Wednesday, January 6, 2016

સંબંધોની પારાશીશી.


આમ તો આપણા જીવનમાં ઘણા બધા સંબંધો હોય છે પણ મારા અનુભવ અને સમજણને આધારે મે એના ત્રણ પ્રકાર પાડ્યા છે. પોફેશનલ, સોશ્યલ અને પર્સનલ.

પ્રોફેશનલ સંબંધીઓ તમને મોટી સંખ્યામાં જોવા મળશે. આ લોકો બધા જ સંબંધોને વ્યવહારમાં વટાવી એની રોકડી કરવામાં જ માને છે. તેઓ કોઇવાર ફોન કરે તો શરુઆત ફાલતું વાતોથી કરે. 'ઘરે કેમ છે બધા ? મમ્મીને કેવું ? તારા પપ્પા લંડનથી આવી ગયા ? અને આપણે લાગણીશીલ બની જવાબ દેવાનું જેવું શરુ કરીએ એટલે તક મળતા જ એ લોકો અટકાવી ને કહે , "અચ્છા સાંભળને બકા તારુ એક કામ હતું." આવા લોકો જ તમને અચુક કહેતા જોવા મળશે, " આ તો તમે છો એટલે બાકી હું ડિસ્કાઉન્ટ કોઇને આપતો જ નથી."  આવા જ લોકો માટે કહેવત બની છે." ઘોડા ઘાસસે દોસ્તી કરેગા તો ખાયેગા ક્યા? " અને આવી રીતે ઘણા મિત્રો ક્યારેક ઇન્શ્યોરન્સ વેચી તો ક્યારેક કોઇ પ્રોડકટ પકડાવી પોતાના સંબંધની રોકડી કરી ગયા છે.  ઘણા તો રુપિયા ઉધાર લઈને પણ આવી જ રીતે પોતાના સંબંધની કિંમત વસુલીને રફા-દફા થઈ ગયા છે. આવા માંગો તો એક નહિ પણ હજાર મળશે.

બીજો પ્રકાર એ લોકોનો જેને હું સોશ્યલ જીવ કહું છું. આવા લોકો માટે કહેવત બની છે, "સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ " આ સંબંધીઓને ગામ શું કહેશે એની ચિંતા બહુ હોય. દરેક સામાજીક બાબતની આ લોકો નોંધ રાખે. આવા લોકો સામાજીક હિસાબકિતાબ રાખનારા હોય છે. લગ્નપ્રસંગે કોણે શું આપ્યુ ? સ્વજનનાં મરણ પ્રસંગે કોણ કેટલું દુઃખી થયેલુ ?માદગી કે આફત સમયે કોણ આવ્યુ કોણ ના આવ્યુ અને આવું બધુ જ યાદ રાખી એ રીતે જ વર્તે. ઘણા કહેતા જોવા મળશે કે." મારા દાદા માંદા હતા તો એક્વાર પણ જોવા નહિ આવેલા તો આપણે શું કામ છે એમને ત્યા જોવા જવાની ?" " મારી જીગીના લગ્નમાં એક કામ કરેલું નહિ તો હું શુ કામ એમનું કરવા જાઉ ?" "મારા ભાવેશની વહુના શ્રીમંત વખતે એમણે કશું આપેલું નહિ જ્યારે એમની વહુને મે સોનાની વીંટી આપેલી."
બસ આમાં ને આમા જ એમની ગાડી અટવાયેલી હોય છે. સમાજના ભયે આ લોકો દિકરા-દિકરીનો પણ ભોગ આપવા ક્યારેક તૈયાર થઈ જાય છે. પરાણે પરણાવેલા સંતાનોની વેદના આનું ઉત્તમ ઉદાહરણ છે. 

અને ત્રીજો પ્રકાર એટલે પર્સનલ લોકો. આ લોકો પોતે વેચાય જવા તૈયાર હોય. ખાનદાની બધી જ વાતે છલકાતી હોય. કોઇને આપેલો સમય,વચન, જુબાન જાળવવા હંમેશા તત્પર રહેનારા આવા જીવ બહુ ઓછા જોવા મળશે. ખાનદાની કોઇ દિવસ ખરીદી શકાતી નથી. એ માણસની સમજણમાંથી જન્મે છે. આવા લોકોને બીજા પાસેથી શું મળ્યું કે શું મળશે એની ગતાગમ હોતી જ નથી. બસ લુંટાવાની ખેવના જ હોય છે. આવા લોકો સંબંધ બનાવતા પહેલા એને બરાબર ચકાસે અને પછી જ આગળ વધે. સમજણની કક્ષા એટલી ઉંચી હોય કે સામે વાળી વ્યકિતને પુરો આદર-સત્કાર આપે. એના વિચાર, લાગણીનું જતન કરે. વિનમ્રતા ઠાંસી ઠાંસીને ભરી હોય છે આવા સંબંધીઓમાં. પોતાના વચન , અને સમયપાલન માટે તેઓ અતિક્રમીને પણ સાહસ કરતા હોય છે.

હવે તમે નક્કી કરો કે તમે અને તમારી આસપાસના લોકો  ક્યા પ્રકારમાં સમાવેશ પામે છે ?
-સહુના મનનો મીત

No comments:

Post a Comment