Tuesday, April 19, 2016

વજન ઉતારવા નડતા પંચાતિયાઓ.

તો વાત આગળ વધારીએ. ગયા અઠવાડિયે મે તમને જણાવ્યું તેમ કે વજન વધવાને કારણે લોકોએ કઈ રીતે વાતે વાતે ટોણો મારી મારું જીવન હરામ કર્યું હતું અને કેવા કેવા અખતરા કર્યા બાદ મેં આયુર્વેદના ડોકટર જયેન્દ્રનો સંપર્ક કર્યો અને દસ દિવસની ટ્રીટમેન્ટ શરું થઈ.

વજન ઉતારવા માટે ગમે તેવું ઓસડ લઈ આવો પણ એના માટે વધારે અગત્યની બાબત છે આપણી પોતાની નિષ્ઠા. વજન ઉતારવાના બધા અખતરા કર્યા બાદ તમને એવી એક માનસિક ધરેડ અનુભવાતી હોય છે કે આટ આટલા તુક્કા અજમાવ્યા તો હવે તો આ તો કરીએ. મેળ પડે તો ઠીક નહિ તો કંઈ નહિ. એટલે ડોક્ટર જયેન્દ્રને ત્યાંથી દસ દિવસની દવા લઈ આવ્યો. પણ એમણે આપેલી સુચના મુજબ પહેલા ત્રણ દિવસ માત્રને માત્ર કોફી કે ચા જ પીવાની ને દવા શરુ કરવાની. એન્કરિંગની ભર સીઝનમાં આવા અખતરા જોખમી કહેવાય. કારણ કે સતત ૫ કલાક ઉભા રહીને શો કરવાના હોય એ માટે ભરપુર એનર્જી જોઇએ અને તોયે મે આ અખતરો કર્યો. માત્ર ચા અને કોફી પર પહેલા ત્રણ દિવસ કાઢી નાંખ્યા. વજન ને લઈને લોકોના મ્હેણાં ટોણા કેવા ચુભ્યા હશે મને કે ડોકટરની સુચના અવગણવાની ઇચ્છા જ ના થઈ.
અને દસ દિવસ બાદ જ્યારે ફરી વજન કર્યુ તો ચમત્કાર ૭ કિલોગ્રામ વજનમાં ઘટાડો. ૧૧માં દિવસથી બધાની કમેન્ટ મળવાની શરુ થઈ. કે શું ચમત્કાર કર્યો દોસ્ત એ તો કહે વજન ઘટાડવા માટે ?
તમને એમ હશે કે દસ દિવસ દવા કરી અને મેં વજન ઉતારી નાંખ્યુ તો સાહેબ એ દસ દિવસ મારા માટે કેવા ગયા એ તો મનની જાણી રામ જ જાણે.
લોકોના કાઉન્ટર આ ટ્રીટમેન્ટ સામે.

૧. આવા બધા અખતરા નહિ કર નહિ તો વજન છે એનાથી વધારે થઈ જશે. મારા ફલાણા માસી-માસા-ફુઆ-ભાઈ-દોસ્તએ આવુ તેવું કરેલું તે એનું વજન પહેલા કરતા ડબલ થઈ ગયું.

૨. હવે એકથી શું થાય ? તમારી આગળ લોચો-ખમણ અને બધું ઝાપટટા લોકો તમારી પાછળ પડે અને કહે  એક ખાને એક્થી શું થાય ? અને એવો દુરાગ્રહ કરીને તમારી પાછળ હાથ ધોઇને પડે. જોકે મારી દરવખતે સ્પષ્ટ ના રહેતી કે બોસ નહિ એટલે નહિ.

૩. અરે આવું બધુ કરે છે એના કરતા ફલાણી લાઈફવાળી દવા કર, ગ્રીન ટી પી, લીંબુ મધ પી, સાઈકલિંગ કર, ચાલવા જા, જીમ જા અને આવું તો ઘણું બધુ આવ્યું. સલાહ આપવામાં આપણી પ્રજા હંમેશા મોખરે રહેવાની એ વાત અલગ છે કે એના પાલનમાં એટલી જ વામણી પણ રહેવાની.

