Tuesday, July 19, 2016

તમે અમારી વાતને (કાયદાને) ના સમજો અને અમે તમારી વાતને(ફાયદાને) નહિ સમજીએ.

સામાન્ય રીતે આપણે સરકાર વડે સંસદમાં પ્રસાર કરવામાં આવતા કાયદાઓ કે ખરડાઓને વાંચવામાં ત્યાં સુધી રસ નથી લેતા જ્યાં સુધી એમાં આપણે ક્યાં તો ભેરવાતા નથી અથવા એમાંથી કોઇ ફાયદો જડતો નથી. એટલે કે આપણા કામનું હોય તો જોશું બાકી કોના બાપની દિવાળી ? જીએસટી ( ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સ) વિશે પણ એવી જ ધારણા છે.  વિરોધ પક્ષનો વિરોધ એની જગા પર પણ આ બિલ એટલા માટે પાસ થવું જોઇએ કારણ કે એ મોદી સરકારનું છે. પણ આ બિલમાં શું છે જે કામનું છે કે શું ફાયદો કરાવનારું છે ? એમાં કઈ કઈ મર્યાદાઓ છે એની વિગતો કોઇ પાસે માંગો તો બધાના ચહેરા પર પ્રશ્નાર્થ ચિન્હ વર્તાવા લાગે છે. જાણીતા પત્રકાર અંશુમન તિવારીના મતે "આ કર સુધાર માટેના કેટલાક કારણો છે. પહેલું કારણ એ કે આખા દેશમાં ટેકસની એવી માયાજાળ છે કે ભારતને એક કોમન માર્કેટ બનાવવામાં તે સૌથી મોટી મર્યાદા ઉભી કરે છે. ( જેમકે હંમણા જ કેરળની રાજ્ય સરકારે ફેટ ટેક્સ લગાવ્યો અને તે પણ ૧૪.૫ ટકા ) જીએસટીથી આખા દેશમાં ઉત્પાદન, વેચાણ અને સેવાઓ માટૅ સમાન દરે ટેક્સ લાગશે અને ભારત એક અમર્યાદિત બજાર બની જશે. બીજું કે વિભિન્ન પ્રકારના ટૅક્સ મોંઘવારી વધારે છે પણ જીએસટીના માધ્યમથી કસ્ટમ ડ્યુટી ની સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારોના બધા જ પરોક્ષ ટેક્સ જેમાં એક્સાઈઝ, સર્વિસ, વેટ, જકાત જેવા ટેક્સ એક સાથે કરી દેવામાં આવશે જેના કારણે ટેક્સનો દર ઓછો થશે. અને પરિણામે ઉત્પાદક અને સેવા આપનારાઓએ ઉત્પાદન અને સેવાઓના અલગ અલગ સ્તરે જે ટેક્સ આપવો પડે છે તેને બદલે એક જ ટેક્સ ભરવો પડશે અને મોંઘવારી ઓછી થશે. ત્રીજું જીએસટી ટેક્સ વહીવટમાં સરળતા લઈને આવશે જે વેપારને સરળ બનાવશે. 

આ ત્રણ કારણો જાણીને જ ઘણા લોકો હરખપદુડા થઈ પડ્યા છે પણ જો આ બિલ વિશે જો વધુ બારીકાઈથી તપાસવામાં આવે તો ખબર પડશે કે જીએસટી તો એક મગજમારીથી ઓછુ નથી અને હાલની ટેક્સપ્રણાલીની સામે આ નવી પ્રણાલી આપણને વધુ પછાત સ્થિતિમાં લાવી શકે એવી છે. જેમકે આ બિલ મુજબ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા જ માથાના દુઃખાવા સમાન છે. આ કાયદો અમલમાં આવતા જ ડઝનથી વધારે રજીસ્ટ્રેશન કરાવવાના રહેશે. જીએસટીના નવા કાયદા મુજબ ત્રિસ્તરીય ટેક્સ જેમાં સેન્ટ્રલ-સ્ટેટ અને ઇન્ટીગ્રેટૅડ માળખા મુજબ આખા દેશમાં માલ વેચનારા કે સપ્લાય કરનારાઓએ દરેક રાજ્યમાં ત્રણ અલગ અલગ રજીસ્ટ્રેશન કરાવવા પડશે. અને રિટર્ન ભરતી વખતે ટેક્સનો હિસાબ રાખવો પડશે. એટલું જ નહિ પણ જો કોઇ કંપની વિવિધ પ્રકારના વ્યવસાય કરતી હશે તો દરેક વેપારનું અલગ અલગ રજીસ્ટ્રેશન કરાવવું પડશે. 

