Tuesday, June 7, 2016

સંસ્કારી ફિલ્મ સેન્સર બોર્ડની અસંસ્કારી વાત.

હજી તો ભારતમાં પગ મુક્યો અને ગાડી મને લઈને જેવી એરપોર્ટની બહાર આવી એટલે મારો મિત્ર જે ગાડી ચલાવતો હતો તે ટ્રાફિક પોલીસના હાથે ઝડપાયો. સીટ બેલ્ટ બાંધી નહોતી. અને દંડ ભરવો પડ્યો. અને અસ્સલ ભારતીયપણું મને ઘેરી વળવા લાગ્યું. જેને જોવા  હું ઓકલેન્ડમાં તરસી ગયેલો. સિસ્ટમનો સતત બળાત્કાર કરતી પ્રજા સિસ્ટમનો પોતાની જરુરિયાત મુજબ દુરુપયોગ પણ કરતી હોય છે. ભારતીય ફિલ્મ સેન્સર બોર્ડ એનું ઉત્તમ ઉદાહરણ છે. પહલાજ નિહલાનીના વડપણ હેઠળનું સેન્સર બોર્ડ હંમેશા વિવાદમાં રહ્યુ છે. સાવ સરકારી (સંસ્કારી) ધોરણે ચાલતા ભારતીય સેન્સર બોર્ડની કામગીરી ઉડતા પંજાબ ફિલ્મના વિવાદને લીધે આ દલીલમાં પુરવાર કરે છે કે તમે કંઈ પણ કહો અમે નહિ માનીએ. ફિલ્મ બની છે પંજાબના યુવાવર્ગ પર અને એમના જીવનમાં અજગર ભરડાની જેમ એમને ભીંસમાં લઈને એમનું જીવન બરબાદ કરતા ડ્રગ્સની લત પર. આમા સેન્સર બોર્ડએ વિવાદ એમ કહીને છંછેડ્યો કે ફિલ્મમાંથી પંજાબનો સંદર્ભ તમામ કાઢી નાંખવામાં આવે.

વિદેશમાં તમે આંટો મારો તો બે પ્રદેશના લોકો તમને અચુક જોવા મળશે. ગુજરાત અને પંજાબ. ગુજરાતી પ્રજાનો ડોલરમોહ જગજાહેર છે પણ પંજાબી યુવાવર્ગનું વિદેશ મોહ આ ડ્રગ્સની માયાજાળ છે. નશેડી તરીકે પંજાબનો યુવાવર્ગ જગ વિખ્યાત  છે. પંજાબમાં ખુબ મોટી માત્રામાં યુવાનો ડ્રગ્સના રવાડે પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે. અને આ ક્રુર વાસ્તવિકતા નજર સામે નિહાળતા એ યુવાવર્ગના વડીલો પોતાના સંતાનને ડ્રગ્સની લતથી બચાવવા માટે જ જમીન વેચીને પણ પોતાના સંતાનોને વિદેશ મોકલતા હોવાના કિસ્સા ન્યુઝીલેન્ડના સમયગાળા દરમ્યાન સાંભળ્યા છે. અને વિદેશના કાયદાઓ અને મોંઘવારીને કારણે  આ જ યુવાનો માટે ડ્રગ્સ મેળવવું એ સ્વપ્ન સમાન છે. વળી આ જ યુવાવર્ગનો  એક કોમન સર્વે એ પણ જોવા મળ્યો કે પંજાબની વર્તમાન સરકાર પ્રત્યે પ્રજાજનોમાં ભારોભાર હતાશા અને આક્રોશ છે. પંજાબની વિધાનસભાની ચુંટણી છે. એટલે સ્વાભાવિક રીતે સેન્સરબોર્ડ જે ભારત સરકારની સંસ્થા છે તે ભાજપ સરકાર તરફ નમતું પલ્લું રાખે. કારણ કે પંજાબમાં અકાલી દળની સરકાર સાથે ભાજપનું ગઠબંધન છે. અને આવનારી ચુંટણીમાં ડ્રગ્સનો મુદ્દો પણ ચુંટણી મુદ્દા તરીકે જોવાય રહ્યો છે.  