૪. આ સમયગાળામાં તમને ભુખ લાગે તો ? આ સમસ્યાના નિવારણ માટે મે પાણીપુરી દબાઈને ખાવાની શરુ કરી. અલબત્ત બટાકા વગરની. પાણીપુરી ખાવાની મઝા એ વાતની કે બધા જ સ્વાદ એમાં મળી જાય અને પેટ ભરાયા બાદ પણ વજન વધવાની સંભાવના નહિવત જેવી. પાણીપુરી ખાતી વખતે તમે પાણી જ વધારે પીવો.

૫. માત્ર જીભનો સ્વાદ આપવા પુરતુ જ ખાવુ. જે કોઈ પણ ખોરાક હું ખાતો તો માત્ર સ્વાદ ખાતર. પેટ ભરવા માટે નહિ. એટલે કે ફેમીલી સાઈઝનો પિઝ્ઝા આવ્યો હોય તો એમાંથી એક જ ટુકડો ખાવો. જે ખાવ તે સ્વાદ પુરતું.

૬. ૩૦ દિવસમાં ૨૦ કિલો વજન ઉતાર્યા બાદ હવે ? કારણ કે વજન ઉતર્યા બાદ એને મેન્ટેઈન કરવું એનાથી વધારે અઘરું કામ છે. જોકે એ સરળ થઈ ગયેલું હતું. વજન ઉતારવાની આ આખી પ્રક્રિયા દરમ્યાન તમારું શરીર એવું સંતુલિત થઈ જાય છે કે થોડા ખોરાકમાં જ તમારું પેટ ભરાય જતું હોય છે.

એક વર્ષ બાદ પણ આજે વજન એવું ને એવું અકબંધ છે. કારણ કે નિયમિત આહારની સાથે કેટલાક નિયમો સજ્જડ રીતે પાળવાના એટલે પાળવાના. જેમકે રોજ સવારે નાસ્તો હેલ્ધી અને ભારેખમ કરવો એટલે કરવો. બપોરનું લંચ સાંજનો નાસ્તો અને ડિનર સમયસર કરી જ લેવું. અઠવાડિયામાં કમસે કમ ૫ દિવસ તો જીમ જવું જ જવું અને એમાં ૨૦ મિનિટ દરરોજ ચાલવું. બને ત્યાં સુધી આપણને આળસુ બનાવે તેવી બધી જ સુવિધાઓ અવગણવી. ત્રીજે માળે તો લીફટ વગર ચઢી જવું, બને ત્યાં સુધી આસપાસના સ્થળોએ ચાલતા જ જવું જેવા નિયમો પણ ખરા.ખરેખર તો આપણે બધા આપણી જાતને છેતરતા જ હોઇએ છીએ. બાકી વજન ઉતારવી કોઇ રીતે અઘરું નથી. આપણને ખબર છે કે કયો ખોરાક આપણા માટે સારો છે અને કયો ખરાબ છે. કયા ખોરાકની કેવી અસર આપણા પર થશે. તોયે આપણે એ ખાતા કે પીતા હોઇએ છીએ. સગવડો વધારીને આપણે આળસુ અને પ્રમાદી જીવન જીવતા થઈએ અને પરિણામે મેદસ્વિતાને નોતરું આપી બધા રોગોનું ઘર બનીએ. એક વાત સમજી લેજો જો ખોરાકના કારણે વજન વધતું હોય તો એનાં કારણે જ ઉતરશે. શરુઆતમાં જીમ જઈ, યોગા કરીને વજન ઉતારવા જશો તો પરિણામ નહિ મળે. એટલે નાકની દાંડીએ ખોરાક પર ચાંપતી નજર રાખશો તો વજન સરળતાથી ઉતરી જશે. આજે હું બધા જ પ્રકારનું જંકફુડ ખાવ છું પણ સ્વાદ ખાતર. ઘણીવાર તો પેટ ભરાય એટલું પણ ખાવ છું પણ એ બધા જ માટે કડક નિયમ એવો જ કે જે વસ્તુ એક્વાર ખાધી તે મહિનામાં બીજીવાર ખાવી નહિ. આજે પિઝા ખાધા બાદ પિઝાનો નંબર એક મહિના બાદ જ આવશે.

