Tuesday, March 8, 2016

સહિષ્ણુતા એ નવી અસહિષ્ણુતા છે ?

ટેલીગ્રાફ ઇન્ડિયા દ્વારા કોલકત્તામાં થયેલા ડિબેટમાં નેતા-અભિનેતાઓ વચ્ચે  "સહિષ્ણુતા એ નવી અસહિષ્ણુતા છે" એ વિષય પર ટપાટપીના વિડીયો ફરતા થયા. અલબત્ત અનુપમ ખેર ખુબ વરસ્યાં અને એમનો જ વિડીયો ફરતો પણ થયો અને એના કારણે ઘણાને તો ખબર પડી કે આવી કોઇ ડિબેટ પણ યોજાઈ હતી. જોકે અનુપમ ખેરના ભાષણમાં લોકોને રસ એટલા માટે પડ્યો કારણ કે એમા નરેન્દ્ર મોદીના વખાણ અને રાહુલ ગાંધીની મશ્કરી હતી.(રાહુલ ગાંધીવાળી વાત જોડે હું પણ આંશિક રીતે સંમત છું.શ્રી નરેન્દ્ર મોદીની તુલનામાં રાહુલ ગાંધી જોજનો દુર છે.)  દિલ્લીમાં રહેવા છતાં રાહુલ ગાંધી માટે દિલ્લી હજી દુર છે. સાંસદ તરીકેની પરિપકવતા જ્યા સુધી રાહુલ ગાંધી તરફથી લોકો નહિ અનુભવે ત્યાં સુધી પ્રધાનમંત્રી બનવું એ રાહુલ ગાંધી માટે મુંગેરીલાલના સપના જેવું જ રહેશે.  અનુપમ ખેરની સ્પીચ લોકોને ગમવાનું કારણ  એ કે એક  તો વિષય વસ્તુમાં નરેન્દ્ર મોદી અને બીજુ જાણે મોદી સાહેબ પાસે એકલવ્ય બનીને ટ્યુશન લીધું હોય એવી અભિનય સહિતની વાકછટા. અનુપમ ખેરે એ કહ્યુ કે મોદીસાહેબે બે વર્ષના શાસનકાળમાં એકેય દિવસ રજા લીધી નથી અને એમને પાંચ વર્ષ સુધી કામ તો કરવા દો. દેશ-વિદેશ ફરીને તેઓ આઈડીયા ઓફ ઇન્ડિયાનો સંદેશો પંહોચાડી રહ્યા છે અને વિરોધ પક્ષ સત્તા જવાથી ગિન્નાય ને એમની પાછળ પડ્યો છે. અનુપમ ખેરની સાથે કોંગ્રેસના રણદીપ સુરજેવાલના આખાય ભાષણનો સાર એટલો કે "અમને ભુંડા કહેવા પહેલા તમે તમારી જાત જુઓ ". સુપ્રીમ કોર્ટના ભુતપુર્વ જજ એવા જસ્ટિસ ગાંગુલીએ કરેલી દલીલો સામે અનુપમ ખેર જે હિસાબે  વ્યકિતગત રીતે એમના પર વરસ્યા એ જ  અસહિષ્ણુતાની નિશાની છે. જોકે જસ્ટિસ ગાંગુલીની અફઝલ ગુરુ માટે કરેલા વાણી વિલાસ સિવાય એમણે દેશદ્રોહી માટેની કાયદાની ચાબુકનો સત્તાધારીઓ વડે પસંદગી મુજબ થતાં દુરુપયોગની વાત વાજબી લાગી. અને અભિનેતા સુહેલ શેઠની વાત કરીએ તો એમણે પણ નકરો મુર્ખાઓની જેમ વાણી વિલાસ કરતા નેતાઓને મુર્ખા કહીને કહ્યુ કે, " જે લોકોને ભારતીય સંસ્કૃતિ વિશે માહિતી છે તેઓ પાસે સત્તા નથી અને જેમની પાસે સત્તા છે તેઓ પાસે ભારતીય સંસ્કૃતિ વિશે માહિતી નથી. " પણ આ બધાની વચ્ચે બરખા દત્તની સ્પીચ ભાગ્યે જ કોઇએ શેર કરી જે વાસ્તવવાદી અને તથ્યાત્મક હતી. બરખા દત્ત પ્રત્યે મને કોઇ જ પક્ષપાત નથી. પણ મંચ પર અપાયેલી એમની સ્પીચને મારો પૂરેપુરો ટેકો છે.

