Thursday, May 19, 2016

પૃથ્વી ખરેખર ગોળ છે.

જીવનમાં આમ જોવા જઈએ તો આપણી અંદર રહેલા માનવીય અભિગમને આપણે શાણા બનવાના ચક્કરમાં ગુમાવતા હોઈએ છીએ અને પછી માનવસંબંધોમાં વ્યવહાર નામનો સડો પેસે છે. અને લુચ્ચાઈ નામની બીમારીનો બધા ભોગ બને છે. લુચ્ચાઈ અને ખાનદાની આ બંન્ને વચ્ચે આપણી જાત મુંઝાતી રહે છે. અને પરિણામે સમાજજીવનમાં તકલીફો ઉમેરાય છે. આ વાતને સાર્થક કરતી એક વાર્તા યાદ આવે છે. 

એક ગરીબ ભરવાડ કે જે ગામડે ગામડે ફરીને ઘી વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો તે ખરીદી કરવા અવારનવાર શહેરમાં જતો હતો. શહેરમાં જે દુકાનેથી તે પોતાના ઘર માટે કરિયાણું ખરીદતો હતો એ જ દુકાનનાં માલિકે એ ભરવાડને દર પખવાડિયે ૧૦ કિલો ઘી પોતાને વેચવાની ઓફર કરી. ભરવાડ રાજી થતો થતો ઘેર ગયો અને ઘી બનાવવાની તૈયારી આરંભી અને નિયત કરેલા દિવસે તે ૧૦ પેકેટ ઘી સાથે હાજર થઈ ગયો. ભરવાડને એના ઘીની રકમ ચુકવીને દુકાનદારે એને રવાના કર્યો અને ઘીના દસ પેકેટ એ જ રીતે રાખી વેચવા માટે મુક્યા અને લગભગ બે થી ત્રણ ગ્રાહકો એ ખરીદીને લઈ ગયા. દુકાનદાર રાજી થઈને મલકાતો હતો કારણ કે એને મૂળ કિંમતમાં લગભગ ૩૦ ટકા જેટલો નફો દરેક પેકેટ દીઠ મળતો હતો. ત્યાં તો ૩૦ મિનિટના અંતરે ટપોટપ ત્રણેય ગ્રાહક વારાફરતી એક કિલોને બદલે પોતાને ૯૦૦ ગ્રામ જ ઘી મળ્યું એવી ફરીયાદ કરી ઘીનું પેકેટ પરત કરી પોતાના પૈસા લઈ જતા રહ્યા.અને દુકાનદારને બરાબર સંભળાવી તે અલગ. દુકાનદારે તરત જ બીજા પેકેટ પણ જોખી જોયા તો એ બધા પણ ૯૦૦ ગ્રામના જ હતાં. દુકાનદાર ગુસ્સાથી ધુંઆપુંઆ થઈ ગયો અને ભરવાડ ફરી આવે તો પોતાને છેતરવા બદલ એને બરાબર પાઠ ભણાવવાની ગણતરી સાથે એણે બધા પેકેટ જેમના તેમ રાખી દીધા. ભરવાડ એના નિયત ક્રમ મુજબ પખવાડિયા બાદ આવી ગયો. અને દુકાનદારે એને ખરી ખોટી સંભળાવવાની શરુ કરી. અચાનક થયેલા આવા આક્ષેપોથી પેલો ગરીબ ભરવાડ ડઘાય ગયો અને ચુપચાપ દુકાનદારની વાતો અને ગુસ્સો બંન્ને ખમી લીધા બાદ એણે વિનમ્રતાપુર્વક કહ્યું કે સાહેબ હું તો ગામડાનો અભણ ભરવાડ છું. મને આવા તોલ-માપના સાધનોની શી ખબર ? અને આવા સાધનો ખરીદવાની મારી ત્રેવડ પણ નથી. એટલે તમારી જ દુકાનેથી ખરીદેલી ૧ કિલો ખાંડના પેકેટનો જ ઉપયોગ મે આ ઘી જોખવા માટે કર્યો. અને ભરવાડની આ વાત સાંભળી દુકાનદારની બોલતી બંધ થઈ ગઈ. 

