" जरुरी नहीं देशभक्ति दिखाने के लिए सेना मे भर्ती हो या सोशल कॉज से जुड़े ये जज़्बा तो शाहरुख आमिर की मूवी ना देखकर भी जताया जा सकता है !!
અમારા મિત્ર રોહનભાઈની પોસ્ટ પર એક ભાઈએ આવી કમેન્ટ કરી.
અને લવારા ચાલુ થયા. કોઇએ હાફિઝ સઈદની ટ્વીટ શેર કરી તો અમારા એક મુરબ્બી મિત્ર મનીષભાઈ પરમાર તો એટલા પોરસાયેલા છે કે એમણે તો દિલવાલે ના શો ક્યા ક્યા કેન્સલ થયા અને શાહરુખે શું શું કહ્યુ એની વિગતવાર માહિતી વોટસએપ પર આપી રહ્યા છે. મેં બે હાથ જોડીને વિનંતી કરી કે ભાઈ મને મારુ કામ ચાલે છે મને મારુ કામ કરવા દો તો પણ બીજાને ચીમટા ભરીને મઝા લેવાની આપણી માનસિક્તાનો તેઓ પરિચય આપી રહ્યા છે.
અને કેવી વાહિયાત દલીલ છે કે શાહરુખની મુવી નહિ જોઇને તમે દેશભક્તિ પુરવાર કરશો.
અરે ઘેલ ઘાઘરીનાઓ એટલી બધી નવરાશ છે તો
૧. ટ્રાફિકના નિયમો પાળવા માટે કેમ સરકારે હાથ જોડવા પડે છે ?
૨. બાળ મજુરોને જોયા બાદ કેમ પેલા રેલ્વે ટ્રેક પર હાજત કરતા માણસ જેવા મોર બની જાવ છો કે જાણે કોઇ જોતુ જ નથી કે અમે કઈ જોયુ નથી. ત્યારે ક્યા જતી રહે છે તમારી દેશભકિત ?
૩. રેલ્વે મારફ્તે આખા દેશમાં કચરો બારી બહાર ફેંકતી વખતે કેમ દેશભક્ત બનતા નથી ?
૪. વોટ કરવા જવાને બદલે ઘરે આરામ ફરમાવતી વખતે દેશ ક્યા જાય છે?
૫. ટેક્સ ચોરીના કિસ્સા છાપે ચઢે છે ત્યારે કેમ કોઇ દેશભક્ત જે તે પેઢીને કાળા બજારી તરીકે જોવા તૈયાર નથી ?
૬. બળાત્કારના કિસ્સા અટકતા નથી ને જે ભોગ બને એને સમાજમાં ટકવાના ફાંફાં પડે છે ને મારા બેટા દેશભક્તિ બતાવવા નીકળ્યા છે.
નીતિ નિયમ પાળનાર સજ્જન દેશપ્રેમીને મુર્ખ ગણનારો સમાજ દેશભકિતનો દાવો કેવી રીતે કરી શકે ?
આ દેશભક્તિ છે કે માત્ર ખુન્ન્સ માટે જ વપરાતી ધર્મભક્તિ છે ? કોઇ પણ વ્યક્તિને કકળાવે એ ધર્મ કશા કામનો નહિ. કેમ ભુલો છો કે એ શાહરુખની મુવી સાથે કેટલા બધાની રોજીરોટી જોડાયેલી છે. કેટલા બધાના પેટ પર અજાણયામાં લાત મારશો. શાહરુખને કશો ફેર નહિ પડે. રોહનભાઈ તમારા ફેસબુક સ્ટેટસે તો મને જોરદાર આંચકો આપ્યો. તમે કે જેઓ વૈશ્વિક કક્ષાએ પંહોચવાની વાત કરે છે તે આવા અપડેટ મુકે છે ? અને શું વિચારીને ? અને આવી માનસિક્તા અસહિષ્ણુતાની નિશાની નથી ? ભાઈ તમને ભલે કોઇ મુસ્લિમ પ્રત્યે અંગત દ્વેષ હશે પણ મને તો મારા શરીફામેમએ શરીફ બનવાની કેળવણી આપી છે.
માણસ તરીકે બીજાના અસ્તિત્વને અને સન્માનને સ્વીકારવાની ના પાડે તો એ કોઇ પણ ધર્મનો હોય એની ગણના માણસ તરીકે થઈ જ ના શકે. કોઇ પણ વિચાર કે ધર્મનો અંતિમવાદી એ નકરો મુર્ખ અને સમાજમાં સૌહાર્દનો સૌથી મોટો દુશ્મન છે.
મારો ધર્મ મને સૌહાર્દ શીખવે છે. પ્રેમ શીખવે છે. સમજણ કેળવે છે.
કટ્ટરતા કદાપિ નહિ.