વજન ઉતારવાનો સીધો સરળ ફોર્મ્યુલા એ જ કે પહેલા ખોરાક નિયમન ત્યારબાદ જીમમાં બોડી ટોનીંગ અને પછી યોગાના વર્ગો. જીવનમાં ધીરજ શબ્દને ઉતારશો તો ઘણી મદદ મળશે.


Tuesday, April 12, 2016

વજન સે ડર નહિ લગતા સાબ લોગો કે તાનો સે લગતા હૈ.

ગયા અઠવાડિયે ફેસબુક પર મારો વજનદાર અને વજનવગરનો ફોટો મુક્યો તો લોકોએ એક જ વાત પુછી કે આ ચમત્કાર કેવી રીતે ? અને ડોકટરનો નંબર,ઠેકાણું આપતા આપતા થાકી જવાયું. પણ આખીય યાત્રા પીડાદાયક હોવાની સાથે મઝાની પણ રહી. દસ દિવસમાં તમારું વજન ૭ કિલો ઉતરે અને એક મહિનામાં ૨૦ કિલો તો તમને આખી રાત નવાઈને કારણે ઉંઘ જ ન આવે.મારી સાથે આવુ બન્યું છે. અને આજે એક વર્ષ  બાદ પણ વજન ૭૫ કિલો પર જાળવી રાખવું એ એક સિધ્ધિથી કમ નથી.

હું પોસ્ટગ્રેજ્યુએશન કરવા સુરત આવ્યો અને  ફેમીલીથી દુર રહેતો થયો એટલે નિયમિત અને સાત્વિક ભોજન ઘરથી દુર ક્યાંથી મળે ? એટલે જે મળૅ તે ખાય લેવાનું ચાલતું. હોસ્ટેલ લાઈફ બાદ પણ આવું જ ચાલ્યું. ભુખ લાગે ત્યારે ન જમતાં બહુ ભુખ લાગે ત્યારે જ જમવાની ટેવને કારણે વજન ૬૫થી ૯૪ ક્યારે થયું એની ખબર જ ના પડી. અને મારા નામ સાથે એક વિશેષણ જોડાયું. "જાડિયો". પેટના ભાગે વધેલી ચરબી જાણે અંબુજા સિમેન્ટથી બની હોય તેવી એટલે કોઇ કાળે એમાં ઢીલાશ વર્તાય જ નહિ. ફોટો પડાવવા માટે જાણે મારા પહેલા એને જ રહેવું હોય તેવી જીદ એટલે હું શ્વાસ રોકુ તોયે મારુ પેટ સંકોચાવવાનું નામ ના લે અને ખતરે કી ઘંટી યા એલાર્મ ત્યારે વાગી જ્યારે કમરમાં ને ઘુંટણમાં દુઃખાવો શરુ થયો. મેદસ્વિતાને લીધે લોકોને ઘુંટણના ઓપરેશન, ડાયાબીટીસ, બ્લડપ્રેશર ,હાર્ટ એટૅક જેવા રોગોથી પીડાતા જોયેલા એટલે મનોમન નક્કી કર્યુ કે ચાલો હવે આનું કંઈક કરીએ. એન્કરિંગના બિઝનેસમાં પણ બધા જાડો એન્કર એવો ઉલ્લેખ કરતા એટલે મનમાં બહું બળતી.