માણસ તરીકે આપણા સ્વભાવની ખાસિયત એ છે કે આપણે જો કોઇને છેતરતા હોઇએ તો એને આપણે આપણી ચતુરાઈ તરીકે ખપાવીએ અને જો બીજો કોઇ આપણને છેતરે તો આપણે એને લુચ્ચાઈ તરીકે ગણતા હોઇએ છીએ. ત્રીજા માણસની આવી છેતરવાની વાર્તા સાંભળી એને આપણે એની ખંધ્ધઈ કહેતા હોઇએ છીએ. પરિણામે પૃથ્વી ગોળ છે એ કહેવત અનુસાર જ બધું આપણને જ ફરી મળતું હોય છે. ગયા મહિને જ્યારે હું ઇન્ડિયા ગયેલો ત્યારે મારા હોમટાઉન વલસાડની મુલાકાત લેતા વેળા એ તમામ વ્યકિતત્વોને મે મારો મળવાનો ક્રમ ફરી જાળવ્યો જે લોકોએ મારા ઘડતરમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ફાળો આપ્યો હતો. અને મારી શુભેચ્છા મુલાકાતોને પરિણામે આવા સજ્જ્નો-સ્વજનોના ચહેરા પર જોવા મળતા આત્મસંતોષને જોઇ આપણને પણ કૃતજ્ઞી બન્યાનો આનંદ મળતો હોય છે. ઘણીવાર રસ્તે પસાર થતાં હોઇએ ત્યારે આપણા માટે નકામું ગણાતું કાગળ કે વસ્તુ આપણા ખિસ્સામાંથી નીચે અજાણતામાં પડી જાય તો કોઇ વ્યક્તિ આપણને એ માટે માહિતગાર કરે છે ત્યારે એ કાગળ જોઇને જ એ કામનું નથી એમ કહી આપણે એ કાગળ ઉચકવાનું માંડી વાળીએ છીએ. અને પરોક્ષ રીતે આપણને માહિતગાર કરનાર વ્યક્તિનું અપમાન કરીએ છીએ. ખરેખર તો આપણને માહિતગાર કરનાર વ્યક્તિના માન ખાતર પણ એ નકામું કાગળ ઉંચકીને લઈ લઈશું તો પેલી 
વ્યક્તિ બીજી વ્યકિતઓને પણ આવી ઘટના બનતી વખતે માહિતગાર કરવાનું ચાલું રાખશે. 

બીજા વડે થયેલી ભલમનસાઈને પોતાના અહંકાર ખાતર ભુલી જનારા ઘણા લોકો આપણી આસપાસ જોવા મળે જ છે. રસ્તા પર બાળકોને બેસાડીને ટુ-વ્હીલર પર જતાં વ્યક્તિને ડ્રાયવીંગ કરતી વખતે ફોન પર વાત ન કરવા માટે વિનમ્રતાપુર્વક ના પાડીએ અને સમજાવીએ તો એ વ્યક્તિ “તમે તમારું કામ કરોને “ એવો પ્રત્યુત્તર આપે છે. અને એને સલાહ આપનાર વ્યક્તિ પોતે અપમાનિત થયા બાદ હવે બીજીવાર કોઇને પણ આવી સલાહ આપવાનો કે સમજાવવાનો પ્રયત્ન માંડી વાળે છે. 

ચચરાટ-
અન્ય પર કરેલા ઉપકારો ને ભુલી જવું એ ભલા માણસોની ખાનદાની છે તો પોતાના પર થયેલા ઉપકારો ભલે ભલા માણસો ભુલી જાય પણ ઉપકાર જેના પર થયો છે તે વ્યક્તિ એને યાદ રાખે અને કૃતજ્ઞી બની ભલા માણસ  સાથે વિનમ્રતાપુર્વક વર્તે એ ઉપકાર મેળવનાર વ્યક્તિનીની ખાનદાની છે.

No comments:

Post a Comment