બરખા દત્તે જે વાત કરી એમાં વર્તમાન સરકારના બેવડાં ધોરણો ખુલ્લા પાડ્યા.
જેમકે ૧. જયલલિતા સાથે ગઠબંધન કરવા રાજી બીજેપીને જયલલિતાએ રાજીવ ગાંધીના હત્યારાઓને છોડી મુકવા માટૅ ઓર્ડર પસાર કર્યો કે એમને છોડી મુકવા જોઇએ. ૨. પ્રકાશ સિંહ બાદલ કે જેઓ પંજાબના મુખ્યમંત્રી છે એમણે વારંવાર પત્રો લખ્યા કેન્દ્ર સરકારને કે બલવંત સિંઘ રાજુઆના કે જે પંજાબના ભુતપુર્વ મુખ્યમંત્રી બિન્ટ સિંધની હત્યાનો દોષી છે તો દેવિન્દર પાલ સિંઘ ભુલ્લર કે જે ૧૯૯૩ના દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અપરાધી છે જેની મૃત્યુદંડની સજા સુપ્રીમ કોર્ટે બાદમાં જનમટીપમાં ફેરવી હતી એ બન્નેને  છોડી દેવાની વાત કરી.  અને રાજનાથ સિંહ એમની વિનંતીને ધ્યાન પર લેવાની વાત પણ કરે છે.

૩. મુફતી મોહમ્મદ સઈદએ પોતે અફઝલ ગુરુની ફાંસીનો વિરોધ કરેલો.અને છતાં બીજેપી એમની સાથે સરકાર રચવા થનગને છે. બીજેપી અને પીડીપીના ગઠબંધનમાં  હુરિયત કે જે અલગાવવાદી જુથ છે એની સાથે સંવાદ કરવાનો પણ વાયદો અપાયો છે. દેશની નામદાર કોર્ટોએ જેમને ગુન્હેગાર ઠેરવીને સજા સંભળાવી છે એ લોકોનો પક્ષ રાખનારા જો દેશદ્રોહી નથી તો કનૈયા કેવી રીતે દેશદ્રોહી હોય શકે જ્યારે એની સામે દેશદ્રોહી હોવાના કોઇ પુરાવા નથી. બરખા માત્ર ભાજપને જ અડફેટૅ નથી લેતી પણ કોંગ્રેસને પણ અડફેટૅ લેતા લેતા ઉમેરે છે કે જે હિસાબે સેક્યુલેરીઝમને બધી પાર્ટીઓએ અભવડાવ્યો એ જ રીતે હવે રાષ્ટ્રવાદને પણ અભડાવવા બેઠા છે.

પ્રખર પત્રકાર નગીનદાસ સંઘવી બહુ જ સચોટ રીતે કહે છે કે ,"નેહરુ યુનિવર્સિટીની ઘટના આરોપીને અદાલતમાં હાજર કરવામાં આવે ત્યારે તેની, તેના સાથીઓની અને તેના ટેકેદારોની મારપીટ કરનાર લોકો દેશભક્તિનો દાવો કરે છે, પણ દેશના દુશ્મન તરીકે વર્તે છે. તેમણે કનૈયા કુમાર પર કરેલા હુમલાથી દેશની આબરૂને બટ્ટો લાગ્યો છે. સંસદ પર હુમલો કરનાર અફઝલ ગુરુ અને આરોપીઓની મારપીટ કરનાર લોકોની મનોવૃત્તિ એકસરખી જ છે. પોતાને અણગમતી બાબત, અણગમતી સંસ્થા, અણગમતા માણસોને જોરતલબીથી ખતમ કરવાની ઝનૂની જંગાલિયત આ બંનેનો સમાન ગુણ છે.કનૈયા કુમારને ટીપી નાખનાર લોકો વખત આવે ત્યારે બાબરી મસ્જિદ તોડી નાખશે અથવા પેશાવરની બુદ્ધ મૂર્તિઓ ભાગી નાખશે અને ગાંધીને પણ મારી નાખશે. ઝનૂન બંદૂકની ગોળી કરતાં પણ વધારે ખતરનાક છે. બંદૂકની ગોળી જેની સામે તાકવામાં આવી હોય તેનો જ જીવ લે છે. ઝનૂન આખા સમાજને, સમાજની મોંઘા મૂલની વિરાસતને ખતમ કરી નાખે છે. ઝનૂનમાં કશી મર્દાનગી નથી અને ટોળાબાજી તે કાયરતાની નિશાની છે.જેએનયુના વિદ્યાર્થીઓ ભારતના નાગરિક તરીકે વાણી સ્વાતંત્ર્યના હકદાર છે અને અફઝલ ગુરુ અંગે પોતાનો મત પ્રગટ કરવાનો અધિકાર તેમણે વાપર્યો છે. તેમની સામે પગલાં ભરનાર પોલીસ અને ભારત સરકાર લોકશાહીનો પાયો ખોદી રહ્યા છે, કારણ કે કોઈ લોકશાહી વાણી સ્વાતંત્ર્યના વપરાશ વગર જીવી શકે નહીં.આમજનતા મન ફાવે તેવા વિચારો ખુલ્લી રીતે દર્શાવી શકે છે કે નહીં તે લોકશાહીની હયાતી માપવા માટેની પારાશીશી છે, પણ આ વાત પૂરેપૂરી સાચી નથી. મન ફાવે તેવું કરવાની, બોલવાની છૂટ તે સ્વાતંત્ર્ય નથી. સ્વચ્છંદતા છે. વાણી સ્વાતંત્ર્યની કોઈ વ્યક્તિને કે સમાજને નુકસાન થાય અથવા તેનું જીવતર જોખમમાં આવી પડે તેવું બોલવાની કે તેવી રીતે વર્તન કરવાની છૂટ કોઈ પણ સમાજ આપી શકે નહીં અને દુનિયાની કોઈ લોકશાહી આપતી નથી."