અરે સૌથી વધુ ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે આ કાયદા મુજબ જો કોઇ કંપની પોતાની જ ભગિની સંસ્થામાં માલ સપ્લાય કરશે તો તેના પર પણ ટેક્સ લાગુ પડશે. અને સેવા કે સપ્લાય મેળવનારી કંપનીએ ત્યારબાદ આ જ ટૅકસના રિટર્ન મેળવવા માટે દાવો કરવાનો રહેશે. હવે મૂળ વાત ઇનપુટ ટેક્સ ક્રેડિટની જે જીએસટીમાં અગત્યની બાબત છે. જે મુજબ ઉત્પાદન કે સપ્લાય દરમ્યાન કાચા માલ કે સેવા માટે ચુકવેલ કર પરત મેળવવામાં આવે છે. અને આ બાબતે આ કાયદો કહે છે કે જો સપ્લાયર સરકારને ટૅકસ નહિ ચુકવે તો તે સેવા કે કાચા માલનો ઉપયોગ કરનારા નિર્માતાઓ ટેક્સ ક્રેડિટ માટે દાવો નહિ કરી શકે. અને આ જ સૌથી મોટી તકલીફ બનશે.  અને નવાઈની વાત તો એ છે કે એક્સાઈઝ અને સર્વિસ ટેક્સના કાયદાઓમાં જટિલ વ્યાખ્યાઓ અને વ્યવસ્થાઓને કારણે સુપ્રીમ કોર્ટ, હાઇર્કોર્ટ અને ટ્રિબ્યુનલો અને અપીલ કમિશ્નરો પાસે એક લાખ વીસ હજારથી વધુ કેસો લાઈનમાં છે. જીએસટી પણ આવા જ ભંદ્રભંદ્રી વ્યાખ્યાઓથી ભરેલું છે. "

ટુંકમાં સોના કરતા એની ઘડામણ મોંઘી પડશે અને સાથે જ ઉંદર કાઢતા ઊંટ પેસે એવી પરિસ્થિતીનું નિર્માણ થશે. હવે આ બધામાં કેટલા જણને આ કાયદાના ફુલ ફોર્મ સિવાય કશી ખબર છે ? એક જ લાઈનમાં બધા કાયદાની સમજ આપતા કહે છે કે બધા ટૅક્સ એક ટેક્સ હેઠળ જ આવી જશે. પછી ? કોઇને કશી ખબર નથી અને ખબર પાડવી પણ નથી. અને આ જ વાતનો એ તમામ ભ્રષ્ટ્રાચારીઓ ફાયદો ઉઠાવે છે. પણ જે પ્રજા પાયાની બાબતોમાં જ સાવ અદભુત જનરલ નોલેજ ધરાવે છે તેને આવી જટિલ બાબતોમાં રસ ક્યાંથી હોય ? એટલે પછી જ્યારે આવા કાયદા આવે ત્યારે મોકાણો ઉભી થાય છે. અને પછી સરકાર સામે બબડાટ અને ચુંટણી આવે ત્યારે ટુંકા ગાળાના ફાયદા જોઇને સરકારના જ પક્ષ કે વિપક્ષમાં તીરંદાજી શરુ. અલકચલાણું ચાલતું રહે. જનતા સરકારને લીંબુ આપે ને પછી સરકાર જનતાને. 

ચચરાટ-
જાણે સરકાર કહેતીના હોય કે તમે અમારી વાતને (કાયદાને) ના સમજો અને અમે તમારી વાતને(ફાયદાને) નહિ સમજીએ. 






No comments:

Post a Comment