (જેને અમે રોજ ચીંથરે વ્હેંચાતા જોયેલી.)

મા-બાપને ભુલશો નહિ ગાવાવાળા ઘેટાંના ટોળાની જેમ મળશે. પણ પોતાની જીદ, અહંકાર, સમાજની દેખાદેખી ખાતર સંતાનોના જીવન બદત્તર બનાવનાર મા-બાપની ભુલ કેમ એ માતા-પિતા પાસે કબુલાવતા નથી. સરસ્વતીનો અવતાર કહી શકાય એવી મારી મિત્રની અવહેલના એટલા માટે થાય કારણકે લગ્ન લાયક થઈ છે અને પોતાની કળાપ્રિયતા છોડી તે લગ્ન કરવા સમજુતી કરતી નથી. માતા-પિતાના રોજના મેણા-ટોણાથી તે ત્રાસીને આત્મહત્યા કરી લેવા સુધ્ધાની વાતો કરે છે. એક બિઝનેસવુમન વાળી એની પ્રતિભાની છડેચોક અવહેલના જોઇ મને થાય કે એના માતા-પિતાને ઘરડાઘરમાં સોંપી આવું.એણે મેળવેલા ઇલ્કાબો, ખિતાબો, સમ્માન, પ્રગતિ બધુ કોરાણે મુકી માત્ર એને લગ્ન કરી લેવા રોજેરોજ મેણાં ટોણા મરાય છે. આવા તો માંગો તો એક નહિ પણ હજાર કિસ્સા મળશે. પણ આપણે ત્યાં મૂર્ખાઓની જમાત એવી ને એટલી છે કે ના પુછો વાત.જો કહેવતો સાચી પડતી હોય તો કહેવત મુજબ જે સંસ્કાર તમે વાવ્યા હશે તે તમને વળતરમાં મળશે.જેવું કરશો તેવું ભરશો.


ચચરાટ-
વાજબી વાત કરે તો મા-બાપના બધા વચનો માથે. અને ગેરવાજબી વાત હોય તો ભલેને જતા ઘરડાઘરમાં. મને કંઈ ફેર નહિ પડે જેણે જે કહેવું હોય તે કહે. જેમ મા-બાપના ઘડપણને સમજવાની સંતાનોની ફરજ છે રીતે સંતાનોની સાંસારિક જવાબદારી સમજવાની વડીલોની પણ ફરજ છે. આમ પણ બાળસહજ ખોટી જીદો આપણે ક્યા ચલાવી લઈએ છીએ ?