ગુગલપ્રભુના ચરણે ગયા અને ઇન્કવાયરી કરી તો હત્તર રસ્તા બતાવતી વેબસાઈટો મળી. કોઈ કહે આટલું કરશો તો વજન આમ ઉતરી જશે. તેટલું ખાશો તો વજન ઝટ્ટ ઉતરશે. અને આ બધાની વચ્ચે ગામની વણમાંગી સલાહો.ટોપટેન વજન ઉતારવાના સરળ રસ્તાથી લઈને  સવારે ઉઠો એટલે લીંબુ પાણી મધ નાંખી પીવાથી વજન ઉતરેથી લઈને ગ્રીન ટી સુધીના ચમત્કારીક કીમીયા અજમાવ્યા. પણ કશો મેળ ના પડ્યો. ડાયેટીશીયનની સલાહ લીધી. કે જેમણે ૮ રોટલી ખાતા માણસને ૨ રોટલી પર આવવાની સલાહ આપી. દસ ખજુરથી મન ભરાય ત્યાં બે જ ખજુર ખાવાની સલાહ આપી.પણ મારું વજન કેમેય કરીને નહિ ઉતરતું. પછી વજન ઉતારો આટલા દિવસમાં જેવા બોર્ડ વાંચ્યા. ને વાઈબ્રેશન પણ લીધા. કલાકો એમાં પણ વેડફ્લેયા. લેઝર પણ એક્વાર કરાવ્યું અને એમાં પણ મુરખ બન્યા બાદ બસ ઓપરેશનને જ વાર હતી.પણ
યાદ રાખો કે મુંબઈ જવા માટે દોડવું પડે પણ મુંબઈ તરફ દોડવું પડે એ બહુ જ જરુરી છે. અને હું મુંબઈ જવા ક્યારેક રાજસ્થાન બાજુ તો ક્યારેક મધ્યપ્રદેશ બાજુ દોડતો હતો.


જે નમુનો કે નમુની પોતે ચાલવા ના જતી હોય તે વજન ઉતારવા ચાલવા જવાની વાત કરે. અરે જેનો ઘણી પોતે જ પટારા જેવો હોય તે મને જીમ જવાની સલાહ આપતી. અને એવા એવા ભુતિયા લોકોના કિસ્સા મળે કે ફલાણાએ આ કર્યુ ને તે કર્યુ તો વજન ઉતરી ગયું અને બીજાની જેમ એણે શું કર્યુ એ પુછવાને બદલે મને મળાવો તો માનું કે એણે ખરેખર વજન ઉતાર્યુ એવો સવાલ જ્યારે હું કરતો તો  બધા આડે રસ્તે વાત લઈ જતા.  રોજ જ્યારે અરીસામાં તમારું પેટ તમારા પહેલા એના દર્શન કરે ત્યારે આપણો જીવ બળે. બીજે બધે પહેલા પેટ એન્ટ્રી લે પછી તમે. પેટ પર હાથ ફેરવી ઘણા કહે કેટલા મહિના. તો જવાબમાં હું એમ કહું કે તારુ જ બાળક છે ને તને જ નહિ ખબર ? અરે જીવવાનું હરામ થાય ત્યારે જ્યારે કોઇ હિરોઈન સાથે ફોટો પડાવો ને મરીગ્યા લોકો કમેન્ટમાં લખે કે વજનનું કંઈ કર.વજન ઉતારવા માટે તમારે માનસિક રીતે સજ્જ થવું પડે. અરે આ કામમાં પણ સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ વાળો સામાજીક ભય સતાવે.વજન વધેલું હોય તો ટોણો મારે કે વજન ઘટાડ અને ઘટાડવા કંઈ ચાલુ કરો તો અરે આમ નહિ ઉતરે વજન તેમ કરવું પડે. એની જાતને વજન હોય તો વાંધો અને ઉતારવા મથો તો વાંધો.

