Friday, February 12, 2016

નરેન્દ્ર મોદીને ચાહનારાઓ જ દેશભક્તો છે એ વાત ખોટી અને અફઝલ ગુરુના સમર્થનમાં દેશવિરોધી નારેબાજી કરનારાઓ દેશદ્રોહી જ છે એ વાત સો ટકા સાચી.


આજના લેખની શરુઆત એક વાર્તાથી કરીએ. એક સ્ટેડિયમમાં કુશ્તીની હરીફાઈ ચાલતી હતી અને એ હરીફાઈમાં એક હરીફ બધા જ પહેલવાનોને દમદાર અદાથી બધાને ચત્તા કરી હરાવતો જોવા મળ્યો. આ જોઇ લોકો એના ફેન્સ બની ગયા. અને એ પહેલવાને અહંકારમાં આવીને ત્રાડ પાડી કે," છે કોઇ માઈ નો લાલ કે જે મારી સાથે બાથ ભીડી શકે." પહેલવાને બીજા બધા હરીફોને જે રીતે પછાડ્યા હતા એ જોઇને કોઇની હિમ્મત ચાલતી નહોતી. એ જોઇને બધા જ ડરી ગયેલા હતા. પણ પહેલવાન વારે વારે ગર્જના કરીને પડકાર ફેંક્યે જ જતો હતો. અને ત્યાં એક સાવ સુકલડી વ્યકિતએ ગર્જના કરી એનો પડકાર ઝીલ્યો. અને કહ્યું કે હું તને હરાવીને બતાવીશ. બધા જ આશ્ચર્યચકિત થઈ માંડ પચાસ કિલો જેટલું વજન ધરાવતા એ વ્યકિતને જોવા માંડયા. ઘણાએ તો એને સમજાવ્યો પણ કે ભાઈ તારા ગજાની વાત નથી જવા દે.પણ પેલી વ્યકિત તસની મસ ના થઈ અને એ કુશ્તીના અખાડામાં આવી ગયો. બધાએ હો હા મચાવી. પહેલવાને પણ એક ઝાટકે એને નીચે પાડી ચત્તો કરી દેવાની તૈયારી સાથે જુસ્સો દાખવ્યો. અને જેવી હરીફાઈ શરુ થઈ એટલે પેલી સુકલડી વ્યકિત જમીન પર ચત્તી સુઈ ગઈ. જે પહેલવાન બધાને હરાવીને પડકાર ફેંકતો હતો તે મુંઝાયો કે આને કેવી રીતે હરાવું જે પહેલેથી જ હારી ગઈ છે. અને પેલી નીચે સુતેલી વ્યકિતએ ફરી પડકાર ફેંક્યો કે મને હરાવી બતાવ ક્યાં તો હાર માની લે. અને આખરે પહેલવાને હાર માનવી પડી.

આપણી આસપાસ પણ આવી જ ઘટનાઓ બનતી હોય છે. કોઇ કહે 'ભારતમાતા કી જય' તો એમ કહેવા માત્રથી ભારતમાતા ધન્ય ના થઈ જાય. એના માટે હનુમનથપ્પા જેવા બનવું પડે. એવી જ રીતે કોઇ ભારતમાતા મુર્દાબાદ કહે તો ભારતદેશ ખરાબ નથી બની જતો.

હાલમાં જેએનયુ-દિલ્હીમાં  કેટલાક લોકો અફઝલ ગુરુના સમર્થનમાં જોવા મળ્યા. આખરે એ કેવા પ્રકારનું બ્રેન વોશિંગ હશે કે જે માણસને ન્યાયતંત્રએ ફાંસી આપવા સુધીની સજા સંભળાવી એ અફઝલ ગુરુના સમર્થનમાં પણ નારેબાજી થઈ. અને રાજકીય પાર્ટીઓ સત્તા માટે દેશવિરોધી નારેબાજી માટે ઉત્સાહિત કરતા પણ જોવા મળે છે.  અને આપણા મીડીયાને તો રામ જાણે કયા પ્રકારનો હડકવા થયો છે કે આવી વાતોમાં વધારે પડતું જોર આપીને આખા દેશમાં અરાજકતા જ છે એવું દાખવવાનો પ્રયત્ન થાય છે.  ગાંધીજીના દેશને એ શીખવવુ પડે કે અસત્ય ગમે તેટલી ચીસ પાડે એની સામે સત્ય હંમેશા મૌન રહીને જીતતું આવ્યું છે. સત્યનો આગ્રહ રખાય પણ દુરાગ્રહ કદી નહિ. અને દરેક માણસને સત્ય વિશે ખબર તો હોય જ છે પણ પોતે સત્યથી અજાણ છે એવો ડોળ તે હંમેશા કરતો રહે છે. મારો અંગત અનુભવ છે કે મારી સાથે જે કોઇ વિવાદે ચઢે છે અને મને એમ લાગે કે ભારોભાર એની ભુલ છે તો એની સાથે વાત કરવાનું ટાળીને એની સામે સત્યાગ્રહ કરવો. અને જો મારી ભુલ છે એવું ભાન થાય તો તરત માફી માંગી લેવી. અસત્યની સામે તમે લડો તો એ બેવડી તાકાતથી તમારી સામે લડવા આવે છે. પણ જો અસત્યને અવગણીએ અને એની હાજરીની દરકાર પણ ન કરીએ તો એ આપોઆપ નષ્ટ થવાને આરે ઉભુ રહે છે. આપણા દેશમાં એક ગજબની પરંપરા થઈ પડી છે. મૂળભુત સત્યની પડખે રહેવા કોઇ તૈયાર નથી અને પોતાને ગમતું સત્ય જ બધાને ગમે છે. અને પોતાની વાતને પુરવાર કરવા પહેલા લોકો નફ્ફ્ટ થઈ વર્તે અને જ્યારે તેમની દલીલ સત્યતાની એરણે સાવ ગેરલાયક ઠરે ત્યારે નાગા થઈ ત્રાગા કરી પોતાની દલીલને જ વળગી રહે છે. એરલીફટ મુવીમા આવતા પાત્ર જ્યોર્જને અને એની વાતોને જોઇ દરેક દર્શક કંટાળીને એને એક લાફો ઝીંકી દેવા તૈયાર છે પણ પોતાને જ્યારે જરુર પડે ત્યારે ખુદ જ્યોર્જ બની જતા પણ  આપણે ક્યાં અચકાઈએ છીએ ?

આપણા દેશમાં આતંકવાદીઓને ઘરમાં ઘુસીને મારવાની માત્ર વાત કરનાર અક્ષયકુમારને અતુલ્ય ભારતનો બ્રાન્ડ એમ્બેસ્ડર બનાવવા ફેસબુક પર વોટ લેનારી પ્રજા પણ છે. પણ ભારતને અતુલ્ય બનાવનારા કલાકાર-કસબીઓને કેમ અતુલ્ય ભારતના બ્રાન્ડ એમ્બેસ્ડર નથી બનાવાતા ? 

-સહુના મન નો મીત
ન્યુઝીલેન્ડ.

       

No comments:

Post a Comment