વિવાદોના વમળમાં રહેતા સેન્સર બોર્ડની આ વાત ગળૅ ઉતરે એમ નથી. અને આખુ બોલીવુડ  ફિલ્મની તરફેણમાં લડવા તૈયાર છે. મૂળ મુદ્દો એ છે કે જે વાત હકીકત છે તે જોવા પ્રજા પોતે તરસે છે તો સરકાર કેમ નહિ ? સમાજની વાસ્તવિકતા કલાત્મક રીતે સમાજને બતાવવી એ જ તો કલાનું કામ છે. અભિવ્યકિતની સ્વતંત્રતા તો હોવી જ જોઇએ. પણ તન્મય ભટ્ટ જેવા હલકટ લોકો એનો દુરુપયોગ કરી સમાજને અસમંજસમાં મુકે છે કે ખરેખર અભિવ્યકિત બાબતે કોને કેટલી છુટ આપવી. અને તન્મય ભટ્ટ જેવા જ હલકી કક્ષાના લોકોની હલકી કોમેડી માણનારી પ્રજા પણ છે.  ઉડતા પંજાબ માટે  સેન્સર બોર્ડનો પક્ષ તદ્દન વાહિયાત લાગે છે. દિલ્લીમાં કોમી દંગલનો સીન બતાવતો અને વાંદરના નામે ઉભા થતા હાઉની વાર્તા દિલ્લી-૬ મુવીમાં હતી તો શું એ મુવીનું નામ બદલી દેવું ? ગેન્ગ ઓફ વસેપુરમાં તો વસેપુરની આખી દાસ્તાન સમૂળગી બતાવવામાં આવી હતી. અલીગઢ સમલૈંગિકો પરની ફિલ્મમાં પણ આવી જ વાત છે. કોઇ પણ વાત જો સમજવી હોય કે ગળે ઉતારવી હોય તો એ માટે સામેવાળાની સમજણ જરુરી છે. પણ એ જો માનવા માટે સામે વાળી વ્યક્તિ રાજી જ ન હોય તો એમાં કોઇ કશું નહિ કરી શકે. તન્મય ભટ્ટના લતા મંગેશકર અને સચિન તેન્ડુલકરની મિમિક્રી વાળો વિડીયો બંધ કરાવવા મુંબઈ પોલીસ તાબડતોડ યુટ્યુબના દરવાજે પંહોચ્યુ પણ મનસેના રાજ ઠાકરે દ્વારા પરપ્રાંતીયોની  રિક્ષા બાળવા માટે ઉશ્કેરતા વિડીયો માટે કોઇ પગલા લેવાયા જ નહિ. ટુંકમાં સિસ્ટમને મનફાવે ત્યારે પોતાની ઇચ્છા મુજબ બધા વાપરતા જોવા મળે છે. 

ભારતમાં સૌથી વધુ જો કોઇ કમનસીબ હોય તો એ ભારતનું બંધારણ પોતે છે. જેની દરકાર પણ આપણે આપણી જરુરિયાતમુજબ કરીએ છીએ. અને એની અવહેલના તો લગભગ દરેક પળે થાય છે. આપણી પ્રજાને (સરકારને) બીજાના બેડરુમની અંદર શું થાય છે એ જાણવાની અને એમાં પણ ચંચુપાત કરવાની ટૅવ છે. અને એટલે જ વિદેશોમાં દંભી પ્રજા તરીકેની સુગનો ભોગ ભારતીયો બનતા હોય છે. વાહિયાત મુદ્દાઓ પર વાહિયાત દલીલો કરતી ભારત સરકાર હાથના કર્યા હૈયે જ વગાડતી હોય તેમ સતત ખુદના જ પગે કુહાડી મારતી રહે છે. જોઇએ હવે આ ફિલ્મમાં ઉડતા પંજાબનું શું થાય છે.

ચચરાટ
અરે ભાઈ ઉડતા પંજાબ નહિ ઉડતા પીએમ બોલીએ. તો ફિલ્મ જોયા વગર પાસ કરી દેત સેન્સર બોર્ડ. 

No comments:

Post a Comment