ચાલો જે જાણવા મથો છો એની વાત કરું. એટલે કે ફાયનલી મે વજન કેવી રીતે ઉતાર્યુ એની.
મારો કોલેજકાળનો મિત્ર છે નિલેશ સાથે વાતવાતમાં વજનની વાત નીકળી તો મને કહે આપણો ડોકટર છે ને એને મળી આવ. જો એણે મારું વજન ઉતારી આપ્યું અને એણે ફોટા શેર કર્યાં બીફોર-આફ્ટરવાળા. અને મેં કહ્યું બને જ નહિ. એ રુબરુ મળ્યો અને બોસ આપણી તો આંખો જ પહોળી. કેવી રીતે ? શું થયું ? બધુ બરાબર ને ? તો કહે એક આયુર્વેદિક ડોકટર છે. એણે આ બધું કર્યું. વેલ તમને કમર્શીયલ લાગતી વાત હશે. પણ બોસ માની ન શકાય એવી વાત હતી. આપણે તો ગયા ડોકટર પાસે. અને મળીને સમજીશું અને પછી વાજબી લાગે તો દવા લઈશું એવું મેન્ટલી સેટ થઈને ગયેલા. પણ ડોકટર આયુર્વેદના એટલે એમણે તો ધીરજપુર્વક ૩૦ મિનિટ સુધી બસ પુછ્યે રાખ્યું શું ખાવ છો ક્યારે ખાવ છો  કેટલું ખાવ છો. ક્યારે જાગો ક્યારે ઉંઘા લો છો ને ઘણું બધું. અને એમણૅ તો મને એક બોક્સ દવાનું અને એક પેકેટ ફાંકી અને ઉકાળાનું પકડાવી દીધું. અને જોઇશું પછી લાગે તો લઈશું એવું વિચારીને ગયેલા એને બદલે દવા લઈને આવી ગયા.

હવે તમને થશે કે બસ આટલી દવાઓ ખાવાની ? અને વજન ઉતરી જાય ? તો દોસ્ત ખરી લડાઈ તો હવે શરુ થાય છે. એના વિશેની વાત આવતા અઠવાડિયે. કારણ કે દવા કરતા તમારી ખુદ પર ચાલતી દાદાગીરી મહત્વની છે... ક્રમશ ઃ




Tuesday, April 5, 2016

આત્મહત્યા કરાય કે ન કરાય ?

શીર્ષક વાંચીને તમને થતું હશે કે આ વળી કેવી વાત. આત્મહત્યા તો કંઈ કરવાની વસ્તુ છે. એ તો ના જ કરાય .જેવું શીર્ષક વાંચ્યુ હશે કે તરત જ પ્રત્યુષા બેનરજીનો બનાવ મગજે લોજીકલી કનેકટ કરી જ નાંખ્યો હશે.
માનવ અસ્તિત્વ આવ્યું ત્યારબાદ કુદરતના ઝંઝાવાતો હતા જેની સામે માણસ બાથ ભરતો. લડતો, પડતો, આખડતો, જીતતો અને હારતો. સમય જતા કુદરતી આફતો સામે ઝઝુમવા ટેવાયેલો માણસ પછી પોતાની આસપાસના લોકો વડે ઉભી થતી તકલીફો માટે મથામણ કરતો થયો અને આજે આપણી સમૄધ્ધિ એટલી વધી કે હવે માણસ પોતાની જાત વડે જ ઉભી કરાતી સમસ્યાઓથી ઘેરાયેલો છે.

