Tuesday, August 25, 2015

દરેક ઘટનાનો પોતાનો પડછાયો હોય છે.

તને હૈયામા પધરાવુ રે હરિ તારો દાસ બની,
મારા મનના મનોરથ પુરુ રે હરિ તારી સેવા કરી..!

દરેક ઘટનાનો પોતાનો પડછાયો હોય છે. અને કદાચ આ દેશમાં આવવાની ઘટનાના ઘણા પડછાયામાનો એક પડછાયો મને આજે જડ્યો. એવુ લાગ્યુ કે જાણે આ દેશમાં હું ના આવ્યો હોત તો આ ભજનથી વિમુકત જ રહેવા પામત. આ ભજન થકી મળનારા આનંદની કિંમત આંકી ના શકાય એટલી છે. આ ભજનથી મને ઇશ્વરની સમીપતા કેટલી મળી એનો ખ્યાલ નથી પણ હા મારી જાતને મારી સમીપ લાવવામા આ ભજને મોટી ભુમિકા ભજવી છે.  જે શબ્દો તમે સાંભળ્યા હોય કે તમે બોલ્યા હોવ એને અનુભવવાની તક મળે તો એની મઝા જ અલગ છે. 

વૈરાગ્યનો કોઇ નિશ્ચિત કાળ નથી હોતો. એની કોઇ ઉંમર પણ નથી હોતી.એના અસ્તિત્વમાં પણ વૈવિધ્યતા હોય છે. અને એવા ક્ષણિકથી લઈ કાયમી વૈરાગ્ય સુધી લઈ જનારુ આ ભજન અચુક સાંભળજો. આત્માના અવાજને પોખનારા અને એને જાળવનારાઓ આ ભજનને ચોક્કસથી બિરદાવશે. મોક્ષ મેળવીને નિવૃત થઈ શકાય પણ મોક્ષ સાથે જીવવાનું જેને મળે એ અદભુત સિધ્ધિ. અને આ યુગમાં મોક્ષ એટલે સમજણની સર્વોચ્ચ કક્ષા. 

હરિ પ્રત્યેનો મારો અનુરાગ હતો, છે ને રહેશે. કારણ કે સંબંધોને દાદ આપવાની અને એને બિરદાવવાનું ટ્યુશન એની પાસેથી જ મેળવ્યુ છે.

-મીત
સહુના મનનો મીત



No comments:

Post a Comment