કાના બાંટવા જેવા પ્રખર પત્રકાર પણ નોંધે છે કે," જે અમારી તરફ નથી તે વિરુદ્ધમાં છે, દુશ્મન છે એવું સાબિત કરી દેવાની ભાજપની જૂની રણનીતિ રહી છે.એટલે જ જેએનયુ, રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રદ્રોહ, આતંકવાદી તરફી, મહિષાસુર, અભિવ્યક્તિ સ્વાતંત્રય વગેરે મુદ્દાઓને પરાણે ચલાવી રહ્યો છે. ધ્રુવીકરણ માટેની આ યોજનાઓ છે. ગુજરાતમાં શું થઈ રહ્યું છે? પાટીદારોનું આંદોલન શું છે? આ આંદોલનનાં રાજકીય પરિમાણ જોઈએ તો તે ધ્રુવીકરણની રણનીતિ માત્ર છે. સમાજ બે ભાગમાં ધ્રુવીકૃત થઈ રહ્યો છે. ૧, પાટીદાર અને ૨. પાટીદાર વિરુદ્ધનાઓ. પ્રશ્ન થશે કે આવું કરવાથી ફાયદો શું? ફાયદો એ છે કે ગુજરાતના રાજકારણમાં પાટીદારોનો પ્રભાવ ઘટાડી શકાય."

મૂળ મુદ્દાઓ ભુલાવીને ભલતે રસ્તે જનતાને ભેરવી રાખવાની દાનત દરેક પાર્ટીની જોવા મળે છે. હંમણાથી મોદીસાહેબને ૨૦૧૯ની ચુંટણી જીતાડવાની કવાયત શરુ થઈ છે. બાંગલાદેશ હારે તો મમતા બેનરજીના ઉદાસીવાળો ફોટો ફરતો થાય. કારણ કે બંગાળમાં ઇલેકશન છે. લેફટ સમર્થક કનૈયાને વિલન તરીકે જોવામાં આવે અને એને કેન્દ્રમાં રાખી દેશપ્રેમની અને દેશદ્રોહીની આગ એટલા માટે દઝાડવામાં આવે કારણ કે લેફટવાળાઓનું ખુબ ઉપજે એવા પ્રદેશોમાં પણ ઇલેક્શન છે.મોદીસાહેબ વડાપ્રધાન તરીકેની એનર્જી જ્યારે પોતાની પાર્ટી ભાજપ માટે વાપરવાનું શરુ કરે ત્યારે જ ભવાડા શરુ થાય છે. પેલા પપ્પુને ખરા અને મૂળ મુદ્દાવાળા સવાલો પુછતા નથી આવડતું અને કજીયાખોર બાઈ જેવા નાના નાના મુદ્દે લડવા બેસે છે.તો મોદીસાહેબની ટીમના મેમ્બર કંઈ પણ લવારો કરતા જોવા મળે. મોદીસાહેબની સરકારનો મોટો વાંધો એ છે કે તે હંમણાથી જ ૨૦૧૯ની ચુંટણીની તૈયારીમાં પડી ગઈ છે. અને એમની સરકારની હાલ સુધીમાં જો કોઇ સર્વશ્રેષ્ઠ સિધ્ધિ હોય તો એ છે કે ભ્રષ્ટાચારનો એકેય કિસ્સો બે વર્ષમાં નોંધાયો નથી.



No comments:

Post a Comment