જીવનમાં આત્યહત્યાના વિચાર ક્યારે આવે ? લખનારને પોતાને ઘણીવાર એવા વિચારો આવેલા. અને એ સામાન્ય છે. એવો વિચાર બધાને આવે.જ્યારે કશું આપણી મરજીનું ના થાય, કોઇ આપણને સમજે નહિ, અને આપણે પાંચ ગ્રામની લાગણીને ૫૦૦ ગ્રામની બનાવી વજન વધારી ન લેવાની વાતને પણ મોટી બનાવીએ અને એ નાજુક સમયે જ તમે કેવી રીતે બાજી સંભાળો છે તે બહુ અગત્યનું છે. જીવનમાં સંઘર્ષ નહિ હોય તો મઝા કેવી રીતે આવે ? બાળપણથી માતાની પડખે રહેવાને કારણે મને એવા કામોમાં વધુ રસ કે જેમાં મોટાભાગે સ્ત્રીઓ જ ભાગ લે. જડીભરત કરવું ,સાડીઓમાં ટીકીઓ ભરવી જેવા ઘણા કામો બાળપણમાં કરેલા. મમ્મીનો બિઝનેસ પાર્ટનર બની વાલની દાળ વળવા જેવ ઘરગથ્થુ કામો પણ કરેલા. અને એના કારણે મિત્રો મને ઘણા વિશેષણોથી નવાજતા. નૃત્યનો શોખ એવો કે જે નૃત્ય જોયું હોય એવું જ નૃત્ય કરીને જ રહેવું જેવો જીદ્દી સ્વભાવ પણ ખરો. વાતોમાં મીઠાશનો લહેકો તો સાથે સાથે હાથોના આરોહ અવરોહ મમ્મી જેવા એટલે મારા પ્રત્યે આસપાસના લોકોની જોવાની દ્રષ્ટિ જ અલગ. અને એવી ઘણી પળો આવી જ્યા એમ થાય કે હું આવો કેમ છું ? હું તો મારી મમ્મી જેવો છું એ જ મારો વાંક ? મમ્મીને મદદ કરવા વાસણ માંજવા, કપડા ધોવા, રાંધવું, કચરા પોતા કરવા એ મારું બાયલાપણું કેવી રીતે હોય શકે ? ગર્વ સાથે કહું છું કે પાંચમા ધોરણમાં હતો ત્યારથી પૈસા કેવી રીતે કમાઈ શકાય એના વિચારો આવતા. મમ્મીએ જેટલી ગામઠી કહેવતો કહેલી એ જ મારુ મૂળભુત શિક્ષણ અને એનું જ પરિણામ કે સાવ સંકુચિત પરિવારમાં જન્મેલો એક યુવાન વલસાડ જેવા શહેરથી નીકળી વાયા સુરત થઈ આજે ન્યુઝીલેન્ડમાં ભણી રહ્યો છે.

ટુંકમાં સમાજમાં તમે એકલા ત્યારે જ પડો જ્યારે તમે કંઈક નોખા હોવ, કંઈક બીજી જ વૃતિના. એક અલગ માટીના લોકો. આજે પણ ઘણા પીઠ પાછળ ઘણું બોલે પણ કોના બાપનું કંઈ જાય છે ? મને તો ઉલ્ટું ગમે.

આમ જોવા જઈએ તો આપણી જરુરિયાતો કેટલી ? બે ટંક ખાવાનું એક જોડી કપડા અને સુવા માટે છત. આ સિવાય શું ખપે જીવનમાં  ? માણસના જીવનમાં જ્યારે ભૌતિક જરુરિયાતોની લાલસા વધે તો સ્વાભાવિક રીતે તકલીફો વધવાની જ. વડીલો કેવી સરસ સલાહ આપી ગયેલા કે ચાદર હોય એટલા જ પગ લાંબા કરવા. પણ ઘણાને ચાદર બહાર પગ લાંબા કરવાની ખેવના હોય તો કોઇ શું કરે ? હિન્દી ફિલ્મોએ  શીખવેલું કે ઘરના કોઇ પણ સભ્યની બીમારી  ભલભલા હિરોને ઢીલી પાડી શકે તો મેડીક્લેઈમ લઈને રાખવાનું એવું વ્યવહારિક તર્ક તો બધા જ જાણે છે. એ તો સર્વવિદિત છે કે ઉંઘ, પ્રેમ, શાંતિ આ બધું મેળવવા માટે પૈસો કદી કામનો નહિ. બધુ જ ખબર હોય અને છતાં હાથે કરીને કોઇ ઉધાર લઈને ઘી ખાવાના થાય તો કોણ જવાબદાર ? કેટલાક સંબંધો આપણને પીડા આપનારા હોય છે. હવે એમાં સુધારા વધારાને અવકાશ જ ન હોય તો ભગવાન પણ સ્વજનોને હણવાની સલાહ આપે છે. ધરમના માર્ગે જે તે સંબંધમાં સુધારાના પૂરતા પ્રયત્નો કરો અને તોયે મેળ ના પડે તો એ સંબંધ માટે જીવ આપી દેવાનો કોઇ અર્થ ખરો ? જિંદગી કેટકેટલા પડકારો આપે અને એને ઝીલવામાં જ મઝા છે. એને જીતવામાં મઝા છે. સાચું કહું છું જીવનમાં ઘણા એવા અવસરો આવ્યા જ્યાં જીવન ટુંકાવી નાંખવાનું મન થયું હશે. પણ તે જ ઘડીએ જીદે ચઢી જીવનને પણ અચંબિત કરવાની તક મેં જતી કરી નથી.આત્મહત્યાથી બચવાના ઉપાયો તરીકે એટલું કહેવાનું કે પૈસાનું ટેન્શન વધે તો ખર્ચા ઓછા કરી નાંખો.  સંબંધો વણસે તો થોડા સમય માટે એમના પર અલ્પવિરામ મુકો. થોડો સમય ખુદને અને સામેવાળી વ્યક્તિને આપો. આ સિવાય કોઇ બાબત નથી જે તમને આત્મહત્યા કરવા પ્રેરે. બહુ મગજમારીના ઝંઝાવાતો આવે તો શાંત પડીને બસ એ પળને વીતી જવા દો. બાકી બધુ જ સારાવાના થતું હોય છે. આપણી જીવનની બાજી ગોઠવતો કુદરત ઘણીવાર આપણને ચેક એન્ડ મેટ કહે છે ત્યારે તમે કઈ ચાલથી એને વિસ્મિત કરો છો એનું જ તો નામ હિરોગીરી છે.

અંતે એક વાર્તા કહીને આજનો લેખ પુરો કરીએ.
એક વ્યકિત આત્મહત્યા કરવાનું નક્કી કરે છે. જીવનથી નાસીપાસ થયેલ છે. બધી વાતે કંટાળેલ છે. બધી બાજુથી નિરાશ છે. દેવું વધી ગયેલુ છે. સંબંધીઓ સાથ છોડી જતા રહ્યા છે. પત્ની પિયરે જતી રહી છે. ફુટી કોડી પણ નથી એની પાસે. એટલે એ નક્કી કરે છે કે આપણે જીવનનો અંત આણવો. અને એ રેલ્વેટ્રેક પર જઈને આત્મહત્યા કરવી એવું એ ઠરાવે છે. પણ સાથે મુંઝાય છે કે આવ સાવું એકતરફી નિર્ણય લઈને જીવનને અન્યાય તો  ના જ કરી શકાય. એટલે એ નક્કી કરે છે કે રેલ્વે ટ્રેક પાસે જતી વખતે રસ્તામાં કોઇ પણ ઠેકાણે કોઇ વ્યક્તિ આપણને જોઇને વિના કોઇ સ્વાર્થે સ્મિત આપે તો તે જ ઘડીએ પરત ફરવું અને જીવનને તક આપવી.હવે એ વ્યક્તિએ  આત્મહત્યા કરી કે ના કરી, એનું શું થયુ ? એને કોઇએ સ્મિત આપ્યું કે ન આપ્યુ ? એ પરત ફર્યો કે નહિ ? એ બધા જ સવાલો બાજુ પર રાખી બસ એટલું જ કહેવાનું કે કોઇ વ્યક્તિ કોઇ જગાએથી તમારા સ્મિતની રાહ જોઇને ઉભી છે. તમે શું કરશો ?

જુઓ ભાઈ આમ તો મારી સલાહ એટલી જ છે કે આત્મહ્ત્યા કોઇ કાળે કરાય નહિ પણ હા જો તમારી લગ્નની ઉંમર હોય અને ધરતી પર સ્ત્રીઓમાં એકમાત્ર રાખી સાવંત બચી હોય અથવા પુરુષોમાં એકમાત્ર કમાલ ખાન(કેઆરકે) બચ્યો હોય તો ભગવાન પણ તમને આત્મહત્યા કરવાની છુટ આપશે.